Book Title: Dharmratna Prakaran Bhav Shravakna Cha Lakshano Vachna
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious
View full book text
________________
આ બધી યોગ્યતા છે ને ? આપણે આર્યદેશમાં જન્મ્યા એનો આનંદ છે કે અનાર્યદેશમાં જવા નથી મળતું - તેનું આપણને દુઃખ છે ? વિષયો દુઃખનું મૂળ છે - એમ માનો છો ને ? જમવા બેસતી વખતે ભલે વિષયોને સુખનું કારણ માનતા હો પણ જમીને ઊઠતી વખતે વિષયો દુ:ખનું કારણ બને એવા છે - એમ માનીને જ ઊઠો છો ને ? જેટલા આવ્યા છે એટલા જવાના જ છે ને ? કર્મના વિપાક દારુણ છે એમ માનો છો કે મરીને જલસા છે ?
સ૦ મરીને ક્યાં જઇશું એની ખબર નથી.
જરા હૈયાને પૂછી જુઓ. ક્યાં જઇશું એની કલ્પના તો છે જ, છતાં છાતી મજબૂત છે ને ? સિકંદર જેવા, ઔરંગઝેબ જેવા કે બ્રહ્મદત્ત ચક્રવર્તી જેવા પણ અંત સમયે થથરી ગયા હતા. પાપ ભુલાતું ન હતું. જ્યારે આપણે તો સૌનું થશે – તે આપણું થશે - એમ માનીને મજેથી જીવવાનું કામ ચાલુ છે ને ! સ૦ નહિ સાહેબ, મરણને મારવું છે.
ઘેર બેસ્યું નહિ મારી શકાય. શત્રુને મારવા માટે મેદાનમાં જવું પડે તેમ મરણને મારવા માટે સાધુપણામાં આવવું પડે. અહીં શિષ્યની શંકા પૂરી થાય છે. શંકાનો આશય એટલો જ છે કે જો શ્રાવક કે સાધુનાં લક્ષણમાં આ ૨૧ ગુણોનો ઉલ્લેખ નથી તો તે ગુણો વડે કઇ અધિકારિતા વર્ણવી છે ? આ શંકાનું નિરાકરણ આપતાં ગ્રંથકારશ્રી ‘સત્યમ્” કહીને જણાવે છે. શંકા ખોટી હોય છે છતાં તેમાં કંઇક તત્ત્વ પડેલું હોય ત્યારે આ રીતે જવાબ અપાય
ભાવશ્રાવકનાં છ લક્ષણો - ૧૪
છે. અહીં તત્ત્વ એટલે વસ્તુસ્થિતિને સમજવાનો આશય પડેલો છે, માટે ગ્રંથકારશ્રી ‘તારી વાત સાચી છે' એમ કહીને જણાવે છે કે – અવિરતશ્રાવક, વિરતશ્રાવક કે સાધુનાં લક્ષણ જે જણાવ્યાં છે; તે, તે તે ગુણઠાણાને આશ્રયીને જણાવેલાં છે. જેમ કે સમ્યક્ત્વ પામવાની યોગ્યતા પહેલે, દેશવિરતિની યોગ્યતા ચોથે અને સર્વવિરતિની યોગ્યતા પાંચમે મનાય છે. જ્યારે આ એકવીસ ગુણો તો દરેક પ્રકારના ધર્મ માટે સર્વસામાન્ય છે. જેમ કોઇ પણ ચિત્રકામ કરવું હોય તો તે દરેકમાં સાધારણ ભૂમિકા તરીકે ભૂમિશુદ્ધિ તેમ જ રેખા(બોર્ડર)નું આલેખન જણાવાય છે. બાકી તે તે ચિત્રની અપેક્ષાએ રેખાશુદ્ધિ, રંગકામ વગેરે ભિન્ન ભિન્ન હોય. જેમ કે ભૂમિપીઠ જો કાળી હોય તો ધોળી રેખાથી શોભે, ભૂમિપીઠ ધોળી હોય તો તે કાળી રેખાથી શોભે... આ બધી વિશેષતાઓ છે. અને વિશેષ સામાન્યનો વ્યભિચારી નથી હોતો.
આ ન્યાયે વિશેષ લક્ષણ સામાન્ય લક્ષણનાં વ્યભિચારી ન હોવાથી આ એકવીસે ય ગુણો આમાં સમાઇ ગયા છે. આથી નક્કી છે કે જે એકવીસ ગુણોથી યુક્ત હોય તે ભાવશ્રાવક થાય.
હવે શિષ્ય ફરી શંકા કરે છે કે તમે ભાવશ્રાવક જણાવી રહ્યા છો તો શું શ્રાવક પણ અનેક પ્રકારના છે કે જેથી તમારે ભાવશ્રાવક કહેવું પડ્યું. આ શંકાના નિરાકરણમાં જણાવે છે કે – જિનેશ્વર ભગવાનના શાસનમાં દરેક પદાર્થો ચાર પ્રકારે હોય છે. તેમ શ્રાવક પણ ચાર પ્રકારના છે. નામશ્રાવક, સ્થાપનાશ્રાવક,
ભાવશ્રાવકનાં છ લક્ષણો * ૧૫