________________
લાંબુ જીવવાના સાત સોનેરી નિયમો (૧) ચિંતાનો શિકાર ન બનશો. જગત છે એટલે ચિંતાઓનાં કારણો તો આવવાનાં જ. એમની પ્રતિક્રિયાઓને તમારા મન ઉપર સવાર ન જ થવા દેશો.
(૨) કાલે પણ જીવવાની મજા આવશે એ ભાવથી આજને આનંદથી જીવો. કોઈ પણ સંજોગોમાં જીવનને આગળ ધપાવવા આતુર રહો – પાછળ દષ્ટિ રાખશો નહિ. અગ્રગામી બનો.
(૩) લાગણીતંત્રને તમારા ઉપર સવાર થવા દેશો નહિ. અકળામણ, ઉકળાટ, અધીરતા, ગુસ્સો એ બધાંને પાસે આવવા દેશો નહીં. મનની સમતા જાળવી રાખો. સંજોગવશાત વિષમતા પ્રગટે તોપણ તરત સ્વસ્થ બની જાઓ.
(૪) તમારા રસનું વર્તુળ શક્ય એટલું વધારો, જેથી કંટાળા માટે અવકાશ જ ના રહે. યાદ રાખો, નિરસતા અને કંટાળો વૃદ્ધાવસ્થાને વધારે ઉશ્કેરે છે.
(૫) શ્રદ્ધાનો કોઈ સુંદર પાયો રચી રાખો. એ સંગીન પાયા ઉપર જીવનમાં મંદિરની માંગણી કરેલી હશે તો જગતમાં ગમે તેવા ઝંઝાવાત પણ તમારી એક કાંકરીય નહીં ખેરવી શકે.
(૬) શરીરની બરાબર સંભાળ રાખો. યોગ્ય આહાર-વિહાર, ઊંડા શ્વાસ, પૂરતો વિશ્રામ, જરૂરી શ્રમ અને થોડો વ્યાયામ–આ બધાંના સમતોલપણા દ્વારા શરીરને સુદઢ રાખો.
(૭) પ્રેમાળતા જાળવી રાખો. પડોશીઓ, સ્વજનો અને મિત્રો જ નહીં, અજાણ્યાઓ માટે પણ પ્રેમનો સાગર બની રહો. એ પ્રેમના વિપુલ પડઘા તમને મળ્યા જ કરશે. એથી તમારું જીવન વધારે સભર બનશે.
દીવાનખાનામાં કળાકૌશલની વસ્તુ અને ઘરમાં એલ્યુમિનિયમનાં મેલાં વાસણ; સભામાં જતાં સુંદર પોશાક અને ઘરમાં ઘાંચીનો વેશ; બોલવામાં સાધુની ભાષા અને હૃદયમાં હળાહળ વિષ – આ બધાં અતૃપ્ત જીવનનાં લક્ષણો છે.
- માર્ટિન ગપર્ટ