Book Title: Gyandhara 05
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
વિવિધ ધર્મો એક જ ઈશ્વરને, સત્યને પહોંચવાના જુદા જુદા રસ્તાઓ છે, પછી એ રસ્તાઓ પ્રત્યે સમભાવ કેમ ન હોય ? કોઈ આ રસ્તે પહોંચે તો કોઈ બીજા રસ્તે, માનવતાના ધર્મની આડે આ વિવિધ રસ્તા અડચણરૂપ ન બને. ગાંધીજીના આશ્રમમાં કે એમની પ્રાર્થનામાં જેલમાં શુધ્ધાં વિવિધ ધર્મોની સારરૂપ પ્રાર્થના એક પછી એક ગવાતી અને તેમાં દરેક ધર્મના લોકોને આનંદ આવતો. દરેક ધર્મનો સાર સમજવા એમણે આવશ્યક ગ્રંથોનો અભ્યાસ પણ કર્યો. સર્વધર્મસમભાવમાં વિનોબાજીનો ફાળોઃ
વિનોબાજીએ તો દરેક ધર્મનો સાર નવનીત રૂપે સામાન્ય લોકોની સામે મૂકી દીધો. હિંદુ ધર્મના સારરૂપ, ૭૦૦ શ્લોકોની “ગીતા લોકો સમક્ષ છે, તો તેને પણ સરળ-સહજ રીતે ગીતા-પ્રવચનો અને ગીતાઈ દ્વારા લોકો સમક્ષ મુકાયાં, બૌદ્ધ ધર્મનો ધમ્મપદ-સાર', ઈસ્લામનો “કુરાન-સાર', બાઈબલનો ખ્રિસ્તીધર્મ-સાર' મૂળ કુરાન, ધમ્મપદ અને બાઇબલ વાંચી આપણી સમક્ષ મૂક્યો. જે પ્રદેશમાં તેઓની પદયાત્રા ચાલતી એ પ્રદેશનું ધર્મ-પુસ્તક એ ભાષામાં જ અભ્યાસ કરી એનાં ઉદાહરણો આપી તેઓ લોકહૃદયમાં પ્રવેશ કરતા. આ રીતે નામઘોષા-સાર, શીખોનું જપુજી તો ભાગવત ધર્મ-સાર અને મનુસ્મૃતિનું મનુશાસનમ્ પણ લોકોની સેવામાં અર્પણ થયું છે. તેઓ જૈન ધર્મના મહાનુભાવોને વિનંતી કરતા હતા કે - ચારે ય ફિરકાઓના આચાર્યો એકસાથે બેસે અને જૈન ધર્મનો સાર લોકો સમક્ષ મૂકે'. આખરે એમની વિનંતી જિનેન્દ્ર વર્ણજીએ સાંભળી અને શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી, દેરાવાસી એમ ચારે ય ફિરકાના આચાર્યોને ભેગા કરી સર્વસંમતિથી જૈન ધર્મના સારરૂપે આપણી સમક્ષ ‘સમણસુત્ત ૭૫૬ ગાથાઓમાં આવ્યું, એના ભાષાંતર તો થયાં છે, પરંતુ એના પરની ટીકા-ટિપ્પણી પ્રકાશિત કરવાનું બીડું અમે ઉપાડ્યું છે અને તેમાં આપ સૌના સહયોગની અપેક્ષા છે.
વિનોબાજીએ તો વળી દરેક ધર્મના ઈશ્વરનાં નામો સાથે છ પંક્તિની નામમાળા જ તૈયાર કરી છે, જે એમના આશ્રમ ઉપરાંત ઘણી સંસ્થાઓ અને શાળાઓમાં પ્રાર્થનામાં ગવાય છે. (જ્ઞાનધારા - SMS &૦ = જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૨)