________________
3
જો અને તો
જિંદગી અનુભવની સમગ્રતાનો સરવાળો છે વારંવાર દિશા બદલતી આપણા મનની હવા પણ એનો જ એક અંશ છે. જો આમ થાય તો હું આમ કહું ! આ ‘જો’ની પાછળ રહેલા સાનુકૂળ સ્વાર્થનો ધ્વનિ નથી સંભળાતો ? અને ‘તો’નું પલાયનવિષ આપણને સતત પખાળ્યા કરે છે અને આપણા આચારને સત્યથી ને સાહસથી યોજનો દૂર લઈ જાય છે.
–
કેટલીક વાર આપણા ‘તો’ના બચાવમાં વ્યવહારવાદીનું મહોરું પહેરી લઈ આપણી દલીલોનો આપણે જ જવાબ વાળીએ છીએ. પણ આપણામાં સાચું બોલવાની શક્તિ નથી. આપણું મન કેવું મર્યાદામાં મહાલે છે એનો આ પુરાવો છે.
શક્તિ હોય તો ‘તો'નો જન્મ જ થાય નહીં એવા માનવીનું અનુભવજગત અનેક આઘાત અને પ્રત્યાઘાતોની વચ્ચે ઘડાતાં એની જિંદગીમાંથી સાચો રણકાર નીકળે છે. પલાયનની પૂજા કરનારાઓનું તો મૃત્યુ પણ સ્વાગત કરતું નથી. સામી છાતીએ સત્યની સ્થિતિને જીરવનારા જ ધુમ્મસવિહીન અવકાશમાં જીવે છે.
જેઓ વ્યથાને વિસ્મરી શકે છે તે જ નિતનૂતન સંવેદનાના સ્વામી બનીને પરિસ્થિતિને પડકાર આપી શકે છે. આપણા હૃદય અને મનમાં ધરતીકંપ તો સતત થતા રહેવાના, એની વચ્ચે જ કર્મની ધાર બુઠ્ઠી બની ન જાય તે જોવાનું રહે છે.
જો આપણે ચિત્તનો છેડો જ ગુમાવી બેસીએ તો પછી ‘જો અને તો’ના તરણા સિવાય આપણી પાસે બીજો કોઈ સહારો રહેતો નથી. જેઓ સતત ભયની ખંડણી ભરીને પલાયનની પરાધીનતામાં જીવવાનું પસંદ કરે છે તેઓ ‘તો’ની તસ્કરવિદ્યાના પરિણામથી છટકી શકતા નથી પણ આપણું લક્ષ્ય આયુષ્યનું શ્રાદ્ધ નહીં, પણ આનંદની ઉજાણી કરવાનું છે અને તેથી જ ‘જો અને તો'ને મનની તીક્ષ્ણતાથી સતત ખંડિત કરતા રહેવાનું
છે.
૩૫ ૯ ૨
- લલિતકુમાર શાસ્ત્રી