________________
ધાર્મિક શિક્ષણ - ૧૬૯ મેળ ખાતો ન જોતાં એ શિક્ષિતગણ પોકારી ઊઠે છે કે ધાર્મિક શિક્ષણ નકામું છે.
અત્યારની સાંપ્રદાયિક બધી જ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ આપનારાઓ અને સંસ્થાના સંચાલકો મોટે ભાગે બુદ્ધિસ્વાતંત્ર્ય અને તર્કશક્તિ, કે જે બંને મનુષ્યત્વના પ્રાણ અને ખરું જીવન છે, તેના ઉપર અંકુશ મૂકે છે. દા. ત., કોઈ જૈન વિદ્યાર્થી ધાર્મિક શિક્ષણ લેતી વખતે દૂધ-ઘીના જ સમુદ્રોનું વર્ણન સાંભળી તેમજ સોનારૂપાના પહાડોનું વર્ણન સાંભળી એ વિશે પુરાવા માગે અગર તો વિશેષ જિજ્ઞાસા પ્રગટ કરે તો શિક્ષકો એના ઉપર લાલ આંખ ન કરે એમ માની લઈએ, તોપણ એટલું તો જરૂ૨ જ કહેવાના કે આપણી બુદ્ધિ પરિમિત છે અને પરતંત્ર છે તેથી તેને આવી બાબતો વિશે માત્ર શ્રદ્ધા રાખવાનું હોય છે; એમાં શંકા કરવી એ પણ ધર્મહત્યા છે. વળી કોઈ રડ્યોખડ્યો શિષ્ય તર્ક કરે કે ભગવાન મહાવીરની તહેનાતમાં કરોડો દેવો રહેતા એમ કહેવાય છે, ત્યારે ભગવાનના સમયના રાજાઓ અને બીજી વ્યક્તિઓના ઉલ્લેખો જેમ બૌદ્ધ આદિ શાસ્ત્રોમાં મળી આવે છે તેમ આવી અજબ વસ્તુઓનો ઉલ્લેખ કેમ નથી મળતો ? વળી, કોઈ વિદ્યાર્થી એમ તર્ક કરે કે પૂજામાં ફૂલોના ઢગલા કરો છો તે, અથવા તીર્થરક્ષાને નામે કોઈ કોઈ વાર મનુષ્યહત્યા સુધીનાં અજાણતાં પણ પગલાં ભરાય છે તે, ત્યાગ અને અહિંસાની સાથે બંધ કેવી રીતે બેસે ? એક તો આવા તર્કો ઊઠવા જેવી બુદ્ધિ જ ઘટી ગઈ છે, અને કદાચ દુર્ભાગ્યે કે સદ્ભાગ્યે ઊઠ્યા તો તેવા તર્ક કરનારને મોટે ભાગે નાસ્તિક અથવા દોઢડાહ્યો કહીને ઉતારી પાડવામાં આવે છે. જ્યારે એમાંના કોઈ વિદ્યાર્થી આગળ જતાં સ્વતંત્ર વિચારક અને તાર્કિક થાય છે ત્યારે તેઓ પેલા વિદ્યાર્થીજીવનના ધાર્મિક શિક્ષણ સામે તોબા પોકારે છે, અને બળવો ગાવે છે.
ધાર્મિક શિક્ષણમાં જે વિષય શિખવાતો હોય અને તેના ઉપર જે આચાર્યનું પુસ્તક ચાલતું હોય તે વિષય પરત્વે તે આચાર્યના પછી ભલે તે સેંકડો અને હજારો વર્ષ પહેલાં થઈ ગયા હોય) વિચારો સિવાય બહારની દુનિયામાં તે જમાના સુધીમાં બીજાઓએ શું વિચાર્યું છે અને તે જમાનાથી માંડી અત્યાર સુધીમાં તે વિષય પરત્વે આખી દુનિયામાં શું શું વિચારવામાં આવ્યું છે, શી શી શોધો થઈ છે, કાં જૂનાં સત્યો વધારે સ્પષ્ટ થયાં છે અને કઈ બાબતો ખોટી સાબિત થતી જાય છે અગર થઈ છે, તે બધાં તરફ માત્ર દુર્લક્ષ કરવામાં આવે છે. તેથી જ્યારે કોઈ ધાર્મિક શિક્ષણ લીધેલ વિદ્યાર્થી મોટી ઉંમરે પોતે શીખેલ વિષયની બાબતમાં ચોમેરથી નવું જાણે છે અથવા તેને એ જાણવા-સાંભળવાનો પ્રસંગ આવે છે ત્યારે તેને પેલો ધાર્મિક અભ્યાસ દરમિયાનનો જ્ઞાનઅંકુશ ખઙે છે અને વગર સંકોચે તે કહી દે છે કે ધાર્મિક શિક્ષણને સલામ ! એને લીધે તો ઊલટા મૂર્ખ રહ્યા !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org