________________
આત્મ સેતુ
સત્સંગી : જાણુ તો છું... પણ કરી શકતી નથી. પાઠ કરવા બેસું પણ તેમાં ધ્યાન રહેતું નથી. મન બીજે ભટકવા લાગે છે.
બહેનશ્રી : આપ કહો છો તમે ટેન્શનમાં અને ચિંતામાં રહ્યાં કરો છો. તમે જાણો છો કે ધાર્મિક ક્રિયામાં તમારૂં મન નથી લાગતું. તમારાથી એ થઈ શકતી નથી.
તો, પૂજા-ભક્તિ, સામાયિક વગેરે કરવા સક્ષમ થવું જોઈશે ને? સક્ષમ થવા માટે પ્રથમ મનદુઃખ, ચિંતાની દવા કરવી પડશેને?
મન ભટકતું અટકે, કંઈક સ્થિર થાય તેના ઉપાય વિચારવા રહ્યા,
મન ઉપરનો ભાર ઓછો કરી હળવા થવું જોઈએ.
એમ વિચાર આવે કે અનુકૂળતા હોય તો હળવાશ રહે તો ધર્મ થાય.
ધારો કે તમે ધારેલી અનુકૂળતા થઈ તો ધાર્મિક ક્રિયામાં મન લાગશે? પછી એમ નહીં બને ને કે એ અનુકૂળતા ટકાવવાના વિચારો ચાલશે અને મન નહીં લાગે.
અનુકૂળતા વધારવાની ઇચ્છા જોર કરશે અને મન તેમાં અટવાશે.
એમ પણ વિચાર આવી શકે કે, “અત્યારે તો મજા છે. આ ધરમ... બરમ... તો ઠીક છે. આગળ જોયું જશે.”
અત્યારે મનદુઃખથી ટેન્શનમાં આવેલા તમને ધર્મની યાદ કદાચ વધું આવે છે.
આ ધર્મયાદની રળિયામણી ઘડીને સંભાળી, સંવારી લઈએ,
જે મળ્યું તેમાં રાજી રહીને, અન્યને રાજી રાખીને સંતોષની રેખા દોરીએ.
અપમાન, ગુસ્સો, અસહકાર મળે છે? સામે તેમ ન કરતાં જતું કરીએ. પ્રેમપૂર્વક રહેવાનો યત્ન કરીએ. સંજોગો અને સંબંધોનો આપણી પર ઘણો પ્રભાવ છે. બહારથી પડતો પ્રભાવ અને અંદરથી આવતી વૃત્તિઓથી પ્રતિક્રિયાની પ્રવૃત્તિ ચાલતી રહે છે.
આત્મશુદ્ધિ માટે, કંઈ સર્જનાત્મક-પોઝીટીવ વર્તનનો અવકાશ વધારવા, હળવા થતાં રહેવું, સંતોષ અને સ્થિરતા વધારવા પ્રયત્ન કરવો તે આજનો ધર્મ.
79
થોડા સ્વસ્થ રહેતાં થવાય, વૃત્તિઓ જરા નરમ પડે.
મન પર બોજો વધવાને બદલે ઓછો થતો જાય, દૃષ્ટિ અંતર તરફ વળતી થાય અને મનની શક્તિ એકત્ર થવી શરૂ થાય...
તો સંભવ છે ધાર્મિક ક્રિયાઓમાં ધ્યાન આપવાની શક્યતા વધતી જાય!
તા. ૧૨ જાન્યુઆરી ૨૦૦૪
સત્સંગી : મને એમ હતું કે મેં ધર્મ વિશે વાંચ્યું છે, સાંભળ્યું છે, નિત્યક્રમ કરૂં છું એટલે, હું ધર્મ કરૂં છું... હવે મને એમ લાગે છે કે ધર્મ એટલે શું? તે હું ખાસ સમજી નથી. હું ધર્મ અર્થે જે કરૂં છું તે સઘળુ “મારી બહાર” કરૂં છું, ધર્મ અર્થે "મારી અંદર" પણ કંઈ કરવાનું હોય તેનો મને સહેજે ખ્યાલ ન હતો.
.....