Book Title: Agam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Author(s): Kalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી ઉવવાઈ સૂત્ર
કરેલા કર્મોનું જ પરિણામ છે. અન્ય કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ સુખ-દુઃખનું મુખ્ય કારણ નથી. આ પ્રકારની વિચાર- ધારામાં મનને તલ્લીન બનાવવું તે વિપાક વિચય ધર્મધ્યાન છે.
७०
(૪) સંસ્થાન વિચય :- સંસ્થાન- લોકના આકારની વિચારણા કરવી. જીવના પરિભ્રમણના સ્થાન સ્વરૂપ ચૌદ રાજલોકનો આકાર, પ્રકાર, તેના વિવિધ સ્થાનો– નરક, સ્વર્ગ, દ્વીપ, સમુદ્ર, દેવલોક આદિની વિચારણા, તેમાં જીવની ગતિ-આગતિ, તે તે સ્થાનમાં પરિભ્રમણના કારણભૂત કર્મબંધ, તેના કારણો વગેરેની વિચારણા કરવી તે, તેમજ લોકમાં રહેલા જીવ, પુદ્ગલ આદિ દ્રવ્યના સ્વરૂપની વિચારણા કરવી તે સર્વ સંસ્થાન વિચય ધર્મધ્યાન છે.
આ ચાર પ્રકારના ધર્મધ્યાન દ્વારા સાધક પરોક્ષ તત્ત્વોને ઊંડાણથી સમજતાં ક્રમશઃ પ્રત્યક્ષની ભૂમિકામાં પહોંચી જાય છે.
ધર્મધ્યાનના ચાર લક્ષણ :– ધર્મધ્યાન ચાર લક્ષણ દ્વારા પ્રગટ થાય છે, તે આ પ્રમાણે છે– (૧) આશા રુચિ– તેને જિનેશ્વરની આજ્ઞા પર શ્રદ્ધા, ભક્તિ અને આજ્ઞા પાલનની રુચિ હોય. (૨) નિસર્ગ રુચિ— અન્યના ઉપદેશ કે આદેશ વિના, સ્વભાવથી જ જિનકથિત તત્ત્વો પર શ્રદ્ધા હોય. (૩) સૂત્ર રુચિ- સૂત્ર અર્થાત્ આગમના અધ્યયન-અધ્યાપનમાં રુચિ હોય. (૪) અવગાઢ રુચિ-ઉપદેશ રુચિ- આગમનું વાંચન, ચિંતન, મનન કરવાથી, વિસ્તારપૂર્વક જ્ઞાન કરવાથી જિનકથિત તત્ત્વો પર જે શ્રદ્ધા થાય તે અવગાઢ રુચિ છે તેમજ સાધુના ઉપદેશ શ્રવણથી થતી શ્રદ્ધા તે ઉપદેશ રુચિ હોય છે.
તાત્પર્ય એ છે કે તત્ત્વાર્થ શ્રદ્ધાન રૂપ સમ્યક્ત્વ જ ધર્મધ્યાનનું મુખ્ય લક્ષણ છે. દેવ, ગુરુ, ધર્મની ભક્તિ, સ્તુતિ વગેરે કરવા, ગુર્વાદિકનો વિનય કરવો, શ્રુત-ચારિત્રની આરાધના કરવી, વગેરે ધર્મધ્યાનના લક્ષણ છે. તેનાથી ધર્મધ્યાની ઓળખાય છે.
ધર્મધ્યાનના ચાર આલંબન :– વાચના, પુચ્છના, પરિવર્તના અને ધર્મકથા. વાચના, પૃચ્છના આદિ સ્વાધ્યાયના આલંબનથી જ ધર્મધ્યાનમાં પ્રવેશ કરી શકાય છે.
=
ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષા :– ધ્યાનમાં સ્થિરતા પ્રાપ્ત કરવા માટે ચિત્તની નિર્મળતા તેમજ અહંકાર અને મમકારનું વિસર્જન આવશ્યક છે. અનુપ્રેક્ષા તથાપ્રકારની સ્થિરતાનું સર્જન કરે છે.
(૧) એકત્વ અનુપ્રેક્ષા– આ સંસારમા હું એકલો છું, મારું કોઈ નથી અને હું પણ કોઈનો નથી. આ રીતે આત્માના એકત્વ ભાવની વિચારણા કરવી તે એકત્વ અનુપ્રેક્ષા છે. એકત્વ અનુપ્રેક્ષા અહંકારનો નાશ કરે છે. (૨) અનિત્ય અનુપ્રેક્ષા- આ સંસારના પ્રત્યેક પદાર્થો, પ્રત્યેક સંયોગો, પ્રત્યેક સંબંધો, પ્રત્યેક પરિસ્થિતિ અનિત્ય છે. જેના પર જીવ રાગ-દ્વેષ કરે છે અને જેમાં મૂઢ થાય છે, તે સર્વ નાશવંત છે. આ રીતે અનિત્યપણાની વિચારણા કરવી તે અનિત્ય અનુપ્રેક્ષા છે. આ અનુપ્રેક્ષા મમકારનો નાશ કરે છે. (૩) અશરણ અનુપ્રેક્ષા– જન્મ, જરા, મૃત્યુના ભયથી ભયભીત; વ્યાધિ અને વેદનાથી પીડિત આ સંસારમાં કોઈ કોઈને ત્રાણ શરણરૂપ નથી, કોઈ કોઈને બચાવી શકતું નથી, આ રીતે અસહાયપણાની વિચારણા કરવી તે અશરણ અનુપ્રેક્ષા છે. (૪) સંસારાનુપ્રેક્ષા– સંસારના સંબંધોની વિચિત્રતાની વિચારણા કરવી, મિત્ર મટીને શત્રુ થાય, શત્રુ મટીને મિત્ર થાય, પિતા મરીને પુત્ર થાય, માતા મરીને પુત્રી થાય. ચાર ગતિના પરિભ્રમણમાં આ પ્રકારની વિચિત્રતા ચાલ્યા જ કરે છે, તેની વિચારણા કરવી તે સંસારાનુપ્રેક્ષા છે.
અશરણ અનુપ્રેક્ષા અને સંસાર અનુપ્રેક્ષા જીવને સંસારના સર્વ સંબંધોનું ભાન કરાવી સ્વાવલંબી બનાવે અને આત્મભાવમાં સ્થિર કરે છે.