Book Title: Panchsangraha Part 02
Author(s): Hiralal Devchand, Pukhraj Amichand Kothari
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
સંક્રમણકરણ નીચેની કે ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયધીશે એક જ પ્રકારના કેસમાં સંડોવાયેલ ચાર વ્યક્તિઓમાંથી અમુકને નિર્દોષ ઠરાવ્યા હોય અને અમુકને દોષિત ઠરાવી સજાપાત્ર ગણાવ્યા હોય પરંતુ તેમાંથી કોઈ પણ વ્યક્તિ ઉપરની અદાલતમાં અપીલ ન કરે તો તે ફેંસલો તે જ પ્રમાણે રહે છે. પરંતુ ઉપરની અદાલતમાં જો અપીલ કરે તો પ્રથમના ફેંસલામાં ઠરાવેલ નિર્દોષ વ્યક્તિ દોષિત અને દોષિત વ્યક્તિ નિર્દોષ જાહેર થાય છે તેમ બંધનકરણના અધ્યવસાયથી બંધાયેલ કર્મમાં સંક્રમણકરણ ન લાગે તો જે કર્મ સુખાદિક કે દુઃખાદિક જે ફળ આપવાના સ્વરૂપે બંધાયેલ હોય તે કર્મ તે સ્વરૂપે ફળ આપે છે અને જો બંધાયેલ તે કર્મમાં સંક્રમણ કરણ લાગી જાય તો સુખાદિક કે દુઃખાદિકરૂપે ફળ આપવાના સ્વરૂપે પ્રથમ બંધાયેલ હોવા છતાં વિપરીત થઈ જાય છે અર્થાત્ દુઃખાદિક કે સુખાદિક સ્વરૂપે ફળ આપવાના સ્વભાવવાળાં થઈ જાય છે.
ઉદ્વર્તનાકરણ નીચેની અદાલતે ગુનેગારને એકાદ વર્ષની સામાન્ય કેદની અથવા એકાદ હજાર રૂપિયાના દંડની સજા કરી હોય અને જો તે ગુનેગાર ઉપરની અદાલતમાં કેસ લડે તો ક્યારેક એકાદ વર્ષના બદલે બેચાર વર્ષની અને સામાન્ય કેદના બદલે સખત મજૂરી સાથેની કેદની અગર હજારના બદલે બે હજારના દંડની સજા થઈ જાય છે, તેમ બંધ સમયે અમુક સ્થિતિ કે અમુક રસવાળું કર્મ બંધાયું હોય અને પછી તેમાં ઉદ્વર્તન કરણરૂપ અધ્યવસાયોની અસર થાય તો ઉદ્વર્તન થઈ જાય, તેથી પ્રથમ બંધાયેલ કર્મની સ્થિતિ અને રસમાં વધારો થઈ જાય છે.
અપવર્તનાકરણ નીચેની અદાલતમાં ગુનેગારને બે વર્ષ વગેરે મુદતની અને સખત મજૂરી સાથેની કેદની અગર બે હજારના દંડની સજા થઈ હોય અને પછી તે ઉપરની અદાલતમાં અપીલ કરીને કેસ લડે તો કેટલીક વાર બે વર્ષ વગેરેના બદલે ઘટીને એકાદ વર્ષની અને સખત મજૂરીની કેદના બદલે સામાન્ય કેદની તથા બે હજારની રકમના બદલે એકાદ હજારની રકમના દંડની સજા થાય છે, તેમ બંધ સમયે જેટલી સ્થિતિ અને જેટલા રસવાળું જે કર્મ બંધાયું હોય તેમાં અપવર્તના કરણરૂપ અધ્યવસાયોની અસર થાય તો તેની અપવર્તન થઈ જાય-એટલે કે બંધ સમયે બંધાયેલ કર્મની સ્થિતિ અને રસમાં ઘટાડો થઈ જાય છે.
ઉદીરણાકરણ.... ખૂન આદિનો મોટો ગુનો કરનાર વ્યક્તિ ઉપર અદાલતમાં કેસ ચાલુ હોય અગર કેસના ચુકાદામાં જેલ વગેરેની અમુક સજા થઈ હોય તે જ દરમ્યાન તે જ ગુનેગાર ખૂન આદિનો કોઈક બીજો ગુનો કરે અને તે ગુનાના બદલામાં થયેલ જેલ આદિની સજા પ્રથમના ગુનાના બદલામાં થયેલ જેલ આદિની સજાની સાથે ભોગવાઈ જાય છે તેવી રીતે પ્રથમ બંધાયેલ કર્મના ઉદયકાળમાં પ્રાપ્ત થયેલ દલિકોની સાથે અમુક પ્રકારના ઉદીરણાકરણરૂપ અધ્યવસાયો દ્વારા ઉદયકાળ પ્રાપ્ત નહિ થયેલાં કર્મલિકો પણ ઉદયમાં આવી જોગવાઈને દૂર થઈ જાય છે.