________________
26
આત્મ સેતુ
બહેનશ્રી : ગુરૂ તરીકે આપના હૃદયમાં જેઓ વસ્યા છે તેઓશ્રીને યાદ કરો.
તેઓશ્રી આપના પ્રેરણા સ્ત્રોત છે. તેમની તરફ ધ્યાન આપો.
જેને પરમાત્મા પ્રત્યે ઉત્સુકતા જાગી છે.
જે પોતાના જીવન પર નજર નાખી વિચારે છે કે ફરી ફરીને આ ઘટમાળ ક્યાં સુધી?
વસ્તુ
ને વ્યક્તિ પ્રત્યે આકર્ષણ થાય, તે મેળવવાની કામના થાય, વધુ મેળવવાનો લોભ થાય. મેળવવાની દોડ ચાલે.
અન્યના કામ, ક્રોધ, લોભ, મોહ, વેર, ઝેર ઇર્ષાના સકંજામાં સપડાવું પડે.
પોતાના કામ, ક્રોધ, લોભ, મોહના પગ નીચે દબાયેલા રહેવુ પડે.
ફરી ફરીને આ ચક્ર ચાલ્યા કરે. ચાલ્યા જ કરે. તેમાં ફસાયેલું જ રહેવાય.
તેમાંથી છૂટવાના ભાવ જાગ્યા હોય.
અવિરત પ્રયત્નો છતાં "હવે તો બસ શાંતિ એ પળ દુર ને દુર ભાગતી હોય અને અંતર મનમાં વિચાર વંટોળ ઊઠતો હોય,
કે આ સઘળુ શું છે? આ સઘળું કેમ છે? આ સઘળું ક્યાં સુધી છે?
આવા અનેક પ્રશ્નો ઊકેલી જે સમાધાન અને શાંતિ પામ્યા હોય, શુદ્ધિ અને મુક્તિના માર્ગે નીકળી પડ્યા હોય તેવા કોઈ ગુરૂજનનો ભેટો થઈ જાય,
તેમની શાંતિ, સમતા અને દિવ્યતા જોઈ તેમની પ્રત્યે અદ્ભુત આકર્ષણ જાગે અને કોઈ મંગલ ઘડીએ આપે
આપના હૃદયમાં તેમને સ્થાન આપ્યુ હોય, તો...
તેઓશ્રી પ્રત્યે પ્રેમપૂર્વક સમર્પિત થવાય, તેઓશ્રીની સેવા, સુશ્રુષા અને સાર સંભાળ લેવામાં ધન્યતા અનુભવાય. તેમનું ધ્યાન કરો. તેમના ચરણમાં બેસો. સેવા કરો. આજ્ઞામાં રહો. તેમની વાણીના ઊંડાણના ભાવને સમજો. તેનું ચિંતન મનન અને રટણ કરો.
આપની પરમાત્મા પ્રત્યેની ઉત્સુકતા, પ્રેમ, ભક્તિ અને સેવા જોઈ ગુરૂનો આપના પ્રતિ નિઃસ્વાર્થ પ્રેમ વહેતો
થાય.
આત્માથી પરમાત્મા સુધીની યાત્રામાં તેઓ આપને ભાતુ બંધાવતા રહે. સ્નેહથી શક્તિ સીંચે. તેઓશ્રીના અમૂલ્ય વચનો મંત્ર સમા છે. તેનું રટણ અને અનુભવન કરો.
ગુરૂ પ્રત્યે સમર્પિત થઈ જાઓ.
કોઈ ધન્ય પળે ગુરૂની કૃપા દૃષ્ટિ આપની ઉપર વરસશે. મુક્તિનો માર્ગ ઉજાળશે.
તા. ૧૧ ઓગષ્ટ ૨૦૦૨
સત્સંગી : વર્ષોથી શાસ્ત્રવાંચન કરીએ છીએ. શાસ્ત્રની વાતો મગજમાં બુદ્ધિથી સમજાય છે. યાદ રહે છે, પણ અંતરમાં નથી ઉતરતું. શાસ્ત્રના લખાણના સવાલના જવાબ આવડે છે, પણ આચરણમાં નથી આવતુ. કામ ધંધે જઈએ એટલે શાસ્ત્રની વાતો શાસ્ત્રમાં, અમે જે કરતાં હોઈએ તે જ કરીએ. આત્માને ઓળખવો છે. શું કરવું?