________________
બિહારનો દુકાળ, ગુજરાતનો દુકાળ અને ચારે બાજુ કુદરતનો પ્રકોપ માનવની માનવતાના અભાવનું પ્રદર્શન નથી ?
ત્રણ દિવસ પહેલાં બિહારના મુખ્ય પ્રધાન શ્રી મહામાયા પ્રસાદ બિહારમાં આપણાં જે રાહતકેન્દ્રો શરૂ કર્યો, તે માટે પોતાની પ્રજા અને સરકાર તરફથી ધન્યવાદ પાઠવવા આવ્યા હતા. ત્યારે મેં તેમને કહ્યું હતું કે બિહારનો દુષ્કાળ માત્ર અન્ન આપવાથી, વસ્ત્ર આપવાથી દૂર થવાનો નથી. એ તો અમે આપીશું. અમે નહિ આપીએ તો અમારી માનવતા મરી પરવારેલી ગણાશે. પણ પ્રજા ઊઠશે, જાગશે, ઊભી થશે તો જ તેનો ઉદ્ધાર થવાનો છે. હવે પ્રજાને જગાડવાનું કામ કરો. પ્રજામાં જાગૃતિ આવે એવી રચનાત્મક પ્રવૃત્તિ કરવાકરાવવામાં મદદ કરો. આપેલા વચનોને સત્ય પુરવાર કરો તો જ આ બિહારની પ્રજા પ્રભુ મહાવીરના સમયમાં જેટલી સમૃદ્ધ હતી, એટલી નહિ પણ કેટલેક અંશે તો જરૂર બેઠી થશે. આ વાત સાંભળી એમણે કહ્યું કે, ભગવાન અમને સદ્દબુદ્ધિ આપે. મેં કહ્યું કે ભગવાને તો કર્મ પ્રમાણે આપી છે. ભંડારો તો ભરેલા જ છે પણ આજ સુધી એને દરવાજે તાળું હતું, હવે આપણે તાળું ખોલી એ દરવાજા ઉઘાડવાના છે.
ભગવાન મહાવીરે કહ્યું કે આપણને જે સમૃદ્ધ બનાવે, આપણને જે ઉઠાવે અને આપણામાં છુપાયેલી આપણી દિવ્યતાને બહાર લાવે એવી આઝાદી લાવો.
સુખ ઇચ્છશો તો સુખ મળશે પણ શાંતિ આપે એવું સુખ ઇચ્છો. મિત્ર જોઈશે તો મિત્રો મળશે પણ આનંદ આપે એવા આત્માને જ મિત્ર બનાવો. અને આઝાદી જોઈએ તો તે મળશે પણ આપણને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ બનાવે એવી આઝાદી મેળવો.
આજે ભગવાન મહાવીરના જન્મકલ્યાણકનો દિવસ હોવાથી આપણા હૃદયમાં ખૂબખૂબ ભાવ અને ઉલ્લાસ છે. સી મળ્યા, પણ મળીને છૂટા પડી આ પ્રસંગને ભૂલી જઈએ તો આપણને સાચો લાભ શો મળે ? આજે આપણે આ પાવન પ્રસંગનું ચિંતન કરીએ. આ ચિંતનમાંથી સંકલ્પશક્તિ પ્રગટાવીએ જેથી આપણા જીવનમાં વર્ધમાનનો જન્મ થાય.
પ્રભુ મહાવીરનું જીવન અને એમની સાધના સાગર સમી વિશાળ છે. એ વિષે શું કહી શકાય ? એની તો ઉપાસના જ હોય. આપણે તો ભાવપૂર્વક નમન કરી એટલી જ પ્રાર્થના કરીએ કે પાણી, પ્રકાશ અને પવન જેવા પ્રભુએ પ્રબોધેલાં ધ્યાન, મૌન અને તપ પ્રાણીમાત્રના આધ્યાત્મિક સ્વાથ્ય માટે હો અને સર્વ જીવો એનો પૂર્ણ લાભ પામો.
0 0 0
૩૨૮ * ધર્મરત્નનાં અજવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org