Book Title: Jain Dharmno Maulik Itihas Part 04 Samanya Shrutdhar Khand 02
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
અગ્રિમ રાશિ તરીકે સ્વીકારી લીધી હતી. એટલે તેણે કોઈ પુરુષનું મોં પણ જોયું નહિ. માલવ પ્રદેશના સૈનિક અભિયાનથી પાછા ફર્યા બાદ મહારાજ ભીમે ચૌલાદેવીના શીલવ્રત-પાલનની યશોગાથા પોતાના ગુપ્તચરોના મુખેથી સાંભળી, તે ચૌલાદેવીના આ ગુણ પર મુગ્ધ થઈ ગયા અને તત્કાળ ચૌલાદેવીને રાજકીય સન્માનની સાથે બોલાવી પોતાના અંતઃપુરમાં રાખી અને વિધિપૂર્વક તેને રાણી બનાવી લીધી. મહારાજા ભીમને પોતાની રાણી ચૌલાદેવીથી હરિપાલ નામનો પુત્ર થયો. ચૌલાદેવીના પુત્ર હરિપાલને ત્યાં ત્રિભુવનપાલનો જન્મ થયો, અને ત્રિભુવનપાલનો પુત્ર તે કુમારપાળ. આ કારણે જ સિદ્ધરાજ જયસિંહને ભય હતો કે ક્યાંક તેના મરણ પછી કુમારપાળ ચાલુક્ય વંશના પવિત્ર રાજ્યસિંહાસન પર બેસી ન જાય. એટલે કુમારપાળના પ્રાણનો અંત લાવવા માટે વ્યગ્ર થઈ ગયો. સિદ્ધરાજ જયસિંહના જીવનની આ એક એવી ઘટના હતી કે જેનાથી તેના જીવનનો અંતકાળ ખૂબ વિક્ષુબ્ધ થઈ ગયો. તે સિવાયનું તેનું જીવન ખૂબ સન્માનજનક અને આદર્શ રહ્યું.
સિદ્ધરાજ જયસિંહના ૪૯ વર્ષના શાસનકાળમાં ગુર્જર રાજ્યએ અભૂતપૂર્વ વૃદ્ધિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી. વિક્રમની બારમી શતાબ્દીના મહાન શક્તિશાળી ગુર્જરનરેશે વિ. સં. ૧૧૯૯માં પરલોક-પ્રયાણ કર્યું. આ વિશાળ ગુર્જર રાજ્યના અધિપતિ સિદ્ધરાજ જયસિંહના શાસનકાળમાં આચાર્ય દેવસૂરિ, કલિકાળસર્વજ્ઞ આચાર્ય હેમચંદ્રસૂરિ અને દાદા જિનદત્તસૂરિ - આ ત્રણ મહાન જિનશાસન પ્રભાવક યુગપુરુષ થઈ ગયા. મહારાજા સિદ્ધરાજની રાજસભામાં એમના નાના કર્ણાટકનરેશ જયકેશીના રાજગુરુ દિગંબરાચાર્ય કુમુદચંદ્રની સાથે દેવસૂરિનો શાસ્ત્રાર્થ થયો. સિદ્ધરાજની ન્યાયપ્રિયતાનો એક આદર્શ અને ઐતિહાસિક ઉદાહરણ એ હતું કે તેમણે પોતાના નાના-ના રાજગુરુ આચાર્ય કુમુદચંદ્રની સાથે થયેલા શાસ્ત્રાર્થમાં શ્વેતાંબરાચાર્ય દેવસૂરિને વિજયી ઘોષિત કરીને એમને મોટા સમારોહમાં જયપત્ર પ્રદાન કર્યું હતું. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૪) 96369696969696969696962 ૧૩૯ |