________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મૂળમાં ભૂલ
૨૪
છે. ધર્મ બીજા પણ છે, એટલે કે સાચા નિર્ણય પૂર્વક રાગ-દ્વેષ ટાળીને સ્થિરતા કરવી તે બીજો ચારિત્રધર્મ છે. આત્મવસ્તુનાં અનંત ધર્મો છે. ધર્મ એટલે સ્વભાવ આત્માનો જે ભાવ સંસારના વિકાર ભાવથી બચાવીને અવિકારી સ્વભાવમાં ધારી રાખે તે આત્માનો ધર્મ છે તેથી સ્વભાવને સમજવો તે જ પહેલો ધર્મ છે. જે જીવ સ્વભાવને ન સમજે તેને જન્મ-મરણના નાશનો અને મુક્તિદશા પ્રગટવાનો લાભ ન મળે. જે સ્વાધીન સ્વભાવને નથી સમજ્યા એવા અજ્ઞાનીઓ બીજી ચીજ હોય તો આત્માનું કલ્યાણ થાય એમ માને છે, તેઓનો નિર્ણય જ ઊંધો છે, તેમને આત્મકલ્યાણના સાચા ઉપાયની ખબર નથી.
જ્યારે આત્મકલ્યાણની ભાવનાવાળો જીવ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન દ્વારા આત્માનો નિર્ણય કરે ત્યારે સત્ દેવ-ગુરુશાસ્ત્રની નિમિત્તરૂપ હાજરી હોય છે, પણ તે કોઈ દેવ-ગુરુ-શાસ્ત્ર આત્માની સમજણ કરાવી દેતા નથી. પોતે પોતાના જ્ઞાનથી સાચું સમજે તો સમજાય. જ્ઞાન વગર છ છ માસના ઉપવાસ કર્યા છતાં સાચી સમજણ ન કરી તેથી આત્મકલ્યાણ થયું નહિ.
પ્રશ્ન:- આ બધી ઝીણી વાત અમારે શું કામની ?
ઉત્તર:- આ આત્માની વાત છે. આત્માનું કલ્યાણ કરવું હોય તો કલ્યાણ ક્યાં થાય છે અને કઈ રીતે થાય છે તે ઓળખવું જોઈએ. પોતાનું કલ્યાણ પોતાના જ સ્વભાવની શક્તિથી થાય છે, પરથી થતું નથી. જો પોતાનો સ્વભાવ સમજે તો સાચી શ્રદ્ધાનો લાભ થાય અને ખોટી શ્રદ્ધાનું મહા નુકશાન ટળે-આ જ પ્રથમ કલ્યાણ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com