Book Title: Shabda Samip
Author(s): Kumarpal Desai
Publisher: Gujarat Sahitya Academy

View full book text
Previous | Next

Page 134
________________ • શબ્દસમીપ • રાસરમણીઓની દુનિયા જુદી હતી. સૂરજ આથમી ગયો. વૈશાખી તૃતીયાની વંકડી ચંદ્રરેખા આકાશને ઓવારે ચમકીને ચાલતી પણ થઈ. આહીરો આહીરાણીઓને બોલાવવા ગયા. પણ ઢોલીના ઢોલ પર ડોલી રહેલી આહીરાણીઓ કોઈને દાદ આપે તેમ ન હતી. સવાર પડવાને બહુ વાર ન હતી. આહીરોની ધીરજ ખૂટી. ગાયો-ભેંસોને દોહી લેવાનો વખત થયો. ઢોર બરાડે, વાછરડાં રડે, માતાને સાદ કરીને રડતા-રડતા ઊંઘી ગયેલા છોકરા ફરી રડવા લાગ્યા. આહીરોની ધીરજ ખૂટી. ઘરના ત્રાસે ગુસ્સાનું સ્વરૂપ લીધું. સહુએ ઢોલીને રહેંસી નાખી કટકા કરવાનો નિર્ણય કર્યો. રાસમાં રમમાણ ઢોલી પર આહીર યુવાનોએ ઘા કર્યો. માથું ઉડાવી દીધું, છતાં થોડી વાર ઢોલીના હાથ પરની દાંડી ઢોલ પર પડતી રહી. ઢોલી પડ્યો ! આકાશમાંથી જાણે વીજળી પડી ! આહીરાણીઓના જીવનનો આનંદ ઢોલીના ઢોલ વગર શુન્ય થઈ ગયો. જીવનભરના પવિત્ર મિત્ર ઢોલી પાછળ સાત વીસું એટલે કે એકસો ચાલીસ આહીર સુંદરીઓએ અગ્નિરનાન કર્યું. - લોકસાહિત્યના ભેખધારી શ્રી દુલેરાય કારાણીએ શોધેલી આ કથા લોકસાહિત્યની એક લાજવાબ કથા છે. કલા પાછળના આત્મસમર્પણની આવી કથા બીજે ક્યાંય જોવા મળતી નથી. આજે પણ એ પાળિયાઓ કોઈ ભસ્મીભૂત બનેલા સ્નેહસદનની યાદ આપે છે. શ્રી દુલેરાય કારાણીએ કચ્છની વિસરાયેલી ધરતીની કથાઓને કલમદેહ આપ્યો. રણવાસી, પહાડવાસી, સાગરવાસી, સાહસશુરી પ્રજાના જીવનની પહેચાન એના દિલમાં ઊતરીને આલેખી, શ્રી ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રના લોકસાહિત્યને વિસ્મૃતિના અંધકારમાંથી બહાર કાઢીને લોકભોગ્ય બનાવ્યું. એવી જ રીતે શ્રી દુલેરાય કારાણીએ એકલા-અટૂલા કચ્છના લોકસાહિત્યને રજૂ કર્યું. શ્રી મેઘાણી જેવો સભાખંડને રસતરબોળ કરી દેતો અવાજ એમની પાસે છે. કવિતા, દષ્ટાંતો અને કથાઓ એમની જીભે રમતાં જ રહે છે. એમણે કોઈ બનાવટી પ્રાણવાયુ ફૂંકીને નહીં, પરંતુ અસલ વતનપ્રેમની ચેતના ફંકીને કચ્છી બોલી, કચ્છી પ્રજા અને કચ્છી જીવનને પ્રાણવંત કરી દીધાં. લોકસાહિત્ય એકઠું કરતાં કરતાં દુહા, છંદ, કાવ્યો, કથાઓ અને કચ્છી ભાષામાં નાટકો પણ લખ્યાં. ભૂતકાળના ગૌરવના ગાયક વર્તમાનની પુકારને