Book Title: Shabda Samip
Author(s): Kumarpal Desai
Publisher: Gujarat Sahitya Academy

View full book text
Previous | Next

Page 123
________________ * શબ્દસમીપ • રણજિતરામનાં અવલોકનોમાં સ્પષ્ટતા અને પારદર્શિતા છે. એમની ઘડાયેલી સાહિત્યિક રુચિ કૃતિના સારા-નરસા પાસાનો વિવેક કરી આપે છે. એમણે આલેખેલાં વ્યક્તિચિત્રોમાં સાક્ષરો સાથેના એમના ગાઢ સંપર્કનું પ્રતિબિંબ જોવા મળે છે. નર્મદ, નંદશંકર, ડાહ્યાભાઈ ધોળશાજી, ગોવર્ધનરામ જેવાનાં વ્યક્તિચિત્રોમાં એમની વિશેષતા પ્રગટ કરી છે. દોષદર્શનમાં રણજિતરામને રસ નથી. મુંબઈ કરતાં ભાવનગરમાં એમનું શારીરિક સ્વાસ્થ્ય સુધર્યું. સાવ પાતળું શરીર મજબૂત બન્યું. માઈલોના માઈલો સુધી તેઓ સહેજ પણ થાક્યા વિના ફરી શકતા હતા. અહીં કવિ ત્રિભોવન પ્રેમશંકર અને હરગોવિંદ પ્રેમશંકર સાથેનો સંબંધ થયો. ઇતિહાસ અને જૂની વાર્તાઓના શોખીન દેવશંકર ભટ્ટ સાથે દોસ્તી થઈ. માનશંકર મહેતા જેવા લેખક અને અભ્યાસીની ઓળખ થઈ. રણજિતરામની વિશેષતા એ હતી કે પોતાના સંપર્કમાં આવેલી વ્યક્તિ જે વિષયમાં નિષ્ણાત હોય તે વિષયમાં એ લખે તેવી એને પ્રેરણા આપતા. સહુથી વિશેષ તો ભાવનગરની સમૃદ્ધ બાર્ટન લાયબ્રેરીનો સંગ્રહ હાથ લાધ્યો. વળી પ્રભાશંકર પટ્ટણીએ એટલી મોકળાશ આપેલી કે રણજિતરામ એમને પસંદ પડે તે નવીન પુસ્તક કે સામયિક મંગાવી શકતા. પરિણામે ચિત્રકલા, સાહિત્ય અને અન્ય વિષયોનાં પુસ્તકો એમને મળ્યાં. એ સમયે કહેવાતું કે, “હાલ સાક્ષરોમાં રણજિતરામ જેવો વર્તમાન સાહિત્યનો સર્વદેશી વાચક કે અભ્યાસક કોઈ નથી.” ભાવનગરમાં પ્રો. નૃસિંહપ્રસાદ કાલિદાસનો મેળાપ થતાં કેળવણીવિષયક વિચારોની ચર્ચા થઈ. અહીં સ્થપાયેલા દક્ષિણામૂર્તિ વિદ્યાભવનમાં રણજિતરામે ઇતિહાસ શીખવવાનું સ્વીકાર્યું હતું. રણજિતરામનો આ અનુભવ દક્ષિણામૂર્તિ વિદ્યાભવનના એમના કેળવણીવિષયક લેખોમાં પ્રગટ થાય છે. એ સામાન્ય બૉર્ડિંગમાંથી વિકાસ સાધીને મોટી સંસ્થા બને એવું રણજિતરામનું સ્વપ્ન હતું. એમના જીવનકાળમાં એ સિદ્ધ ન થયું પરંતુ એ પછી આ સંસ્થાએ સારો એવો વિકાસ સાધ્યો. ભાવનગર છોડીને પટ્ટણીસાહેબ ૧૯૧૨ના ડિસેમ્બરમાં મુંબઈ ગયા એની સાથે રણજિતરામે પણ ભાવનગર છોડ્યું. આમ છતાં રણિજતરામ ભાવનગરનાં સુખદ સ્મરણો વાગોળતા રહ્યા હતા. રણજિતરામનું ઘર સાહિત્યકારો અને શિક્ષણવિદોનું વિશ્રામસ્થળ હતું. રાત્રે ચાંદનીમાં સરોવરના કિનારા પર કે વિશાળ બાગમાં મિત્રો સાથે બેસીને રણજિતરામ સાહિત્યપ્રવૃત્તિની, સમાજસુધારણાની અને શિક્ષણપદ્ધતિ કે દેશી રાજ્યોની સ્થિતિ વિશે વાતો કરતા હોય. જોકે એ ચર્ચામાં મુખ્ય વક્તા