Book Title: Jain Dharma ane Darshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 322
________________ ગાંધીજી અને જૈનત્વ ૩૧૩ ગાંધીજીનો આત્મા જેવો પ્રાચીનપણાનો પક્ષપાતી દેખાય છે તેવો તે ખરી રીતે નથી. તેમને કોઈપણ વસ્તુ માત્ર જૂની હોવાને કારણે જ નથી ગમતી અને માત્ર નવી હોવાને કારણે તેઓ તેને ફેંકી નથી દેતાં. તેમની કસોટી સખત છે અને ઉદારતા તો તેથીયે વધારે છે. એટલે દરેક વસ્તુ કે તેઓ જીવનસુધારણાની તેમજ પ્રજાજીવનમાં ઉપયોગીપણાની દૃષ્ટિએ કસે છે. એ કસોટીમાં તેમને જન્મસિદ્ધ ધર્મપંથના ઘણાં તત્ત્વો ફેંકી દેવાં અગર બદલી દેવા પડ્યાં છે અને બીજા ધર્મપંથોનાં કેટલાંક તત્ત્વો એમ ને એમ આગર થોડાઘણા ફેરફાર સાથે તેમણે સ્વીકાર્યો છે, જીવનમાં ઉતાર્યા છે અને કેટલીક બાબતોમાં તો તેમણે એ તત્ત્વોને પોતાનું વિશિષ્ટ સ્વરૂપ આપ્યું છે. સનાતન પંથ એટલે અચલ પંથ. તે બુદ્ધિપૂર્વક ફેરફાર અને પરિવર્તન કરવાની પહેલ નહિ કરનારો પંથ. જે એવું પરિવર્તન કરે તે તેની નજરે નાસ્તિક અગર સનાતન પંથ બહારનો; એટલે ગાંધીજીને પોતાનો જન્મસિદ્ધ ધર્મપંથ તો પચાવે એવી તેની આંતરશક્તિ જ નથી. સનાતનપંથી હોય અને ગાંધીજીને પોતાના પંથના માને તો તેને જૂની સ્મૃતિઓ, પુરાણો વગેરે ફેંકી દેવું પડે અગર તેમાનાં કેટલાક ભાગ ઉપર હરતાલ દેવી પડે. એમ કરવા જતાં તો તે અચલપંથી મટી જ જાય. એટલે કોઈપણ સનાતનપંથી એમ જ કહેવાનો કે ગાંધીજી યુરોપમાં જઈને અગર બાઈબલ વગેરે વિધર્મી શાસ્ત્રોનો સાદર અભ્યાસ કરીને, તેમજ કદાચ સનાતનપંથના પ્રૌઢ આચાર્યો પાસેથી વેદ, ઉપનિષદનું ખરું મર્મ નહિ સમજવાને કારણે, સનાતન ધર્મનાં તત્ત્વો બરાબર સમજી શક્યા નથી, અને એ તત્ત્વોનું મહત્ત્વ તેમના ધ્યાનમાં ખરેખર ઊતર્યું નથી. જોકે બીજા સુધારક પંથો પણ અનેક બાબતોમાં રૂઢિચુસ્ત અને અચલ જેવા હોય છે, છતાં તેમની મૂળ પ્રકૃતિમાં સુધારકપણાનું તત્ત્વ હોવાથી તેઓ ગાંધીજીની પ્રકૃતિને પોતાની બહુ દૂર નથી લખતાં. ગાંધીજીના આત્મામાં જે શોધનું અને ઉપયોગી વસ્તુને પચાવવાનું અસાધારણ બળ છે તેનો મેળ બધા જ સુધારક ગણાતા પંથોની મૂળ પ્રકૃતિ સાથે વધારે બેસે છે. આ જ કારણને લીધે સનાતન સિવાયના બધા જ ધર્મપંથવાળાઓ ગાંધીજીને પોતાની નજીક આણવા અગર પોતે ગાંધીજીની નજીક જવા ઓછુંવતું ઇચ્છે છે. આ રીતે જૈન સમાજના બધા જ સારા વિચારકો ગાંધીજીને જૈન માને છે અગર તેમનામાં જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતો ઓતપ્રોત થયેલા છે. બીજા ધર્મપંથો વિશે ન કહેતાં આ લેખમાં જૈન પંથ વિશે જ મુખ્યપણે કહું છું તેના બે કારણો છે. એક તો લેખની મર્યાદા અને બીજું કારણ બધી વસ્તુઓને એકસાથે ન્યાય એક જ જણ આપે તેમાં અન્યાય થવાનો સંભવ. ત્યારે આપણે હવે જોઈએ કે ગાંધીજીમાં કયાં એવાં જૈનધર્મમાન્ય ખાસ તત્ત્વો ઓતપ્રોત થયાં છે કે જેને લીધે જૈનો અગર કેટલાક જૈનેતરો એમને જૈન કહેવા અને માનવા પ્રેરાય છે. • Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349