________________
ચોથો પ્રકાશ - તપાચાર
૨૫૭
અવશ્ય કરવા યોગ્ય કાર્યમાં સો હાથથી આગળ ગમનાગમન વગેરેમાં સારી રીતે ઉપયોગવાળા નિરતિચાર સાધુને આલોચનાથી (ગમનાગમનમાં લાગેલા સૂક્ષ્મ અતિચારની ગુરુ પાસે આલોચના કરવા માત્રથી) શુદ્ધિ થાય છે. અતિચારવાળાને તો ઉપરના (=આલોચના સિવાયના) પ્રાયશ્ચિત્તનો સંભવ છે.
પ્રશ્ન- અવશ્ય કરવા યોગ્ય કાર્યમાં ગમનાગમનમાં નિરતિચારવાળા સાધુને આલોચના વિના પણ શુદ્ધિ કેમ ન થાય ? સૂત્ર પ્રમાણે તો પ્રવૃત્તિ કરે છે.
ઉત્તર– તારી વાત સાચી છે, પરંતુ ચેષ્ટા નિમિત્તે સૂક્ષ્મ આસ્રવક્રિયા થઈ તેની શુદ્ધિ માટે આલોચના છે.
પ્રતિક્રમણ– ઈર્યાસમિતિ વગેરેમાં સહસાત્કારથી અથવા તો અનાભોગથી કોઈ પણ રીતે માર્ગમાં કથા વગેરે કરવી, ગૃહસ્થની ભાષા બોલવી વગેરે પ્રમાદ થયે છતે હિંસાનો દોષ ન લાગ્યો હોય તો પણ, ઈચ્છાકાર વગેરે સામાચારીનું પાલન ન કર્યું હોય, અવિધિથી છીંક, ખાંસી વગેરેમાં મિથ્યાદુષ્કૃત આપવા રૂપ પ્રતિક્રમણ છે. અહીં ગુરુ સમક્ષ આલોચના કર્યા વિના માત્ર મિથ્યાદુકૃત આપવાથી જ શુદ્ધિ થઈ જાય છે.
- મિશ્ર– (=આલોચના + પ્રતિક્રમણ)- શબ્દ વગેરે વિષયોને અનુભવીને (=શબ્દાદિ વિષયો ઇન્દ્રિયના સંપર્કમાં આવે છ7) કોઈકને આવો સંશય થાય કે શબ્દાદિ વિષયોમાં મને રાગ તો નથી થયો ને? મને દ્વેષ તો નથી થયો ને? આવો સંશય થયો હોય) ત્યારે મિશ્ર પ્રાયશ્ચિત્ત આવે. પરંતુ મને રાગ કે દ્વેષ થયો છે એવો નિશ્ચય થઈ જાય તો તપ યોગ્ય પ્રાયશ્ચિત્ત આવે છે.
' વિવેક– અશુદ્ધ અશન વગેરેને આ શુદ્ધ છે એવી બુદ્ધિથી ગ્રહણ કર્યું હોય અને પાછળથી ખબર પડી કે આ અશુદ્ધ છે. આવું અશન વગેરે હોય, ક્ષેત્રાતીત હોય, કાલાતીત હોય, સૂર્ય ઉગ્યો ન હોય છતાં સૂર્ય ઊગી ગયો છે એવી બુદ્ધિથી ગ્રહણ કર્યું હોય, સૂર્ય અસ્ત થઈ ગયો હોય છતાં સૂર્ય અસ્ત નથી થયો એવી બુદ્ધિથી ગ્રહણ કર્યું હોય, આવા ભોજન વગેરેનો વિધિપૂર્વક ત્યાગ કરવો તે જ પ્રાયશ્ચિત્ત છે. તેનાથી જ તેની શુદ્ધિ થઇ જાય છે. - વ્યુત્સર્ગ– વ્યુત્સર્ગ એટલે કાયોત્સર્ગ. કુસ્વપ્રદર્શન, દુઃસ્વપ્રદર્શન વગેરેમાં કાયોત્સર્ગ એ જ પ્રાયશ્ચિત્ત છે. કારણ કે તેટલાથી ( કાયોત્સર્ગથી પણ) વિશુદ્ધિ થઈ જાય છે.
તપ- જીવહિંસા વગેરેમાં યથાયોગ્ય તપ પ્રાયશ્ચિત્ત છે.