________________
ઘરવાસ-ત્યાગ કરી દેવો.”
પાંડવોએ આ વાત કબૂલ કરી. નારદજી ચાલ્યા ગયા અને આ વ્યવસ્થા સારી રીતે ચાલવા લાગી.
પાંડવોને તો તેમાં કાંઈ વિશેષ ભોગ આપવાનો ન હતો. હા, ભૂલથી પણ પોતાના વારા વિનાના સમયમાં દ્રૌપદીના મહેલમાં ન જઈ ચડાય તેની કાળજી રાખવાની હતી. પણ આ કાંઈ બહુ મહેનતનું કામ ન હતું.
દ્રૌપદી : ખરેખર મહાસતી ખરેખરી કસોટી તો દ્રૌપદીની હતી. એ વખતે જેનો વારો હોય તે વખતે તે પુરુષ સિવાયના બાકીના ચારેય પતિઓને તેણે ભાઈ-બરોબર સમજવાના હતા. તે સમયમાં તેના મનમાં તેમાંના કોઈને પણ ‘પતિ' રૂપે તેણે પ્રવેશ થવા દેવાનો ન હતો.
પરપુરુષને ભાઈ-બરોબર ગણવા એ કરતાં ય પોતાના પતિઓને ભાઈ-બરોબર ગણવા-તે ય અમુક સમય પૂરતા-તે સાધના અતિ કઠિન છે. જેની સાથે ગઈ કાલે ભોગો ભોગવ્યા છે તેને આજે માડીજાયા ભાઈ તુલ્ય જોવો એ કાંઈ સામાન્ય કોટિની વાત નથી.
આથી જ દ્રૌપદીને સતી ન કહેવી જોઈએ પણ “મહાસતી' જ કહેવી જોઈએ. સીતાજી વગેરેએ પરપુરુષોને ‘ભાઈ’ ગણ્યા હતા.
દ્રૌપદી સ્વપતિઓને પણ નારદ-વ્યવસ્થા મુજબ ‘ભાઈ’ બરોબર ગણી શકી હતી. અને તે પણ સદા માટેની એક જ વ્યવસ્થા હોત તો હજી સરળ હતી. આ તો ‘ભાઈ-બરોબર’ ગણવાની વ્યવસ્થા પણ સતત પરિવર્તનશીલ હતી.
પાંચ પતિઓની પત્ની દ્રૌપદી કુલટા કે વેશ્યા કહેવાને તો લાયક નથી જ, પરંતુ સતી કહેવાને ય લાયક નથી. મારી દૃષ્ટિએ તો તેને “મહાસતી' જ કહેવી ઘટે.
જૈન મહાભારત ભાગ-૧