________________
૧૭૬ • જૈન ધર્મ અને દર્શન નવપ્રજાને નવશિક્ષણ, નવવિચાર અને વિચારસ્વતંત્રતામાં ભારે આડા આવે છે. એક રીતે તેઓ પણ પોતાના સમાજમાં મંદ ગતિએ પ્રવેશ પામતા પ્રકાશને રોકવા પોતાથી બનતું બધું કરે છે. તેને લઈને એ સમાજમાં પણ જડતા અને વિચાર વચ્ચે મહાભારત ચાલે છે. છતાં શ્વેતાંબર મૂર્તિપૂજકમાં સાધુઓનો જેટલો પ્રભાવ છે અગર જેટલો અનધિકાર હસ્તક્ષેપ છે તેમજ જેટલું ગૃહસ્થ–સાધુઓ વચ્ચે તાદાસ્ય છે તેટલું દિગંબર સમાજમાં પંડિત વર્ગ અને સાધુઓ વચ્ચે ન હોવાથી શ્વેતાંબર સમાજનો ક્ષોભ એ દિગંબર સમાજના ક્ષોભ કરતાં ઘણી રીતે વધારે ધ્યાન ખેંચે તેવો છે. સ્થાનકવાસી સમાજમાં તો સામાન્ય રીતે આવા ક્ષોભના પ્રસંગો જ ઊભા નથી થતા. તેનું કારણ સ્પષ્ટ છે. તે એ કે એ સમાજમાં શ્રાવકો ઉપર સાધુઓનો પ્રભાવ વ્યવહારક્ષેત્રમાં હાથ નાખવા પૂરતો છે જ નહિ. ગૃહસ્થો સાધુઓને માને, વંદે, પોષે એટલું જ; પણ સાધુઓ ગૃહસ્થની પ્રવૃત્તિમાં સીધી કે આડકતરી રીતે ભાગ લેતા માલૂમ પડે તો તેઓને સાધુ તરીકે જીવવું જ ભારે પડી જાય. અલબત્ત, શ્વેતાંબર સાધુઓએ ગૃહસ્થજીવનના વિકાસ વાસ્તે જે કંઈ કર્યું છે તેનો શતાંશ પણ સ્થાનકવાસી સાધુઓએ નથી કર્યો, છતાં એ પણ ખરું કે તેઓએ શ્વેતાંબર સાધુઓની પેઠે ગૃહસ્થના જીવનવિકાસમાં અંતરાયના પહાડો નથી ઊભા કર્યા કે નથી એમાં રોડાં નાખ્યાં. ખરી રીતે સ્થાનકવાસી સમાજમાં પણ જૂના અને નવા માનસ વચ્ચે અથડામણી છે, પણ તે અથડામણીનાં મૂળ સૂત્રો સાધુઓના હાથમાં નથી. તેથી જ એમની એ અથડામણી લાંબો વખત નથી ચાલતી કે ઉગ્ર રૂપ ધારણ નથી કરતી. એનો નિકાલ આપોઆપ, બાપબેટા વચ્ચે. મા-દીકરી વચ્ચે અને ભાઈ ભાઈ વચ્ચે આવે છે તેમ, આવી જાય છે; જ્યારે શ્વેતાંબર સમાજમાં આવો નિકાલ સાધુઓ અશકય કરી મૂકે છે. સાધુઓ અને ધાર્મિક તકરારો
હવે આપણે સહજ પાછલી શતાબ્દીઓ તરફ વળીએ અને જોઈએ કે અત્યારે જે અથડામણી સાધુઓ અને નવીન પ્રજા વચ્ચે દેખાય છે તેવી કોઈપણ જાતની અથડામણી અત્યાર અગાઉ સાધુ અને ગૃહસ્થો વચ્ચે, ખાસ કરી કેળવણી અને સંસ્કારની બાબતમાં, ઊભી થયેલી ખરી ? ઇતિહાસ કહે છે કે નહિ. શ્વેતાંબર સમાજમાં ભગવાન મહાવીર પછી અત્યાર લગીના ઇતિહાસમાં અનેક તકરારો, કલહો અને અથડામણીઓ થયાનાં પ્રમાણો મળે છે, પણ એ અથડામણીઓ જ્યારે ધાર્મિક હતી ત્યારે તેની બંને બાજુના વિરોધી સૂત્રધારો માત્ર સાધુઓ જ રહેતા. સાધુઓ પૂર્ણ અહિંસક હોઈ હિંસાયુદ્ધ સીધી રીતે ખેલી ન શકે, એટલે દોરવણીનાં સૂત્રો હાથમાં રાખી પોતપોતાની ગચ્છની છાવણીઓમાં દાખલ થયેલ શ્રાવક સિપાઈઓ વાટે જ લડતા; અને એટલું બધું કૌશલપૂર્વક લડતા કે લડવાની ભૂખ પણ સૌની શમે અને અહિંસા પણ સચવાઈ કહેવાય. એ રીતે જૂના ઇતિહાસમાં શ્રાવકો શ્રાવકો વચ્ચેની ધાર્મિક લડાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org