________________
આગમ-કથાઓ
22
ધન્ય સાર્થવાહે કહ્યું – 'ભોજન વિના રાજગૃહી નહિ પહોંચાય તેથી મને હણી મારું માંસ તથા રુધિર દ્વારા ભુખ–તરસ મીટાવો.' જ્યેષ્ઠ દીકરાએ તે માન્ય ન કર્યું. પોતાના વધ માટે તૈયારી બતાવી પણ કોઈ સહમત ન થયા. પરસ્પર બધાએ વધ માટે તૈયારી બતાવી પણ કોઈ સહમત ન થયા ત્યારે નિર્ણય કર્યો કે સુષુમાના શરીરનો આહાર કરી સકુશલ રાજગૃહી પહોંચવું અને એમ જ થયું. યથાસમયે ધન્ય પ્રવ્રજયા અંગીકાર કરી. સૌધર્મ દેવલોકમાં ઉત્પન્ન થયા. મહાવિદેહમાં જઈ મોક્ષે પધારશે.
શિક્ષા—પ્રેરણા :– ધન્ય સાર્થવાહ તથા તેમના પુત્રોએ સુષમાના માંસ–રુધિરનો આહાર રસેન્દ્રિયની લોલુપતા માટે નહિ પરંતુ રાજગૃહી સુધી પહોંચવાના ઉદ્દેશથી જ કર્યો હતો. તેથી સાધકે આહાર અશુચિમય શરીરના પોષણ માટે નહિ પરંતુ મુકિતએ પહોંચવાના લક્ષથી જ કરવો. લેશમાત્ર પણ આસિકત ન રાખવી. અનાસકત ભાવે આહાર કરવો તે દૃષ્ટિકોણને નજર સમક્ષ રાખી આ ઉદાહરણની અર્થ સંઘટના કરવી જોઈએ. ઉત્તરાધ્યયન સૂત્ર તથા ઠાણાંગસૂત્રમાં છ કારણે આહાર કરવાનું બતાવ્યું છે.
(૧) ક્ષુધા વેદનાની શાંતિ માટે (૨) સેવા માટે (સશકત શરીર હોય તો સેવા કરી શકે તે માટે) (૩) ઈરિયા સમિતિ શોધવા માટે (ખાધા વિના આંખે અંધારા આવતા હોય તો તે મટાડી ગમન કરી શકાય તે માટે) (૪) સંયમ પાળવાને માટે (૫) જીવન નિભાવવા માટે (૬) ધર્મધ્યાન અને ચિંતન માટે. આ પ્રમાણે છ કારણોથી શ્રમણ – નિગ્રંથ આહાર કરે છે.
સાચું જ કહ્યું છે કે જીવન ભોજન માટે નથી પણ ભોજન જીવન માટે છે. ''સુખી થવું છે? તો કમ ખા, ગમ ખા, નમ જા.''
-
અધ્યયન – ૧૯ પુંડરીક અને કંડરીક
મહાવિદેહ ક્ષેત્રના પૂર્વવિભાગના પુષ્પકલાવતી વિજયમાં પુંડરિકણી નગરી સાક્ષાત્ દેવલોક સમાન સુંદર હતી. બાર યોજન લાંબી અને નવયોજન પહોળી હતી. મહાપદ્મ રાજાના બે દીકરા હતા – પુંડરીક અને કંડરીક.
એકદા ધર્મઘોષ આચાર્યની દેશના સાંભળી મહાપદ્મરાજા દીક્ષિત થયા. પુંડરીક રાજા બન્યા. મહાપદ્મ રાજર્ષિ વિશુદ્ધ સંયમ પાળી મોક્ષે પધાર્યા. ફરીને સ્થવિરોનું આગમન થતાં કંડરીકને વૈરાગ્ય ઉત્પન્ન થયો. દીક્ષાની અનુમતિ માંગતા વડીલ બંધુએ રાજ્યગાદી પ્રદાન કરવાનું કહ્યું પરંતુ કંડરીકે તેનો અસ્વીકાર કરતાં દીક્ષા લીધી. કંડરીક મુનિને દેશ–દેશાંતરમાં વિચરતાં, લુખો—સુકો આહાર કરતાં શરીરમાં રોગ ઉત્પન્ન થયો. સ્થવિર પુનઃ પુંડરિકણી નગરીમાં પધાર્યા. ભાઈમુનિનું શરીર શુષ્ક જોઈ સ્થવિર મુનિ પાસે ચિકિત્સા કરાવવાનું નિવેદન કર્યું. તે માટે યાન શાળામાં પધારવા વિનંતિ કરી.
