Book Title: Aho Ashcharyam Author(s): Ratnasundarsuri Publisher: Ratnasundarsuriji View full book textPage 7
________________ ટૂંકમાં, સંસારની જેલમાં જે પણ છે, કુસંસ્કારોનો ગુલામ જે પણ છે, કર્મોનો શિકાર જે પણ છે, સંજ્ઞાને આધીન જે પણ છે, કષાયોને પરવશ જે પણ છે એ ચાહે પાપી છે કે પુણ્યવાન છે, શ્રીમંત છે કે ગરીબ છે, સ્ત્રી છે કે પુરુષ છે, યુવાન છે કે વૃદ્ધ છે, રાજા છે કે ભિખારી છે, સિવાય દુ:ખ, એનો અહીં બીજો કોઈ જ અનુભવ નથી. ‘તું અને ગાંડાની હૉસ્પિટલમાં ?' ‘પણ થયું શું ?' પોતાની ગાદી નીચે હાથ નાખીને થોડાક ડાહ્યા થયેલા એ ગાંડાએ એક સ્ત્રીનો ફોટો કાઢો, ‘આ સ્ત્રી સાથે મારે લગ્ન કરવા હતા પણ એ મને મળી નહીં એટલે હું ગાંડો થઈ ગયો.” બાજુના ખાટલા પર એક બીજો ગાંડો હતો. ‘તારે અહીં આવવાનું કેમ બન્યું ?' ગાદી નીચે હાથ નાખીને એણે એ જ સ્ત્રીનો ફોટો કાઢ્યો કે જે ફોટો આગળના ખાટલાવાળા ગાંડાએ કાઢયો હતો. આ એ સ્ત્રી છે કે જેની સાથે મારે લગ્ન કરવા હતા. લગ્ન થઈ પણ ગયા પણ એનાં વિકૃત સ્વભાવે મને એ હદે બેચેન કરી મૂક્યો કે આખરે એના ઇલાજ માટે મારે અહીં આવવું પડ્યું થોડાક ડાહ્યા થયેલા બીજા ગાંડાએ આ જવાબ આપ્યો. હા. સંસારનું આ નગ્ન સ્વરૂપ છે. અહીં નિષ્ફળ ઇચ્છાવાળો તો દુઃખી છે જ, સફળ ઇચ્છાવાળો પણ સુખી નથી. અતૃપ્તિના કારણે અહીં શ્રીમંત તો દુઃખી છે જ પણ દરિદ્રતાના કારણે અહીં ગરીબ પણ દુઃખી છે. અભણ તો અહીં માર ખાય જ છે પણ વિદ્વાનને ય અહીં શાંતિ નથી. કુરૂપ તો અહીં લઘુતાગ્રંથિના કારણે પીડિત છે જ પણ રૂપ પણ અહીં કુરૂપતાના શિકાર બની જવાના ભયે વ્યથિત છે. ઘડપણ મોતની કલ્પનાએ રડે છે તો યુવાની વૃદ્ધાવસ્થાની કલ્પનાના ભયે ફફડી રહી છે. માનતુંગ પાસે શું નથી ? રાજવૈભવ છે, તંદુરસ્ત શરીર છે, રૂપવતી પત્ની છે, મખમલની શય્યા છે પણ અત્યારે એ પીડિત છે. કારણ ? માનવતીને પત્ની બનાવીને એના અહંને ચૂરચૂર કરી દેવાનું પાગલપન એનાં મન પર સવાર થઈ ગયું છે. મન એનું બેચેન છે, આંખો એની ચૂકી છે, શરીર એનું સહજ લય ગુમાવી બેઠું છે. માનવતીને પત્ની કઈ રીતે બનાવી શકાય ? એના આયોજનમાં એનું ચિત્ત અત્યારે વ્યસ્ત છે. સવાર પડી. નિત્ય કર્મથી પરવારીને માનતુંગ રાજસભામાં ગયો. મંત્રી સુબુદ્ધિને પોતાની નજદીક બોલાવીને રાતના નગરવૃત્તાંત જોવા પોતે ગયો ત્યારથી માંડીને જે કાંઈ સાંભળ્યું, જોયું, બન્યું અને અનુભવ્યું એ બધું ય એણે મંત્રીને કહી દીધું. ‘તારે એક કામ કરવાનું છે? ‘ફરમાવો' માનવતીના ઘરે જઈને જે પણ ઉપાયો યોજવા પડે એ યોજીને તારે મારા માટે માનવતીની માગણી કરવાની છે. એના પિતાજીને તારે એ માટે સંમત કરી જ દેવાના છે. આટલું તું કરીશ તો તારા એ ઉપકારનો તું કલ્પના ય નહીં કરી શકે એ રીતે હું બદલો વાળી આપીશ. જિંદગીભર તારા ગુણોનું હું સ્મરણ કરતો રહીશ.' કેવી જાલિમ છે આ વાસના? એ સમ્રાટને ય ભિખારી બની જવા તૈયાર કરી દે, એ પ્રતાપી પુરુષને ય દીન વચનો બોલવા મજબૂર કરી દે, એ બળવાનને ય પોતાના મુખમાં તરણું લેવા તૈયાર કરી દે, એ વિદ્વાનને ય બેવકૂફ બની જવા સંમત કરી દે, એ વાસનાના પાત્ર આગળ ખોળો પાથરવાય તૈયાર કરી દે. માનતુંગ કોઈ સામાન્ય માણસ નથી, રાજવી છે, અને એ છતાં મંત્રી સુબુદ્ધિ આગળ એ કેવાં દીનવચનો ઉચ્ચારી રહ્યો છે? પણ આમાં દોષ રાજવીનો નથી, એના હૈયામાં સળગી રહેલ વાસનાની આગનો છે અને અહંકારના અજગરનો છે. એ આવાં દીનવચનો ન બોલાવે તો જ આશ્ચર્ય ! માનતુંગની વાત સાંભળીને મંત્રી સુબુદ્ધિ એટલું જ બોલ્યો, “માનવતી તો શું, ૧૩Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50