________________
૪૦. કાલિકાલસર્વજ્ઞને અંજલિ.
આજે જે મહાપુરુષની જન્મજયંતી ઊજવવા આપણે સૌ એકઠાં થયાં છીએ એમની જન્મતિથિ – કાર્તિક શુક્લા પૂર્ણિમા – એક વિશિષ્ટ તિથિ છે. તેની સાથે અનેક મહાન વ્યક્તિઓની સ્મૃતિ સંકળાયેલી છે. ભગવાન બુદ્ધનો જન્મ આ જ તિથિએ થયો. છે, અને એની ઊજવણી માટે બનારસ પાસે સારનાથના બૌદ્ધવિહારમાં દૂર દૂરથી તિબેટ, સિલોન, ચીન અને બરમામાંથી તેમજ કોઈ કોઈ પશ્ચિમના દેશોમાંથી પણ અનેક યાત્રિકો આવે છે અને મોટા ઉત્સવ સાથે બુદ્ધજન્મની ઉજવણી કરે છે. શીખ સંપ્રદાયના સ્થાપક ગુરુ નાનક અને તપસ્વી શ્રીમદ્ રાજચંદ્ર પણ આ જ તિથિએ જન્મ્યા હતા.
જેને આપણે કલિકાલસર્વજ્ઞ કહી સન્માનીએ છીએ તેમને આપણે પૂરા પિછાનતા નથી, એ આપણું કમભાગ્ય છે. આવા પ્રખર પાંડિત્યવાળા મહાપુરુષનો જન્મદિવસ આપણે કેવા ગૌરવપૂર્વક ઊજવવો જોઈએ!
હું માનું છું કે શ્રી હેમચંદ્રાચાર્ય અને તેમના જેવા જ અન્ય અન્ય ધર્મો તેમજ ક્ષેત્રોમાં જે જે અસાધારણ પ્રતિભાવાળા પુરુષો આપણે ત્યાં થઈ ગયા હોય તેમને સમયે સમયે યાદ કરવા માટે આવા અનેક જયંતી-ઉત્સવો યોજાય તો આપણી નવીન પ્રજાને, આજના શુષ્ક અને નિષ્ઠાણ બની ગયેલા શિક્ષણ વચ્ચે, કંઈક પ્રેરણાદાયક સંદેશો આપણે આપી શકીએ.
હેમચંદ્રાચાર્યનો મહિમા મારે મન એ એક જૈન આચાર્ય હતા એ રીતે છે જ નહિ. એ તો ન કેવળ આખા ગુજરાતની, પણ સમસ્ત ભારતવર્ષની સંપત્તિરૂપ હતા, અને એ રીતે જ એમનું જીવન આપણે સમજવું જોઈએ.
હેમચંદ્રાચાર્યના પાંડિત્યનો અને રાજકારણ સહિત અનેક પ્રવૃત્તિઓમાં નિમગ્ન રહેવા છતાં એમણે કરેલ વિશાળ સાહિત્યસર્જનનો વિચાર કરીએ તો આપણે સ્તબ્ધ થઈ જઈએ છીએ. જિંદગીના છેડા સુધી આટલી બધી પ્રવૃત્તિઓ આદરનાર એ મહાપુરુષમાં શક્તિનો કેટલો સંચય થયેલો હશે એની આપણને કલ્પના પણ નથી આવી શકતી.
દક્ષિણના પાંડિત્યરૂપ પૂર્વ-ઉત્તરમીમાંસાનો પહેલવહેલો ગંભીર આભાસ ગુજરાતને હેમચંદ્રાચાર્યે જ કરાવ્યો. દૂરદૂરના દેશો તક્ષશિલા અને કાશ્મીરની વિદ્યાઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org