સ્થવિર યાનશાળામાં પધાર્યા. ઉચિત ચિકિત્સા થવાથી કંડરીક મુનિ સ્વસ્થ થયા. સ્થવિર મુનિ ત્યાંથી વિહાર કરી અન્યત્ર ગયા પરંતુ કંડરીક મુનિ રાજસી ભોજનમાં આસકત થવાથી ત્યાં જ રહ્યા. વિહાર કરવાનું નામે ન લીધું. રાજા પુંડરીક તેની આસિકત તથા શિથિલતાને જાણી ચૂકયા હતા. કંડરીકને જાગૃત કરવા નિમિત્તે સવિધિ વંદન કરી કહ્યું – 'દેવાનુપ્રિય! આપને ધન્ય છે! આપ પુણ્યશાળી છો! આપે મનુષ્ય જન્મ સફળ બનાવ્યો; ધન્યાતિધન્ય છે આપને!!! હું પુણ્યહીન છું, ભાગ્યહીન છું કે હજી સુધી મારો મોહ નથી છૂટયો. હું સંસારમાં ફસાયેલો છું!" કંડરીક મુનિને આ વચન રુચિકર તો ન લાગ્યું છતાં મોટા ભાઈની લજ્જાવશ વિહાર કર્યો; પણ સંયમ પ્રત્યે સદ્ભાવ નહોતો. વિરકત ભાવ નહોતો. તેથી કેટલોક સમય સ્થવિર પાસે રહ્યા. અંતે સાંસારિક લાલસાઓથી પરાજિત થઈ રાજમહેલની અશોકવાટિકામાં આવી બેઠા. લજ્જાને કારણે મહેલમાં પ્રવેશ ન કર્યો.
ધાવમાતાએ તેમને જોયા. જઈને રાજાને જણાવ્યું. રાજાએ અંતઃપુર સહિત આવી વંદન કરી સંયમમાર્ગની અનુમોદના કરી. પણ યુકિત કામ ન આવી. કંડરીક ચુપચાપ બેઠા રહ્યા. ' આપ ભોગને ઈચ્છો છો?' કંડરીકે લજ્જા ત્યાગી હા પાડી.
પુંડરીક રાજાએ કંડરીકનો રાજ્યાભિષેક કર્યો. કંડરીકના સંયમ ઉપકરણ લઈ પુંડરીક રાજા દીક્ષિત થયા. તેમણે પ્રતિજ્ઞા લીધી કે સ્થવિર મહાત્માના દર્શન કરી તેમની પાસે ચાતુર્યામ ધર્મ અંગીકાર કર્યા પછી જ આહાર–પાણી ગ્રહણ કરીશ. તેઓએ આ પુંડરિકિણી નગરીનો ત્યાગ કર્યો અને સ્થવિર ભગવંત પાસે જવા પ્રસ્થાન કર્યું.
કંડરીક પોતાના અપથ્ય આચરણને કારણે અલ્પકાળમાં જ આર્તધ્યાન પૂર્વક કાળધર્મ પામ્યો. તેત્રીસ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિવાળી સાતમી નરકમાં ઉત્પન્ન થયો. આ ઉત્થાન બાદ પતનની કહાની થઈ. જ્યારે પુંડરીક મુનિ ઉગ્ર સાધના કરી અંતે સમાધિપૂર્વક શરીરનો ત્યાગ કરી તેત્રીસ સાગરોપમની સ્થિતિવાળા સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાર પછી તે મોક્ષે પધારશે. ઉત્થાન તરફ જવાનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે.
પ્રેરણા – શિક્ષા : (૧) સંયમજીવનમાં દર્દને કારણે કદાચ ઔષધનું સેવન કરવું પડે કે શકિતવર્ધક દવા લેવી પડે ત્યારે અત્યધિક વિવેક રાખવો. કયારેક આવી દવાઓથી એશ આરામ, ભોગાકાંક્ષાની મનોવૃત્તિ પ્રબળ થાય છે. દા.ત. શૈલક રાજર્ષિ અને કંડરીક મુનિ. બન્ને મુનિઓને પથ ભ્રષ્ટ થવામાં ચિકિત્સા જ કારણભૂત છે. પ્રાયઃ અનેક સાધુ દવાની માત્રામાં યા પરેજી પાળવામાં અવિવેક રાખે છે તેથી તેનું પરિણામ નવા રોગોની ઉત્પત્તિ અને જીવન વિનાશ થાય છે.
(૨) વિગય અને મહાવિગયનું વિપુલ માત્રામાં સેવન કરવાથી વિકાર પેદા થાય છે. છતાં પણ તે સુસાધ્ય છે એટલે કે વિગયોત્પન્ન વિકારનું તપ દ્વારા ઉપશમન થઈ શકે છે પણ ઔષધજન્ય વિકાર મહા ઉન્માદ પેદા કરે છે.
કુશલ સેવાનિષ્ઠ પંથકના મહિનાઓના પ્રયત્નથી શૈલક રાજર્ષિનો ઉન્માદ શાંત થયો પણ કંડરીકનો વિકારોન્માદ શાંત ન થયો. ત્રણ દિવસના ક્ષણિક નશ્વર જીવન માટે વર્ષોની કમાણી બરબાદ થઈ આ નિકૃષ્ટતમ દરજ્જાનો ઉન્માદ આત્મદેવાળું ફૂંકવાનું દૃષ્ટાંત પૂરું પાડે છે.
(૩) અલ્પકાળની આકિત જીવોને ઉંડા ખાડામાં નાખી દે છે; જ્યારે અલ્પકાળનો વૈરાગ્ય ઉત્સાહ પ્રાણીને ઉચ્ચતમ શિખરે પહોંચાડે છે. પુંડરીક રાજર્ષિએ ત્રણ દિવસના ઉત્કૃષ્ટ સંયમ અને એક છઠ્ઠ તપની આરાધનાથી ગુરુ ચરણોમાં સ્થિર થતાં આત્મ કલ્યાણ સાધી લીધું.
ત્રણ દિવસ તો શું...એક ઘડીનો વૈરાગ્ય પણ બેડો પાર કરી નાખે છે. અને ક્ષણભરની લાપરવાહી વર્ષોની કમાણી લૂંટી લે છે.
-