Book Title: Shabda Samip
Author(s): Kumarpal Desai
Publisher: Gujarat Sahitya Academy

View full book text
Previous | Next

Page 137
________________ • શબ્દસમીપ • અનિષ્ટ વિચાર કે કાર્ય સાથે ક્યારેય સમાધાન કર્યું ન હતું. આ રીતે તેઓએ એક સાચા આત્મસાધક ધર્માત્મા જેવું સતત જાગ્રત અને અપ્રમત્ત જીવન જીવી બતાવ્યું હતું, અને સ્યાદ્વાદ કે અનેકાંતવાદનું રચનાત્મક રૂપ કેવું હોઈ શકે એનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. - પંડિતની આવી જીવનસ્પર્શી ધર્મપરાયણતા, એમના વિશ્વ સાથેના વ્યવહારમાં, અહિંસા, કરુણા અને વાત્સલ્ય – એ ત્રણે રૂપે જોવા મળતી હતી. માનવ માત્રની સમાનતા, ન કોઈ ઊંચ કે ન કોઈ નીચ, સ્ત્રી-પુરુષોની સમાનતા, અંધપણા જેવી પરાધીન સ્થિતિમાં પણ બીજાની ઓછામાં ઓછી સહાય લેવી પડે અને બીજાને ઓછામાં ઓછી તકલીફ આપવી પડે એ રીતે ખુમારીભર્યું જીવન જીવવાની કળા વગેરે દ્વારા તેઓએ અહિંસાની ભાવનાને જીવી બતાવી હતી. પંડિતજીની કરુણાની વાત કરીએ તો દીન-દુઃખિયારી બહેનોને સુખી અને પગભર બનાવવા માટે, અસહાય વિદ્યાર્થીઓના શિક્ષણ અને રક્ષણ માટે તેમજ અન્ય સંકટગ્રસ્ત વ્યક્તિઓના સંકટનિવારણ માટે તેઓ પોતાની મર્યાદિત આવકમાંથી પણ અવારનવાર, સાવ ગુપ્તપણે સહાય આપતા રહેતા હતા. તેમજ આવી બહેનો તથા વિદ્યાર્થીઓ સારી રીતે આગળ વધે એ માટે હમેશાં સલાહ અને માર્ગદર્શન આપ્યા કરતા હતા. આવી સહાય આપવા જતાં પોતાની ઓછામાં ઓછી જરૂરિયાત ઉપર પણ કાપ મૂકતાં તેઓ સંકોચ અનુભવતા નહીં. કરકસર એ તો પંડિતજીનો સહજ ગુણ હતો, અને જરૂર લાગે ત્યારે પોતાના માટે ખર્ચ કરવામાં તેઓ લોભ પણ કરતા, પણ પોતાના પરિચારકો અને સાથીઓની સંભાળ રાખવા માટે પૂરી ઉદારતા દાખવતા. વળી જાણ્યેઅજાણે પોતાથી કોઈનું દિલ દુભાઈ ન જાય એની સતત સાવચેતી રાખતા અને જ્યારે પણ આવી ભૂલ થઈ ગયાનો એમને ખ્યાલ આવતો ત્યારે માફી માગવામાં નાનપ ન માનતા. વાત્સલ્યનો તો પંડિતજી જાણે વિશાળ વડલો જ હતા. નાનું-મોટું જે કોઈ એમની પાસે જતું અને તેઓ હેત-પ્રીતથી આવકારતા અને એવી મમતો દર્શાવતા કે જેથી સામી વ્યક્તિના અંતરનાં કમાડ આપોઆપ ઊઘડી જતાં અને આશ્વાસનનું અમૂલ્ય ભાતું જાણે એને મળી જતું. 3 ૨૩૩ ] • જ્ઞાનોપાસકે અને જીવનસાધક • જીવન સાથે એકરૂપ બનેલાં અહિંસા, કરુણા અને વાત્સલ્યને લીધે પંડિતજી કેટલી બધી વ્યક્તિઓના હૃદયમાં શિરછત્ર, વડીલ કે પિતા જેવું આદરભક્તિભર્યું સ્થાન મેળવી શક્યા હતા. અન્યાય, અધર્મ કે અત્યાચાર સામેનો એમનો પુણ્યપ્રકોપ જાણીતો હતો, છતાં એ પ્રકોપ રાગ-દ્વેષ કે ક્રોધ-ક્લેશનો પોષક ન બને એની તેઓ સતત સાવચેતી રાખતા. વળી નિંદા અને ખુશામત જેવા દુર્ગુણોથી સત્યનું વ્રત ખંડિત થયા વગર નથી રહેતું, એ તેઓ બરાબર સમજતા હતા અને એથી સદા અળગા જ રહેતા હતા. મન, વચન અને કાયાની વૃત્તિઓ અને પ્રવૃત્તિઓમાં એકરૂપતા અને મુલાયમતા સાધીને પંડિતજીએ પોતાની વિદ્વત્તા અને ધર્મશીલતાને વિશેષ ચરિતાર્થ કરી હતી અને જીવનમાં બુદ્ધિ અને હૃદયનો અર્થાત્ તર્ક અને સદ્ભાવનાનો સમાન વિકાસ સાધી જાણ્યો હતો. સંસારને અસાર ગણીને એની નિરર્થક વગોવણી કરવાનું એમને બિલકુલ પસંદ ન હતું. અનાસક્તિ કે નિર્મોહવૃત્તિ કેળવી જાણીએ તો સંસારમાંથી સાર જરૂર પામી શકીએ, કારણ કે જીવનને અમૃતમય બનાવવાનો પુરુષાર્થ સંસારમાં રહીને જ થઈ શકે છે. વળી આવા મોટા જ્ઞાનોપાસક અને જીવનસાધક પુરુષ જે વ્યવહારદક્ષતા અને કાર્યસૂઝ ધરાવતા હતા તે ખરેખર, અતિવિરલ, આશ્ચર્યકારક અને એમના પ્રત્યેના આદરભાવમાં વધારો કરે એવી હતી. આંખોના અંધકાર ઉપર જ્ઞાનની જ્યોતિથી વિજય મેળવીને અંતરને પ્રકાશમય અને આત્મમંથન દ્વારા જીવનને અમૃતમય બનાવવાનો પરમ પુરુષાર્થ કરીને પોતાના જીવતરને કૃતાર્થ કર્યું હતું. 1 ૨૬૪ ]

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152