Book Title: Anubhav Prakasha Pravachan
Author(s): Dipchand Shah Kasliwal, Kanjiswami
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મહા સુદ ૧૪, બુધ ૨૮-૧-૫૩
પ્ર. -૫૩
અનુભવ પ્રકાશમાં આ નિજધર્મ અધિકાર ચાલે છે. આત્મામાં જ્ઞાન, દર્શન ને આનંદગુણ છે. તે બીજા પદાર્થમાં નથી. આવાં જ્ઞાન, દર્શન ને આનંદનું અવલંબન લઈ જે વીતરાગદશા પ્રગટે તે અસાધારણ ધર્મ છે.
(૭) અવિનાશી સુખરૂપ ધર્મ:- ધર્મ દેહ કે વાણીમાં નથી કે પુણ્ય-પાપના રાગમાં નથી. ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદમૂર્તિ છે, તે આનંદરૂપ છે, તેના અવલંબને જે આનંદ પ્રગટે તેને અવિનાશી સુખરૂપ ધર્મ કહે છે. દેહ નાશવાન છે, પુણ્ય-પાપ વિકાર નાશવાન છે માટે તે ધર્મ નથી. અંતરશક્તિનું અવલંબન લઈ જે દશા પ્રગટે તેને અવિનાશી સુખધર્મ કહે છે; મોક્ષમાર્ગ કહો કે અવિનાશી સુખધર્મ કહો એક જ છે. પોતાના આત્માના અવલંબન વિના ધર્મ થતો નથી. અજ્ઞાની કહે છે કે સંયોગ મળે ને વ્રત-તપ કરીએ તો ધર્મ થાય-તો તે વાત ખોટી છે. આનંદસ્વરૂપ આત્માનું અવલંબન લેતાં આનંદ અથવા શાંતિ પ્રગટે તેને ધર્મ કહે છે. બહારના સંયોગો અનુકૂળ વર્તે તેમાં અથવા વ્રતાદિના પરિણામમાં ધર્મ નથી. આત્મામાં આનંદ ત્રિકાળ પડ્યો છે, તેના અવલંબને આનંદ પ્રગટે તેને નિજધર્મ કહે છે. વ્યવહારરત્નત્રય શુભ ઉપયોગ છે, તેમાં ધર્મ નથી, તે આત્માની શાંતિ માટે બેકાર છે. આત્મા અનાકુળ રસનો કંદ છે, તેનું અવલંબન લઈ અમૃતદશા પ્રગટે તેને નિજધર્મ કહે છે. અંતરમાં શુદ્ધ ચૈતન્યતત્ત્વ પડ્યું છે. તેમાં આનંદનાં ઝરણાં પ્રગટ તેને નિજધર્મ કહે છે. તેને મોક્ષમાર્ગ કહે છે, તે મોક્ષનું કારણ છે. આ અંતરદૃષ્ટિની વસ્તુ છે. અંતર દેખ તો ખ્યાલ આવે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com