________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૬
મહર્ષિ સુકોશલ પૃથ્વીપટને પાવન કરતા રહ્યા. વીતરાગતાને વરવા માટે તેમણે ધરખમ પુરુષાર્થ આદર્યો. અયોધ્યાના રાજેશ્વરો, ધરાતલના યોગીશ્વરો ભારતને નિવૃત્તિમાર્ગની શ્રેષ્ઠતા બતાવતા રહ્યા.
ચાતુર્માસ કાળ નિકટ આવતો હતો. રાજર્ષિ સુકોશલનો આત્મા ઉગ્ર અને વિર સાધના કરવા ઉછાળા મારી રહ્યો હતો. તેણે પિતા-યોગીશ્વર કીર્તિધરના ચરણોમાં વંદન કરી, અંજલિ જોડી પ્રાર્થના કરી :
ગુરુદેવ, ચાતુર્માસનો કાળ નિકટ આવી રહ્યો છે.” હા મુનિ!' મહાયોગી કીર્તિધરે સુકોશલની આંખોમાં ચમકતું તેજ દીઠું. “પ્રભુ, આપણે કોઈ ગિરિગુફામાં જઈએ. પ્રાસક-શુદ્ધ જગામાં ચારે માસ પરમાત્મધ્યાનમાં રહીએ. જો આપ કૃપાળુ.'
“મુનિ, તમારો મનોરથ સુંદર છે.” કીર્તિધરે સુકોશલની ભાવનાને અનુમોદિત કરી.
તો આપણે એવી કોઈ ગિરિગુફામાં જઈએ.' પિતા-પુત્રની કેવી અલબેલી જોડી! એક જ સાધનામાર્ગ! એક જ સાધનાવિચાર... એક જ તમન્ના. એક જ આદર્શ!
બંનેએ વિહાર કર્યો. વસંતપર્વતની તળેટીમાં પહોંચી ગયા. બાજુમાં જ ગોવાળોનું નાનકડું ગામ હતું. મહાત્માઓએ ત્યાં ચાર મહિનાના ઉપવાસનું અંતરપારણું ભાત અને દૂધથી કર્યું. તેઓ પર્વતારોહણ કરવા લાગ્યા. એક પછી એક શિખરો વટાવતા તેઓ એક વિશાળ ગુફાના દ્વારે આવી પહોંચ્યા.
એક મોટી શિલાને કોરીને ગુફા બનાવવામાં આવી હતી. ગુફામાં મનોરમ શિલ્પકળાનાં દર્શન થતાં હતાં. વિશેષતા તો એ હતી કે એ જ શિલામાં એક ભવ્ય જિનમૂર્તિ બનાવવામાં આવી હતી. નીરવ શાન્તિ હતી. પૂર્ણ એકાંત હતું. વાતાવરણ સાધનાનુકૂલ હતું. બંને મહાત્માઓએ ગુફાના અધિષ્ઠાયક દેવની અનુજ્ઞા લીધી. શ્રી જિનેશ્વર ભગવંતની ભાવ-અર્ચના કરી અને ધ્યાનોપાસનાનો મંગલ પ્રારંભ કર્યો.
નહોતું ખાવાનું કે નહોતું પીવાનું ચાર મહિનાના ઉપવાસ એક જ કામ હતું આત્માનો પરમાત્મભાવમાં લય સાધવો. જેમ જેમ દિવસો પસાર થવા લાગ્યા તેમ તેમ તેઓને અગમ અગોચર આત્માનુભવનો પ્રકાશ પ્રાપ્ત થવા લાગ્યો. સહજ જ્ઞાન પ્રગટવા માંડ્યું. ચિદાનંદની અનુભૂતિ થવા લાગી. તેઓ આ જ સૃષ્ટિ પર હોવા છતાં, આ સૃષ્ટિ પર વિલસી રહેલાં અજ્ઞાન,
For Private And Personal Use Only