________________
સત્સંગ-સંજીવની
૧૦
મુમુક્ષુ ભાઈઓએ પૂજ્યશ્રી અંબાલાલભાઈ ઉપર લખેલ પત્રો
પત્ર-૧
મુ. વસો શુભક્ષેત્ર
પરમકૃપાળુ મુનિશ્રીની સેવામાં -
ખેડાથી લિ. મુનિ દેવકરણજીના સવિનય નમસ્કાર પ્રાપ્ત થાય.
‘ઉત્તરાધ્યયન’ના બત્રીસમા અધ્યયનનો બોધ થતાં અસદ્ગુરૂની ભ્રાંતિ ગઈ; સદ્ગુરૂની પરિપૂર્ણ પ્રતીતિ થઈ, અત્યંત નિશ્ચય થયો, તે વખતે રોમાંચિત ઉલ્લસ્યાં, સત્પુરૂષની પ્રતીતિનો દૃઢ નિશ્ચય રોમ રોમ ઉતરી ગયો. આજ્ઞા વશ વૃત્તિ થઈ. રસાસ્વાદ વગેરે વિષય-આસક્તિના નિકંદન થવા વિષે અદ્ભુત આશ્ચર્ય ઉપદેશ થયો કે નિદ્રાદિ, ક્રોધાદિ પ્રકૃતિઓ પ્રત્યે શત્રુભાવે વર્તવું, તેને અપમાન દેવું, તેમ છતાં ન માને તો ક્રુર થઈ તે ઉપશમાવવા, ગાળી દેવી, તેમ છતાં ન માને તો ખ્યાલમાં રાખી, વખત આવ્યે દાબી દેવી, ક્ષત્રિય ભાવે વર્તવું; તો જ વૈરીઓનો પરાજય કરી સમાધિ સુખને પામશો. વળી પરમ ગુરૂની વનક્ષેત્રની દશા વિશેષ અદ્ભુત વૈરાગ્યની, જ્ઞાનની જે તેજોમય અવસ્થા પામેલ આત્માની વાત સાંભળી દિગ્મૂઢ થઈ ગયો.
એક દિવસે આહાર કરીને હું કૃપાનાથ ઉતરેલા તે મુકામે ગયો. તે બંગલાને ચાર માળ હતા. તેના ત્રીજા માળે પરમકૃપાળુદેવ બિરાજ્યા હતા. તે વખતે તેમની અદ્ભુત દશા મારા જોવામાં આવ્યાથી મેં જાણ્યું કે હું આ અવસરે છતો થઈશ તો તે આનંદમાં કંઈ ફેરફાર થશે, એમ વિચારી હું એક ભીંતના પડદે રહી સાંભળતો હતો. તે કૃપાનાથ પોતે પોતાને કહે છે.
અડતાલીસની સાલમાં (સં.૧૯૪૮) રાળજ બિરાજ્યા હતા તે મહાત્મા શાંત અને શીતળ હતા. હાલ સાલમાં વસો ક્ષેત્રે વર્તતા મહાત્મા પરમ અદ્ભુત યોગીંદ્ર પરમ સમાધિમાં રહેતા હતા. અને આ વનક્ષેત્રે વર્તતા પરમાત્મા પણ અદ્ભુત યોગીંદ્ર પરમશાંત બિરાજે છે. એવું પોતે નગ્નભાવી, અલિંગી, નિઃસંગ દશા વર્ણવતા હતા. આપે કહ્યું તેમ જ થયું, ફળ પાક્યું, રસ ચાખ્યો, શાંત થયા, આજ્ઞાવડીએ હંમેશાં શાંત રહીશું. એવી વૃત્તિ ચાલે છે કે જાણે સત્પુરૂષનાં ચરણમાં મોક્ષ પ્રત્યક્ષ નજરે આવે છે. પરમકૃપાળુદેવે પૂર્ણ કૃપા કરી છે. સૂત્રકૃતાંગ, પ્રથમ શ્રુતસ્કંધ, દશમું સમાધિ અધ્યયન મારી પાસે કાવ્યો બોલાવી, પરમગુરૂ સ્પષ્ટ ખુલ્લા અર્થ કરી, સમજાવતા હતા; પૂર્ણ સાંભળ્યું. વળી તેરમું યથાતથ્ય અધ્યયન મારી સમીપે બે દિવસ એકાંતમાં વાંચવા આપ્યું હતું. તે પછી પોતે ખુલ્લા અર્થ સમજાવ્યાં હતાં. અલ્પ બુદ્ધિ વડે કંઈક સ્મરણમાં લેવાયા હશે. એમ એક આહારનો વખત એળે ગુમાવીએ છીએ. બાકી તો સદ્ગુરૂ સેવામાં કાળ વ્યતીત થાય છે, એટલે બસ છે. તેનું તે જ વાક્ય તે જ મુખમાંથી જ્યારે શ્રવણ કરીએ છીએ ત્યારે નવું જ દીસે છે. એટલે હાલમાં પન્નાદિથી જણાવવાનું બન્યું નથી, તેની ક્ષમાપના ઈચ્છું છું. લખવાનું એ જ કે હર્ષસહિત શ્રવણ કર્યા કરીએ છીએ. સર્વોપરી ઉપદેશમાં એમ જ આવ્યા કરે છે કે શરીર કૃશ કરી માંહેનું તત્ત્વ શોધી, ક્લેવરને ફેંકી ચાલ્યા જાઓ; વિષય કષાયરૂપ ચોરને અંદરથી બહાર કાઢી, બાળી જાળી, ફુંકી મૂકી, તેનું સ્નાનસૂતક કરી, તેનો દહાડો પવાડો કરી શાંત થાઓ; છૂટી જાઓ; શમાઈ જાઓ; શાંતિ શાંતિ શાંતિ થાઓ; વહેલા વહેલા તાકીદ કરો. જ્ઞાની સદ્ગુરૂના ઉપદેશેલાં વચનો સાંભળીને નોંધ : આ પત્ર નં. ૧ નવો મળી આવેલ મુદ્રિત કર્યો છે.
૨૩૫