________________
“મનુષ્યનો મોટો ગુણ સંતોષ છે. તે હોય તો જીવનમાં ઘણી શાંતિ રહે અને સાચું સુખ મળે, કારણ કે સાચું સુખ શાંતિમાં જ છે. મનુષ્યજીવનમાં તેર કાઠીયાઓ છે, તે કોઈ રીતે સંતોષવૃત્તિ થવા દેતા નથી. તેથી જીવનને સાચી શાંતિ મળતી નથી અને શાંતિ વિના સુખ પણ મળતું નથી, તોપણ આપણે સંસારી જીવોએ જેમ બને તેમ દયા અને દાનમાં વધુ ને વધુ લાગણી કેળવવાની જરૂર છે. મનુષ્યજીવનનું સાચું ભાથું એ જ છે, કારણ કે આવતા ભવે જરૂર તે કામ આવવાનું છે.”
વર્ષો પહેલાંની ગોવિંદજીભાઈની આ વિચારસરણી આજે પણ કેટલી આચરણને યોગ્ય લાગે છે ! હૃદયમાં દયા, જીવનમાં સંતોષ અને વ્યવહારમાં દાનના ત્રિવેણી સંગમથી જીવનને ધર્મમય બનાવવાની કેવી ઉજ્જ્વળ ભાવના અહીં પ્રગટ થાય છે ! આવા કુટુંબમાં જન્મ લેનારા લખમશીભાઈ અને પત્ની જશોદાબહેન જીવનભર ધાર્મિક કાર્યોમાં સતત પ્રવૃત્ત રહ્યાં.
લખમશીભાઈએ વ્યવહારિક કેળવણી પૂર્ણ કરીને પોતાની કુશાગ્ર બુદ્ધિ અને સ્વભાવથી વ્યાપારમાં ઝંપલાવ્યું અને અથાક મહેનત કરીને સફળતા હાંસલ કરી. એમનાં લગ્ન નવા ગામના શાહ વેલજી દેપાળભાઈનાં સુશીલ અને સદ્ગુણી પુત્રી જશોદાબહેન સાથે થયાં. સોનામાં સુગંધ ભળે તે રીતે એમનું દામ્પત્યજીવન સુખ અને સંતોષથી વ્યતીત થવા લાગ્યું. એમને ઘેર ગયેલી વ્યક્તિ ક્યારેય નિરાશ કે નારાજ થઈને પાછી ફરતી નહીં. વિધિની વિચિત્રતા એવી કે દામ્પત્યની આ જોડી ખંડિત થઈ અને એ પછી થોડા જ વખતમાં ઈ. સ. ૧૯૬૭ની ૨૮મી નવેમ્બરે મોમ્બાસામાં
શ્રી નમસ્કાર મહામંત્રના શાંતિપૂર્વક જાપ કરતાં કરતાં લખમશીભાઈએ પણ આ ભંગુર દુનિયાની વિદાય લીધી. એમના માયાળુ અને લાગણીશીલ સ્વભાવને કારણે લખમશીભાઈ જ્યાં ગયા ત્યાં એમણે સ્નેહની સુવાસ ફેલાવી હતી અને એથી એમનાં ચાહકો, મિત્રો અને પ્રશંસકો ઠેર ઠેર હતાં. આ લખમશીભાઈ પોતાની ભાવનાનો વારસો પોતાના પુત્ર મનસુખભાઈ અને સુધીરભાઈ તથા પુત્રી હેમલતાબહેનના જીવનમાં મૂકતાં ગયા. એમની સરળતા, લાગણીશીલતા અને ધર્મપ્રેમ બીજમાંથી વટવૃક્ષ બને તેમ એમના પરિવારમાં ફેલાઈ ગયાં.
ર
VII