Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ્રથમ પદ:પ્રજ્ઞાપના
.
[ 1 ]
વિવેચન : -
વનસ્પતિની દશ અવસ્થાઓ છે. મૂળ, કંદ, અંધ, શાખા, પ્રશાખા, પ્રવાલ, પત્ર, પુષ્પ, ફળ અને બીજ. આ દશ અવસ્થામાં તે સચેત હોય છે. તેમાં સર્વ પ્રથમ એક મુખ્ય જીવ ઉત્પન્ન થાય છે, જે સર્વ વિભાગોમાં વ્યાપ્ત રહે છે. બીજના જીવની મૂળરૂપે પરિણતિક-બીજની બે અવસ્થા હોય છે—યોનિભૂત અવસ્થા અને અયોનિભૂત અવસ્થા. (૧) યોનિઅવસ્થા :- જે બીજમાં ઉગવાની યોગ્યતા હોય તે યોનિભૂત કહેવાય છે. તેમાં કોઈ બીજ સચેત-જીવ સહિત હોય અને કોઈ બીજ અચેત-જીવ રહિત હોય છે. બીજ સ્વયં જીવ રહિત કે જીવ સહિત હોય પરંતુ તેમાં અન્ય જીવને ઉત્પન્ન કરવાની યોગ્યતા હોય તેને યોનિભૂત અવસ્થા કહે છે. (૨) અયોનિ અવસ્થા :- જે બીજમાં અન્ય જીવને ઉત્પન્ન કરવાની યોગ્યતા ન હોય, તેને વિધ્વસ્તયોનિ અથવા અયોનિભૂત અવસ્થા કહે છે.
આ બંને પ્રકારના બીજમાં અયોનિભૂત બીજમાં તો તે જ જીવ કે અન્ય કોઈ પણ જીવની ઉત્પત્તિ શક્ય નથી. યોનિભૂત બીજને ઊગાડવાથી તેમાં તે જ જીવ અથવા અન્ય કોઈ જીવ ઉત્પન્ન થઈ શકે છે અર્થાત્ બીજમાં જે જીવ હોય, તેનું આયુષ્ય પૂર્ણ થતાં તે જીવ ત્યાંથી નીકળી જાય અને તે બીજ નિર્જીવ થઈ જાય છે. ત્યારપછી તે જ બીજનો જીવ પુનઃ તે અચિત્ત બીજ રૂપ શરીરમાં મુખ્ય જીવરૂપે અર્થાત્ મૂળ રૂપે ઉત્પન્ન થાય છે. આ રીતે બીજનો જીવ મૂળરૂપે ઉત્પન્ન થાય છે, મૂળ આદિ રૂપે પરિણત થાય છે અને ક્યારેક બીજનો જીવ મૃત્યુ પામી અન્યત્ર ચાલ્યો જાય તો પૃથ્વીકાયિક આદિ કોઈ પણ અન્ય જીવ આવીને ત્યાં મૂળરૂપે(મુખ્ય જીવ રૂપે) ઉત્પન્ન થાય છે.
પ્રત્યેક બીજ જ્યારે અંકુરિત થાય છે ત્યારે તેની કુંપળ અવસ્થામાં અનંત જીવો હોય છે ત્યાર પછી જેમ જેમ તેનો વિકાસ થાય, તેમ તેમ તે જીવો પોતાના કર્માનુસાર અન્ય અવસ્થાને પ્રાપ્ત કરે છે અને ત્યાર પછી તે વનસ્પતિમાં જે પ્રકારની યોગ્યતા હોય તે પ્રમાણે તે જ જીવો અથવા અન્ય જીવો ત્યાં પ્રત્યેક અથવા સાધારણ વનસ્પતિરૂપે જન્મ ધારણ કરે છે. સાધારણ શરીરી જીવોનો જીવન વ્યવહાર:८२
समगं वक्कंताणं, समगं तेसिं सरीरणिव्वत्ती । समगं आणुग्गहणं, समगं ऊसास णीसासे ॥१९॥ एक्कस्स उ जं गहणं, बहूण साहारणाण तं चेव । जं बहुयाणं गहणं, समासओ तं पि एगस्स ॥१०॥ साहारणमाहारो, साहारणमाणुपाणगहणं च । साहारणजीवाणं, साहारणलक्खणं एयं ॥१०१॥