Book Title: Uttaradhyayan Sutra Commentary
Author(s): Chandraguptasuri
Publisher: Lakshmiben Mangaldas Ghadiyal

View full book text
Previous | Next

Page 122
________________ પડે. વચનને છોડીને બીજાની અપેક્ષા રાખી તો તે અપેક્ષા પૂરી થવાની જ નથી. માટે અપેક્ષાઓ છોડી દો તો શાંતિ સ્થપાઇ જશે. | ગમે તેટલી ગરમી પડે તેનાથી સંતપ્ત થઇ ગયા હોય તોપણ બુદ્ધિમાન એવો સાધુ સ્નાનને પણ ઇચ્છે નહિ, ગાત્રનું પ્રાસુક પાણીથી સિચન ન કરવું તેમ જ પોતાની જાતને વસ્ત્રથી, મુહપત્તીથી કે પુસ્તક વગેરેથી પવન ન નાંખવો. આ બધું અસહ્ય નથી, વેઠવાની તૈયારી કરી લેવી છે. જ્ઞાનીના વચન ઉપર વિશ્વાસ રાખો, આપણી અક્કલ ઉપર વિશ્વાસ રાખવાની જરૂર નથી. કયું કર્મ ક્યારે ઉદયમાં આવશે તે આપણને ખબર નથી, જ્ઞાનીને ખબર છે માટે જ્ઞાનીના વચન ઉપર વિશ્વાસ રાખીને જીવી લેવું છે. દુ:ખ પ્રતિકાર કરવા યોગ્ય નથી. સહન કરવા યોગ્ય છે. આપણે દુઃખ તો વેઠીએ છીએ, પરીષહ વેઠતા નથી. દુ:ખ તો અનિચ્છાએ વેઠવાના કારણે અકામનિર્જરા થાય. જ્યારે પરીષહ વેઠ્યા ત્યારે કહેવાય કે જયારે સુખની આશા પણ દુ:ખ વેઠતી વખતે ન હોય. ન છૂટકે પરાધીનપણે દુઃખ તો વેઠાઇ જાય, જ્યારે પરીષહ તો નિર્જરાના હેતુથી સમતાપૂર્વક દુ:ખ ભોગવવાથી વેઠાય છે. નાના છોકરાઓને કશી સમજ પડતી ન હોવાથી જ્યાં સુવાડો ત્યાં સૂઇ જાય, લકવો પડ્યો હોય તોપણ દુ:ખ વેઠી જ લઇએ છીએ ને ? એ અવસ્થાને યાદ કરીને દુઃખ ભોગવો તોપણ દુ:ખ સહ્ય બની જાય. એના બદલે સુખ ભોગવનારને નજર સામે રાખે તો દુ:ખ અસહ્ય જ લાગે ને ? આયંબિલ કરનારા એકાસણાવાળાની અનુમોદના કરે, વિરતિધર અવિરતિધરની અનુમોદના કરે કે ‘તમારે તો ઠીક, નાહી લો એટલે સૃત્તિ આવી જાય, અમારે તો કશું થાય નહિ...' આવું આવું બોલવું એ વિરતિની નિંદા અને અવિરતિની અનુમોદના કરવા સ્વરૂપ છે. આ ઉષ્ણપરીષહ ઉપર અરણિકમુનિનું દષ્ટાંત આપ્યું છે, જે પ્રસિદ્ધ છે. અરણિકમુનિએ પિતા સાથે દીક્ષા લીધી હતી. પરંતુ પુત્રના સ્નેહના કારણે પિતામુનિ તેમને ગોચરીએ મોકલતા ન હતા, છતા સાથેના સાધુઓ તેમને કહી શકતા નથી. થોડા વખતમાં પિતામુનિ કાળધર્મ પામ્યા. તેનો આઘાત તાજો ૨૩૬ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર હોવાથી બે દિવસ સુધી સાથેના સાધુઓએ તેમને ગોચરી લાવી આપી. ત્રીજા દિવસે એમને મોકલ્યા. ટેવ ન હોવાથી તડકાના કારણે અત્યંત શ્રમિત થઇ કુદરતી રીતે એક વેશ્યાના ઘર નીચે આવીને ઊભા રહ્યા. વેશ્યાએ દાસી દ્વારા ઉપર બોલાવી સંયમ લેવાનું કારણ પૂછ્યું. અરણિકમુનિએ મોઘમ રીતે ‘સુખ માટે સંયમ લીધું' એમ કહ્યું પણ તે સુખ આત્માનું કે વિષયોનું એવી સ્પષ્ટતા ન કરી. તેથી વેશ્યાએ કહ્યું કે તમારા સંયમના ફળરૂપે આ યોગ થયો છે તેથી મારી સાથે ભોગવિલાસના સુખ અનુભવો. ઉષ્ણપરીષહથી હારી ગયેલા મુનિ વેશ્યાના કહેવાથી ત્યાં સાધુપણું છોડીને રહી ગયા. સાથેના સાધુઓ તપાસ કરવા નીકળ્યા, પણ ન મળવાથી તેમની માતાને હકીકત જણાવી. માતા પુત્રના સ્નેહથી ગાંડી થઇ અને બજારમાં અરણિક અરણિક એમ રટણ કરતી ફરવા લાગી. જે મળે તેને એક જ વાત પૂછતી કે મારો અરણિક કોઇએ જોયો ? લોકો પણ તેની મશ્કરી કરતા. એવામાં ઝરૂખામાં બેસેલા અરણિકે માતાને જોઇ એટલે તરત નીચે ઊતર્યા. માતાને પગે પડતાં તેમણે કહ્યું કે ‘મહાપાપી અને અવિવેકી એવો આ તમારો પુત્ર અરણિક તમને પ્રણામ કરે છે.' અરણિકને જોતાંની સાથે માતાનું ગાંડપણ શાંત થઈ ગયું. માતાએ પુત્રને હિતશિક્ષા આપતાં કહ્યું કે “વત્સ ! અગ્નિમાં બળી મરવું સારું પણ વ્રતનું ખંડન કરીને જીવવું સારું નહિ.” અરણિકે કહ્યું કે “માતા લાંબા કાળ સુધી દુર્ધર એવા આ વ્રતને પાળવાનું સર્વે મારામાં નથી, જો આપ કહેતા હો તો અણસણું કરું.' માતા હવે શું કહે ? ‘સાધુપણું ન પળાય તો શ્રાવકનાં વ્રતો સ્વીકાર, સમ્યક્ત્વ જાળવી રાખ, છેવટે માર્ગાનુસારીપણું પણ સ્વીકારીશ તો ચાલશે...” આવું કહે કે અણસણ કરવાનું કહે ? આ માતા તો અણસણ કરવાની રજા આપે છે. અરણિકમુનિ પણ જે ઉષ્ણપરીષહથી પોતે હાર્યા હતા તે ઉષ્ણ પરીષહને જીતવા માટે ધગધગતી શિલા પર સંથારો કરીને સૂતા. અંતમુહૂર્તમાં તો માખણનો પિંડ ઓગળી જાય તે રીતે તેમનું શરીર ઓગળી ગયું. આ રીતે સર્વ સાધુભગવંતોએ ઉષ્ણપરીષહ સારી રીતે સહન કરવો જોઇએ. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૨૩૭

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222