ભૂલી શક્યા નથી. ગાંધીજી અને દયાનંદ સરસ્વતી પર કલમ ચલાવી છે તો હરિજનોના ઉદ્ધારને આલેખતી ‘હરિજન બત્રીસી ” પણ કચ્છી ભાષામાં લખી છે. મુલાયમ દિલના આ સાહિત્યપ્રેમીએ પોતાની જીવનયાત્રાનો આરંભ મુંદ્રાની ૨૫૭ ] • લોકસાહિત્યનો આશક • સરકારી શાળામાં મદદનીશ શિક્ષક તરીકે કર્યો. નાગપુરમાં એમના ભાઈએ ત્રણ દુકાનો કરી અને તેઓ દુલેરાયને શિક્ષકનો ધંધો છોડાવી વેપારી બનાવવા નાગપુર ખેંચી લાગ્યા. પરંતુ કવિતા અને વ્યાપારનો મેળ ક્યાંથી બેસે ? છ મહિનામાં નાગપુરની ઇતવારી બજારની દુકાનને સલામ કરી વળી પાછા દુલેરાય કારાણી પોતાની શિક્ષકની જગાએ આવી ગયા. થોડા સમય બાદ નાગપુરની વેપારી પેઢી આફતમાં આવી. એનું દસેક હજાર રૂપિયાનું કરજ ભરવાનું દુલેરાય કારાણીને માથે આવ્યું. કવિજીવને આ કરજ પરેશાન કરવા લાગ્યું. ઘરેણાં અને દાગીના વેચી નાખ્યાં. મન વ્યથિત બની ગયું. એ માનસિક વ્યથામાંથી એકાએક કવિતા જન્મી ! પરિણામે કચ્છી સાહિત્યનો ખજાનો એમને હાથ લાગ્યો. સંવત ૧૯૯૬ના ભયંકર દુષ્કાળે કચ્છ-સૌરાષ્ટ્ર ને ગુજરાત પર જીવલેણ ઘેરો ઘાલ્યો હતો. મોતના મુખમાં ખડકાતા કચ્છના પશુધનનાં ભીષણ દૃશ્ય જોઈને આ કવિહૃદય સાદ પાડી ઊઠયું – હાડકાં કેરાં પીંજરાં એ તો ઊઠી ઊભાં નવ થાય, ગીધડાં ભૂખ્યાં ગાય ગરીબડી, જીવતાં ફાડી ખાય; આંખો એની કાગડા કાઢે, પરાણે સ્વર્ગે પહોંચાડે, છ સુડે છેતરી માય, દોહે લા દિન દેખાડચા, માંડવી તાલુકાના ગુંદિયાળી ગામમાં રહેતા દુલેરાય કારાણીને મરતી ગાયોને બચાવવાની અશક્તિએ વિવળ કરી દીધા. એમનાં પત્ની રોજ પાંચ માઈલ દૂર આવેલા માંડવી જાય અને માથા પર ગાયો માટે ખાણ-ભેંસાની ભારી લાવે. કવિજીએ તો દૂધ, દહીં, ઘી અને માખણ નહીં ખાવાનો નિર્ણય કર્યો હતો. ઘરની ગાયોને જિવાડી તો ખરી, પણ એના ઘરની મૂડી હતી તે સાફ થઈ ગઈ. પરંતુ આવા દોહ્યલા દિવસો દરમ્યાન કારાણીએ ‘ગાંધીબાવની' અને ‘દયાનંદ બાવનીની રચના કરી ! કશાય ટેકા વગર કે કોઈના ય પીઠબળ વગર એકલા હાથે અટૂલા કચ્છના ઇતિહાસને ખોજવાનું, લોકસાહિત્યને શોધવાનું અને કચ્છી ભાષા તથા કચ્છી કવિતાને ચેતનવંત કરવાનું દોહ્યલું કામ દુલેરાય કારાણીએ કર્યું. ૧૯૮૯ની ૨૬મી ફેબ્રુઆરીએ ‘કચ્છના મેઘાણી' તરીકે સુખ્યાત દુલેરાય કારાણી અવસાન પામ્યા. 0 રપ૮ ]

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152