________________
આ સાધન, એકની પાસેથી લઈ લ્યો અને બીજાને આપો, એટલે પહેલો માણસ ગૌણ બની ગયો, અને જેની પાસે સાધન આવ્યું તે મુખ્ય બની ગયો. આમ સાધનો બદલાતાં માણસ બદલાય છે. એટલે કે જેની પાસે વધારે સાધન તે વધારે આગળ. આ શરત-દોડમાં સાધનોવાળો ફાવી જાય છે. આમ જિંદગી જ એક શરત બની ગઈ છે !
હવેનો માણસ કહે છે: માણસની સામે નહિ, એના સાધન સામે જુઓ. માણસનું ચારિત્ર, તો કહેશે, “ભલે હોય.” સંયમ પાળે છે. તો કહેશે “ઠીક છે: ભલે, આધ્યાત્મિક છે બીજું શું ? એ બધું હોવા છતાં એની પાસે બીજું શું છે ?' બીજું એટલે સમજ્યા ને ? પૈસો, અને સાધનોનો ઢગલો ! એ હોય તો કહેશે : “બરાબર, એણે ખરી કમાણી કરી છે !” આ સાધનો ગયાં તો માણસ આખો જ ગયો. માણસ પોતે જાણે કંઈ જ નથી.
આજે મનમાં દાસત્વ આવ્યું છે. આજ સુધી માણસને આધીન સાધન હતા; હવે માણસ સાધનોને આધીન થયો છે. ઘોડા ઉપર માણસ હતો તેને બદલે માણસ ઉપર ઘોડો જતો હોય એના જેવી આજે દશા છે.
જગતની એવી પરિસ્થિતિ છે. એટલે ખરી રીતે જોશો તો જણાશે કે માણસ આજે સાધનો નીચે દબાયેલો છે; જે સ્વામી હતો તે આજે અનુચર બન્યો છે. આ અનુચર કદાચ બહારની દૃષ્ટિએ નહિ દેખાય, પણ માનસિક દૃષ્ટિએ અનુભવી શકશો.
આ રીતે માણસનું મન દાસત્વ અનુભવે છે, અને તે ચેતનનું નહિ પણ જડ સાધનોનું. દાખલા તરીકે, તમે ગાડી વસાવી. તમે ગાડીમાં બેઠા. એ તમારું સાધન થયું. એક ઠેકાણેથી બીજે ઠેકાણે જવામાં એ મદદ કરે છે.
ધારો કે એ ગાડીમાં બેસીને તમે વ્યાખ્યાન સાંભળવા આવો છો, અગર તમે જંગલમાં ધ્યાન ધરવા જાઓ છો, કે ક્યાંક સ્વાધ્યાય કરવા જાઓ છો, પણ માનો કે કોઈ દિવસ તમારી ગાડી બગડી ગઈ; તો તમે શું કરો છો ? કહેશો કે આજે હવે વ્યાખ્યાનમાં નથી જવું, કારણ કે આજે ગાડી બગડેલી છે. હું કહું છું કે ભાઈ, ગાડી બગડી ગઈ છે, પણ તું એથી કેમ ચાલતો બંધ થઈ ગયો ? આ થઈ જડ સાધનની ચેતના ઉપરની અસર.
ઘણા કહે છે : “હવે અમારાથી ચલાય-બલાય નહિ. અમે તો જરાય ન ચાલીએ. ગાડી વિના બહાર જવાવાળા એ આપણે નહિ.” પછી એ ધ્યાન, વ્યાખ્યાન જે કંઈ કરતાં હોય તે બાજુમાં રહે, ગાડી જ્યારે પાછી આવે, ત્યારે પ્રવૃત્તિ ચાલુ થાય; ત્યાં સુધી બધું બંધ. એટલે માણસ કંઈ નથી, ગાડી મુખ્ય
ચાર સાધન = ૨૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org