તો રણિજતરામ જ હોય. કવિ D૨૩૫ન • ગુજરાતી અસ્મિતાનો દ્રષ્ટા • નાનાલાલ ભાવનગર આવે ત્યારે આખો દિવસ રણજિતરામ સાથે જ ગાળે. નાનાલાલના ‘વસંતોત્સવ' પર પહેલું વિવેચન લખનાર રણિજતરામ હતા. નાનાલાલ પણ પોતાની કૃતિ રણિજતરામને જોવા-સુધારવા મોકલી આપતા. બંને વચ્ચે એટલો ગાઢ સંબંધ હતો. નાનાલાલનો સ્વભાવ તડ ને ફડ કહી દેનારો હતો. રણજિતરામ ધીમેથી, હસીને, વિરોધી વિચાર મૂકતા. રણજિતરામ પહેલાં ધીરજથી સાંભળે. કહેનારને પણ સંભળાવવું ગમે ! પછી પોતાની વાત કરતા. ક્યારેક ભાવનગરમાં કવિની હાજરીમાં એમની કવિતાઓ પર ચર્ચા થતી ત્યારે કોઈ એમની ક્ષતિ બતાવે તો કવિ નાનાલાલ હસતા હસતા કહેતા, ‘ત્યારે એમ માનો.’ સર્જક પર વરસી પડવાને બદલે એના વિકાસમાં સહયોગી થતા. પ્રભાશંકર પટ્ટણીએ ભાવનગર છોડ્યું અને મુંબઈના ગવર્નરની કારોબારી કાઉન્સિલમાં નિમાયા ત્યારે વિદાયની આગલી રાતે પટ્ટણીસાહેબે રણજિતરામને સાથે આવવા કહ્યું. રણજિતરામે બીજે દિવસે એમની સાથે ભાવનગર છોડ્યું અને મુંબઈ આવ્યા. મન લલચાય તેવી, મહત્ત્વાકાંક્ષા જગાડે તેવી નોકરી, પણ રણજિતરામનો સંકલ્પ કે સંસ્કારી ને સીધું કામ હોય, સાહિત્યનો શોખ કેળવી શકાય તેવી નોકરી જ સ્વીકારવી. કૉલેજમાં હતા ત્યારે ધ સોશ્યલ ઍન્ડ લિટરરી સભા’ ચલાવતા. ‘સંસાર સુધારા સમાજ'ની અમદાવાદમાં સ્થાપના કરી. ગૂર્જર સાક્ષર જયન્તીની યોજના બનાવી. સાહિત્ય પરિષદના કાર્ય માટે રણજિતરામે એના મંત્રી તરીકે અથાગ પ્રયત્ન કર્યો. રણજિતરામનું આ સ્વપ્ન હતું અને એની સિદ્ધિ માટે એમણે તનતોડ મહેનત કરી. એ સંસ્થાના આત્મા જેવા બની જતા. રણજિતરામની ઇચ્છા તો વાર્તા અને નવલકથા લખવાની હતી. ‘સાહેબરામ' નામની નવલકથા એમણે પૂનામાં લખવાની શરૂ કરી પરંતુ તે અધૂરી રહી. આ ‘સાહેબરામ’ કથાવસ્તુ બદલવાનું શ્રી ચંદ્રશેખર પંડ્યાએ કહ્યું, પરંતુ સહજ રીતે લખાઈ ગયેલી આ કથામાં કશું ફેરવવું નથી તેવી રણજિતરામની ઇચ્છા હતી. આમાં એમના જીવનમાં મળેલી વ્યક્તિઓનું પ્રતિબિંબ દેખાય છે. જેમકે ‘સાહેબરામમાં આવતા ભૈરવનાથ શેઠનું પાત્ર ગજ્જરસાહેબ પરથી અને સહિયરોમાં પ્રો. નરનારાયણનું પાત્ર નૃસિંહપ્રસાદ ભટ્ટ પરથી એમણે આલેખ્યું છે. નવલક્થાનું ગ્રંથન નબળું લાગે. ક્યાંક સુધારકનો અભિનિવેશ પ્રગટ થાય છે. પરિણામે વાસ્તવનું નિરૂપણ પાંખું રહ્યું છે. ગુજરાતનો ઇતિહાસ લખવાનું સ્વપ્ન સેવ્યું હતું, પણ પરિપૂર્ણ ન થયું. નિબંધ સર્જક તરીકે જીવન અને કળાની ભાવના પ્રગટ થતી, પણ સર્જકતા પાંખી લાગે. શુદ્ધ અને સંસ્કારી શૈલી, પણ એમાં .૨૩૬)

Loading...

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152