Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Author(s): Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શતક–૧૨ : ઉદ્દેશક-૨
પ
શતક-૧ર : ઉદ્દેશક-ર સંક્ષિપ્ત સાર
આ ઉદ્દેશકમાં પ્રભુ મહાવીરની મુખ્ય શય્યાતર જયંતી શ્રાવિકાના પ્રશ્નોત્તર અને તેની સિદ્ધિ પર્યંતનું વર્ણન છે.
જયંતી શ્રમણોપાસિકા :– તે સહસ્રાનીક રાજાની પુત્રી, શતાનીક રાજાની બેન, મૃગાવતી રાણીના નણંદ, ઉદાયન રાજાના ફૈબા, પ્રભુ મહાવીરના સંતોના પ્રથમ શય્યાતરી હતાં.
પ્રભુના આગમનને સાંભળીને ઉદાયન રાજાના પરિવાર સાથે જયંતી શ્રાવિકા પ્રભુના દર્શનાર્થે ગયા. ધર્મોપદેશ સાંભળીને ઉદાયન રાજા આદિ પાછા ગયા અને જયંતી શ્રાવિકાએ પોતાની જિજ્ઞાસા અનુસાર કેટલાક પ્રશ્નો પૂછ્યા.
જયંતી શ્રાવિકાના પ્રશ્ન અને ઉત્તર :– (૧) પ્રશ્ન- જીવ કઈ રીતે ભારેપણાને પ્રાપ્ત થાય છે અને કઈ રીતે હલકાપણાને પ્રાપ્ત થાય છે ? ઉત્તર– અઢાર પાપસ્થાનના સેવનથી જીવ કર્મોથી ભારે બને છે અને પાપસ્થાનના ત્યાગથી જીવ હળવો બને છે, જીવ કંઈ રીતે સંસાર વધારે છે અને ઘટાડે છે ? કઈ રીતે કર્મની સ્થિતિ વધારે અને ઘટાડે છે ? કઈ રીતે સંસાર પરિભ્રમણ વધારે છે અને ઘટાડે છે ? ઉત્તર- ૧૮ પાપ સ્થાનના સેવનથી જીવ સંસાર વધારે છે, કર્મની સ્થિતિ વધારે છે અને સંસાર પરિભ્રમણ પણ વધારે છે અને ૧૮ પાપસ્થાનના ત્યાગથી સંસારને, કર્મની સ્થિતિને અને સંસાર પરિભ્રમણને ઘટાડે છે. (૨) પ્રશ્ન- મવસિદ્ધિકપણુ સ્વાભાવિક છે કે પારિજ્ઞામિક ? ઉત્તર- સ્વાભાવિક છે. (૩) પ્રશ્ન– સર્વ ભવસિદ્ધિક જીવો સિદ્ધ થશે ? ઉત્તર- હા, સર્વ જીવો સિદ્ધ થશે. (૪) પ્રશ્ન– જો સર્વ જીવ સિદ્ધ થશે તો આ લોક ભવીજીવોથી રહિત થઈ જશે ? ઉત્તર – ના, ભવીજીવો અનંત છે. માટે આ સંસાર તેનાથી રહિત થઈ શકે નહીં. (૫-૭) પ્રશ્ન– જીવો સુપ્ત સારા કે જાગૃત સારા ? જીવો સબળ સારા કે દુર્બળ ? જીવો દક્ષ-ઉદ્યમી સારા કે આળસુ ? ઉત્તર- પાપી જીવો સુખ, દુર્બળ અને આળસુ સારા અને ધર્મી જીવો જાગૃત, સબળ અને દક્ષ સારા.
વિષયોનું દુષ્પરિણામ :– પાંચે ઇન્દ્રિયોની આસક્તિ જીવને અનંત સંસાર પરિભ્રમણ કરાવે છે.
જયંતી શ્રાવિકાની દીક્ષા અને મોક્ષ ઃ– પ્રભુના સમાગમે સમ્યક્ સમાધાન પ્રાપ્ત કરીને જયંતી શ્રાવિકાને વૈરાગ્યભાવ જાગૃત થયો, પ્રભુના સમવસરણમાં જ તેણે સંયમ સ્વીકાર કર્યો. સંયમ અને તપ સાધના કરીને મોક્ષ ગતિને પ્રાપ્ત કરી.
܀܀܀܀܀