________________
ભોગ અને પરિગ્રહ જોઇએ તેને હિંસાદિ વિના ચાલે ?
તમારે સમજવું જોઇએ કે-જીવ સંસારમાં બેઠેલો કદાચ ભયંકર અવિરતિને સેવનારો પણ હોય, ષટ્કાયની હિંસા જેમાં રહેલી છે એવી પ્રવૃત્તિ કરનારો પણ હોય, અવસરે અસત્ય બોલનારો પણ કદાચ હોય, ચોરીનોય ત્યાગ નહિ ને મૈથુનનોય ત્યાગ નહિ એવો પણ હોય અને પરિગ્રહ પણ રાખતો હોય, મેળવતો હોય, સંઘરતો હોય, સાચવતો હોય તો પણ, એવોય જીવ જો સમ્યગ્દર્શન ગુણને પામેલો હોય, તો એને માટે શાસ્ત્ર કહે છે કે ‘નરકનાં ને તિર્યંચના દ્વાર બંધ અને દેવતાઇ સુખો, માનુષિક સુખો તથા મુક્તિસુખ એને માટે સ્વાધીન !' તો, શાસ્ત્ર આવું જે કહે છે, તે કયા હેતુથી કહે છે ? પાંચેય ઇન્દ્રિયોના વિષયોના ભોગ વિના સંસારી જીવોને ચાલવાનું છે ? એ જેને જોઇએ, તેને પરિગ્રહ વિના પણ ચાલે ? અને, પરિગ્રહ જેને જોઇએ, તેને હિંસાદિ વિના ચાલવાનું છે ? કદાચ સારો જીવ અસત્ય અને ચોરીનો આશ્રય ન લે, પણ પરિગ્રહ જેને જોઇએ તેબધા એવા જ હોય કે ગમે તેમ થાય તો પણ તે અસત્ય અને ચોરીનો આશ્રય તો ન જ લે ? તમે બધા અસત્યથી
અને ચોરીથી સર્વથા બચી ગયેલા છો ? તમને ખ્યાલ હોય કે-આમ બોલવું એ અસત્ય છે અને આ રીતિએ અમુક લેવું એ ચોરી છે, તો તમે પ્રાણ જાય તેવું હોય તો પણ તમે અસત્ય બોલો નહિ અગર ચોરી કરો નહિ, એવો વિશ્વાસ તમે સાચે જ આપી શકો તેમ છો ? વિષયોના ભોગનો જેને ખપ પડ્યો અને પરિગ્રહનો જેને ખપ પડ્યો, એટલે એ હિંસામાં પ્રવર્તે, કદાચ અસત્યમાં પણ પ્રવર્તે, કદાચ ચોરીમાં પણ પ્રવર્તે, તો એ કોઇ અસંભવિત વસ્તુ તો નથી ને ? ભોગનો ખપ પડે ને પરિગ્રહનો ખપ પડે, એ કેટલી બધી ભૂંડી વસ્તુ છે, એ તમે સમજો છો ને ? છતાં તમે ભોગને અને પરિગ્રહને ભૂંડા માનો છો ? આત્માનું એ અહિત જ કરનારા છે, એમ માનો છો ? મેળ તો બેસાડવો પડશે ને ?
જેનામાં સમ્યગ્દર્શન ગુણ પ્રગટ્યો છે, એવા પણ અવિરતિ જીવોને અને દેશવિરતિ જીવોને ભોગનો અને પરિગ્રહનો ખપ પડે કે નહિ ? એ ભોગ ભોગવે કે નહિ ? અને, એ પરિગ્રહ રાખે કે નહિ ? એ કારણે, એ હિંસાદિક પાપસ્થાનોને પણ સેવે કે નહિ ? છતાં પણ, શાસ્ત્ર એમ કેમ લખે છે કે-જે જીવને સમ્યક્ત્વ પ્રાપ્ત થયું છે, તે જીવને માટે નરક-તિર્યંચમાં દ્વાર બંધ થઇ જાય છે ? હિંસાનું ઉત્કટ ફ્ળ કયું ? નરક ! અસત્યનું ઉત્કટ ફ્ળ કયું ? નરક ! ચોરીનું ઉત્કટ ફ્ળ કયું ? નરક ! વિષયભોગનું ઉત્કટ ફ્ળ કયું ? નરક ! અને, પરિગ્રહનું પણ ઉત્કટ ફ્ળ કયું ? નરક ! હિંસા, અસત્ય, ચોરી, મૈથુન અને પરિગ્રહનું ઉત્કટ ફ્ળ એટલે અન્તિમ ફ્ળ નરક અને મધ્યમ ફ્ળ તિર્યંચપણું-આવું પણ શાસ્ત્ર કહે છે; અને, ‘જે જીવ સમ્યગ્દર્શન ગુણને પામ્યો હોય તે જીવને માટે નરકગતિનાં અને તિર્યંચગતિનાં દ્વાર બંધ થઇ જાય છે.’ -આવું પણ શાસ્ત્ર કહે છે; તો, એનો મેળ તો બેસાડવો પડશે ને ? શાસ્ત્રમાં તો એનો મેળ બેસાડેલો જ છે, પણ તમારે સમજવાને માટે આ બેય વાતનો મેળ તમારે તમારા મનમાં પણ બેસાડવો પડશે ને ? શાસ્ત્ર એટલું જ કહીને અટક્યું નથી કે‘સમ્યદ્રષ્ટિ જીવને માટે નર-તિર્યંચગતિનાં દ્વાર બંધ.’ પણ શાસ્ત્રે આગળ વધીને એમેય કહ્યું છે કે- ‘ સમ્યદ્રષ્ટિ જીવને દેવતાઇ સુખો, માનુષિક સુખો અને મુક્તિસુખ સ્વાધીન !' તો આ વાત તમે તમારી બુદ્ધિમાં ક્યી રીતિએ બંધબેસતી કરો છો ?
Page 83 of 197