Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
४०५
શ્રી ભગવતી સૂત્ર–૩
શતક-૯ : ઉદ્દેશક-૩૩ સંક્ષિપ્ત સાર
આ ઉદ્દેશકમાં પ્રભુ મહાવીરના પ્રથમ માતા-પિતા દેવાનંદા અને ઋષભદત્ત બ્રાહ્મણનો વૃત્તાંત અને જમાલીનું વિસ્તૃત જીવન ચરિત્ર અંકિત થયેલું છે.
ૠષભદત્ત બ્રાહ્મણ અને દેવાનંદા– પ્રભુ મહાવીરનો આત્મા તથાપ્રકારના કર્મયોગે દેવાનંદાની કુક્ષીમાં ૮૨ રાત્રિ રહ્યો. ત્યારપછી ૮૩મી રાત્રિએ ગર્ભનું સંહરણ થયું અને પ્રભુનો આત્મા ત્રિશલાદેવીની કુક્ષીમાં વૃદ્ધિ પામવા લાગ્યો. ગર્ભકાળ પૂર્ણ થતાં ત્રિશલા દેવીની કુક્ષીથી પ્રભુનો જન્મ થયો. આ રીતે ઋષભદત્ત અને દેવાનંદા પ્રભુના પ્રથમ માતા-પિતા હતા.
એકદા પ્રભુ માહણકુંડ ગામમાં પધાર્યા. તે દંપતિ પ્રભુના દર્શન કરવા ગયા. પ્રભુનો ઉપદેશ સાંભળ્યો. પુત્ર સ્નેહના કારણે દેવાનંદાનો વાત્સલ્યભાવ જાગૃત થયો. તે પ્રભુને અનિમેષ દષ્ટિથી નીરખવા લાગી. તેના સ્તનોમાં દૂધ ઊભરાયું. તે દશ્ય જોઈને શ્રી ગૌતમ સ્વામીને આશ્ચર્ય થયું અને પ્રભુને તેનું કારણ પૂછ્યું. સર્વજ્ઞ પ્રભુએ સર્વની સમક્ષ પોતાનો પૂર્વાવસ્થાનો માતાનો સંબંધ પ્રગટ કર્યો.
પ્રભુનો ઉપદેશ સાંભળી તે દંપતિને વૈરાગ્યભાવ જાગૃત થયો; સંસારથી વિરક્ત થયા; ત્યાં જ દીક્ષિત થયા; તપ-સંયમની સાધનાપૂર્વક અનેક વર્ષ શ્રમણપર્યાયનું પાલન કર્યું; અગિયાર અંગનું અધ્યયન કર્યું અને અંતે એક માસનો સંથારો કરી, સર્વ કર્મોનો ક્ષય કરી મોક્ષગતિને પ્રાપ્ત થયા.
ૠષભદત્ત અને દેવાનંદા પહેલા વૈદિક પરંપરામાં હતા. ત્યારપછી પ્રભુ પાર્શ્વનાથની પરંપરાના સંતોના સમાગમથી શ્રમણોપાસક બન્યા અને અંતે પ્રભુ મહાવીરના સમાગમથી દીક્ષિત થઈને સિદ્ધ
થયા.
જમાલી– જમાલી પ્રભુ મહાવીરની પુત્રી પ્રિયદર્શનાના પતિ હતા. જો કે શ્રી ભગવતીસૂત્ર કે અન્ય ટીકાગ્રંથોમાં જમાલીનો ઉપરોક્ત સંબંધ પ્રગટ થયો નથી. પ્રસ્તુત સૂત્રાનુસાર જમાલીકુમાર અપાર ધન સંપત્તિના સ્વામી એક શ્રેષ્ઠી પુરુષ હતા. તે આઠ શ્રેષ્ઠ કન્યાઓ સાથે પરિણિત થયા હતા; પાંચે ઇન્દ્રિયોના મનોનુકૂલ સુખ ભોગમાં સમય વ્યતીત કરતા હતા.
વૈરાગ્યભાવ– પ્રભુ મહાવીર ગ્રામાનુગ્રામ વિહાર કરતાં ક્ષત્રિયકુંડ નગરમાં પધાર્યા. અનેક લોકો પ્રભુના દર્શનાર્થે ગયા. જમાલીકુમાર પણ પૂર્ણ ઋદ્ધિ સહ પ્રભુના દર્શન માટે ગયા; પાંચ અભિગમપૂર્વક પ્રભુની સમીપે જઈને, વંદન નમસ્કાર કર્યા, ધર્મ શ્રવણ કર્યું; પ્રભુના સમાગમે તેમને સંસારથી અને ઇન્દ્રિય સુખથી નિર્વેદ ભાવ જાગૃત થયો. પ્રભુ સમક્ષ સંયમ સ્વીકારવાના ભાવો તેમણે પ્રગટ કર્યા.
ઘેર આવી તેમણે માતા પિતાની આજ્ઞા માંગી. પુત્ર મોહના કારણે માતાએ વિવિધ પ્રકારે ભોગના