________________
૩૫
આપ્તવાણી-૯
આપ્તવાણી-૯ તેવું પૂર્વે નહોતું ? આ તો ઓચિંતું કંઈ ઉત્પન્ન થઈ ગયેલું છે ? એટલે સમજી લેવા જેવું છે આ જગત, કે આ તો આમ જ હોય. આ કાળમાં ચારિત્ર્ય-સંબંધી કોઈનું જોવું જ નહીં. આ કાળમાં તો બધે એવું જ હોય. ઉઘાડું ના હોય, પણ મન તો બગડે જ. એમાં સ્ત્રી ચારિત્ર્ય તો નવું કપટ અને મોહનું જ સંગ્રહસ્થાન, તેથી તો સ્ત્રીનો અવતાર આવે. આમાં સહુથી સારામાં સારું એ કે જે વિષયથી છૂટ્યા હોય.
પ્રશ્નકર્તા : આ ચારિત્રમાં તો આમ જ હોય એ જાણીએ. છતાં ય મન શંકા દેખાડે ત્યારે તન્મયાકાર થઈ જવાય. ત્યાં કયું ‘એડજસ્ટમેન્ટ' લેવું ?
દાદાશ્રી : આત્મા થયા પછી બીજામાં પડવું જ નહીં. આ બધું ‘ફોરેન ડીપાર્ટમેન્ટ’નું છે. આપણે ‘હોમ'માં રહેવું. આત્મામાં રહો ને ! આવું ‘જ્ઞાન' ફરી ફરી મળે એવું નથી, માટે કામ કાઢી લો. એક જણને એની ‘વાઈફ’ પર શંકા આવ્યા કરે. તેને મેં કહ્યું કે શંકા શેને લીધે થાય છે ? મેં જોયું તેને લીધે શંકા થાય છે ? શું નહોતું જોયું ત્યારે નહોતું બનતું આવું ? આપણો લોક તો પકડાય, તેને ચોર કહે. પણ પકડાયો નથી, તે બધા મહીંથી ચોર જ છે. પણ આ તો પકડાયો, તેને ચોર કહે છે. અલ્યા, એને શું કરવા ચોર કહે છે ? એ તો સુંવાળો હતો. ઓછી ચોરી કરી છે તેથી પકડાયો. વધારે ચોરી કરનારાં પકડાતાં હશે ?
પ્રશ્નકર્તા : પણ પકડાય ત્યારે ચોર કહેવાય ને ?
દાદાશ્રી : ના, ઓછી ચોરીઓ કરે તે પકડાય. અને પકડાય એટલે લોક એને ચોર કહે. અલ્યા, ચોર તો આ નથી પકડાતા તે છે. પણ જગત તો આવું જ છે.
એટલે એ ભાઈ મારું વિજ્ઞાન આખું સમજી ગયો. પછી એ મને કહે છે કે, “મારી વાઈફ ઉપર હવે બીજા કોઈનો હાથ ફરે તો ય હું ભડકું નહીં.' હા, આવું જોઈએ. મોક્ષે જવું હોય તો આમ છે. નહીં તો લઢવાડ કર્યા કરો તમારી મેળે. તમારી ‘વાઈફ’ કે તમારી સ્ત્રી આ દુષમકાળમાં તમારી થાય નહીં. અને એવી ખોટી આશા રાખવી ય ફોગટ છે. આ દુષમકાળ છે, એટલે આ દુષમકાળમાં તો જેટલાં દહાડા આપણને રોટલા ખવડાવે છે
એટલાં દહાડા આપણી અને નહીં તો બીજાને ખવડાવે તો એની.
એટલે બધા ‘મહાત્મા’ઓને કહી દીધેલું કે શંકા ના રાખશો. નહીં તો ય મારું કહેવાનું, કે જોયું ના હોય ત્યાં સુધી તેને સત્ય માનો છો જ શા માટે, આ કળિયુગમાં ? આ છે જ પોલમ્પોલ છે, જે મેં જોયું છે તેનું તમને વર્ણન કરું તો બધાં માણસ જીવતાં જ ના રહે. તો હવે એવાં કાળમાં એકલા પડી રહેવું મસ્તીમાં અને આવું ‘જ્ઞાન’ જોડે હોય, એના જેવું તો એકુંય નહીં.
માટે કામ કાઢી લેવા જેવું છે અત્યારે. તેથી અમે કહીએ છીએ ને, કે કામ કાઢી લો, કામ કાઢી લો, કામ કાઢી લો ! એ કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે આવું કોઈ કાળે આવતું નથી અને આવ્યું છે તો માથું મેલીને કામ કાઢી લો !
એટલે તમને સમજાયું ને ? કે ના જોયું તો કશું થાત નહીં. આ તો દેખ્યાનું ઝેર છે !
પ્રશ્નકર્તા: હા, દેખાયું એટલે જ એવું થાય છે.
દાદાશ્રી : આ બધું જગત અંધારામાં પોલ જ ચાલી રહ્યું છે. અમને આ બધું ‘જ્ઞાન'માં દેખાયું. અને તમને જોવામાં ના આવ્યું એટલે તમે જુઓ અને ભડકો ! અલ્યા, ભડકો છો શું ? બધું આમાં, આ તો આમ જ ચાલી રહ્યું છે, પણ તમને દેખાતું નથી. આમાં ભડકવા જેવું છે જ શું ? તમે આત્મા છો, તો ભડકવા જેવું ક્યાં રહ્યું ? આ તો બધું જે ‘ચાર્જ) થઈ ગયેલું, તેનું જ ‘ડિસ્ચાર્જ છે ! જગત ચોખ્ખું ‘ડિસ્ચાર્જમય છે. ‘ડિસ્ચાર્જની બહાર આ જગત નથી. એટલે અમે કહીએ છીએને, ‘ડિસ્ચાર્જ’મય છે એટલે કોઈ ગુનેગાર નથી.
પ્રશ્નકર્તા : એટલે એમાં ય કર્મનો સિદ્ધાંત કામ કરે ને ?
દાદાશ્રી : હા, કર્મનો સિદ્ધાંત જ કામ કરી રહ્યો છે. બીજું કશું નહીં. માણસનો દોષ નથી, આ કર્મ જ ભમાવે છે બિચારાંને, પણ એમાં શંકા રાખે ને, તો પેલો મરી જાય વગર કામનો.