________________
5.
5 @__n
જ્ઞાનસાર ગ્રન્થનું સર્જન કરનાર પૂ. ઉપા. શ્રી યશોવિજયજી મ.સા. બહુમુખી પ્રતિભાના સ્વામી હતા. કૂર્ચાલી સરસ્વતીની ઉપમાથી ઓળખાતા ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય પૂ. ઉપા. મ.સા.ના હુલામણા નામથી અને કામથી જૈન જગતમાં ભાગ્યે જ કોઈ અજાણ હશે.
પ્રયત્ન છતાં તેમની જન્મ-સાલની પ્રાપ્તિ થઈ શકી નથી. રમવાની વયે અર્થાત્ બાલ્યવયમાં જ પૂ. શ્રી દેવસૂરિજી મ.સા.ની પુણ્યનિશ્રામાં વિ.સં. ૧૬૮૮ માં પ્રવ્રજ્યાને પ્રાપ્ત કરી. પૂ. શ્રી નયવિજયજી મ.સા.શ્રીના શિષ્ય બન્યા. જશવંતલાલમાંથી શ્રી યશોવિજયજી મ. થયા.
સંયમી બની જ્ઞાનયોગની સાધનામાં લીન બન્યા. અગિયાર વર્ષ
· જ્ઞાનોપાસનામાં પસાર કરી પ્રકૃષ્ટ પ્રજ્ઞાના બળે કોહીનૂર હીરાની જેમ જૈનશાસનના ગગનાઞણમાં વિદ્વત્તાનો નિર્મલ પ્રકાશ પાથરી રહ્યા.
વિ.સં. ૧૭૪૩ મા વર્ષે અગિયાર દિવસના અનશન પૂર્વક મહાસુદ-૫ ના દિવસે આ નશ્વર દેહનો ત્યાગ કર્યો. પણ છપ્પન વર્ષના સંયમપર્યાયમાં જ્ઞાન-દર્શનચારિત્રની અનુપમ આરાધનાનો એવો તો રત્નદીપક પ્રગટાવ્યો કે જે રત્નદીપક આજે ત્રણસો વર્ષ વીત્યા પછી પણ આપણને અનુપમ પ્રકાશ પાથરી રહ્યો છે.
જ્ઞાનસાધના એવી તો ઉત્કટ હતી કે જેઓશ્રી સ્મૃતિબળે શતાવધાની તરીકે પ્રસિદ્ધિ પામ્યા, તો વિશિષ્ટ ધારણા બળે અષ્ટાવધાની તરીકે પૂજ્યશ્રી વિદિત બન્યા. જ્ઞાનનાં ઊંડાં રહસ્યોને પ્રગટ કરવા રૂપે સંસ્કૃત-પ્રાકૃત-ગુજરાતી ભાષામાં અનેક વિદ્વદ્ભોગ્ય ગ્રન્થોની રચના કરી જૈન શાસનને સમર્પિત કર્યા. પ્રકટ-અપ્રકટ જેની સંખ્યા શતાધિક ગ્રન્થોની છે.
એક બાજુ કલ્પિત નય-ઉપનયોનું વર્ણન કરતા વિદ્વાન દિગંબરાચાર્ય શ્રી દેવસેનકૃત નયચક્ર ગ્રન્થના ખંડનરૂપે દ્રવ્ય-ગુણ-પર્યાયના રાસનું સર્જન કર્યું તો એ જ નય, નિક્ષેપ અને સપ્તભંગીના સ્વરૂપને મુખ્યપણે સમજાવતા નયપ્રદીપ, નયોપદેશ અને નયરહસ્ય વગેરે ગ્રન્થોને મૂર્ત રૂપ આપ્યું. તો એ જ જ્ઞાનોપાસનાના ભાગ સ્વરૂપે પોતે સ્વયં પણ અનેક ગ્રન્થોની કોપીઓ કરી. જેમ અધ્યયન માટે અલભ્ય એવા પૂર્વાચાર્યરચિત નયચક્ર ગ્રન્થની શ્રમણ ભગવંતોએ જાતે નકલ કરી. એ જ રીતે શ્રી શિવશર્મસૂરિજી કૃત ‘કર્મપ્રકૃતિ’ ગ્રન્થની પોતે ટીકા રચી. સ્વહસ્તલિખિત તે ટીકા આજે પણ શ્રી ચાણસ્મા-જૈન જ્ઞાનભંડારમાં સુરક્ષિત જોવા મળે છે.
આ જ મહાત્માએ અધ્યાત્મભાવમાં ચારિત્રમાર્ગની આરાધના દ્વારા પરભાવરમણતાથી સ્વભાવરમણતામાં આવવા વડે જગતના જીવોનો ઉપકાર થાય તે માટે અનેકાનેક અદ્ભુત અધ્યાત્મ ગ્રન્થોનું સર્જન કર્યું. જેમાં અધ્યાત્મોપનિષદ્, અધ્યાત્મસાર, વૈરાગ્ય કલ્પલતા, ઉપદેશ રહસ્ય વગેરે અનેક ગ્રંથો વર્તમાનકાળે પણ અધ્યાત્મરસિક જીવોને અનેક રીતે ઉપયોગી બની રહ્યા છે.