________________
સાત્ત્વિક સહચિંતન
દ્રવ્યભેદે-દ્રવ્યની અપેક્ષાએ તે એકનો એક જ દેહ સુકોમળ, વજ્ર જેવો મજબૂત, માંદલો, તંદુરસ્ત, સશક્ત, અશક્ત, દાઢી-મૂછ વગરનો, દાઢી-મૂછવાળો, ટટ્ટાર, વાંકો, મખમલ જેવો મુલાયમ અને કરચલીઓવાળો જર્જરિત, પરસ્પરવિરોધી ગુણધર્મોવાળો પણ બને છે.
એ જ દેહ ક્ષેત્રની અપેક્ષાએ અંગ્રેજ, અમેરિકન, યુરોપિયન, આફ્રિકન, બંગાળી અને ગુજરાતી વગેરે જુદાં જુદાં નામે ઓળખાય છે.
ભાવની અપેક્ષાએ જ માણસ સૌમ્ય, રૌદ્ર, શાંત, અશાંત, સ્થિર, અસ્થિર, ધીર, અધીર, છીછરો, ગંભીર, રૂપાળો અને કદરૂપો પણ દેખાય છે.
કાળની અપેક્ષાએ એને જ આપણે બાળક, કિશોર, યુવાન, આધેડ અને વૃદ્ધ કહીએ છીએ. આમ મનુષ્યનો દેહ એકનો એક હોવા છતાં, વસ્તુ તરીકે એક જ હોવા છતાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની ભિન્નભિન્ન અપેક્ષાથી જુદોજુદો દેખાય છે, જુદોજુદો બની જાય છે, આ બધું આપણે સાચું માનીએ જ છીએ. બધા માને છે. આ બધું એ નિઃશંક પુરવાર કરે છે કે કોઈ પણ પદાર્થમાં પરસ્પરવિરોધી એવા ગુણધર્મોનું અસ્તિત્વ હોય જ છે. આ વાતનો સ્વીકાર કરવામાં હવે કશી અસ્પષ્ટતા નહિ રહે, કંઈ મુશ્કેલી નહિ રહે. જૈન દાર્શનિકોએ અનેકાંતવાદનો આશ્રય લઈને આવી ઘણી વાતો સ્પષ્ટતાથી સમજાવી છે.
આધુનિક મનોવિજ્ઞાનશાસ્ત્રીઓ કહે છે કે, દરેક માણસોમાં ‘ડૉક્ટર જેકિલ અને મિસ્ટર હાઈડની જેમ' પરસ્પરવિરોધી, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ જેટલું અંતર ધરાવતી વૃત્તિઓ હોય જ છે. એટલે કોઈ પણ સંસારી માણસને સર્વથા સારો અથવા સર્વથા ખરાબ-બૂરો એમ કહી શકાય જ નહિ.
એક સજ્જને પોતાના નામથી એક સાર્વજનિક દવાખાનું બાંધવા માટે પંદર લાખ રૂપિયા આપ્યા. તેને ત્યાં કામ કરતા એક નોકરને ઑપરેશન કરાવવા માટે જરૂરી પંદર હજાર રૂપિયા આપવાની તેમણે ઘસીને ના પાડી. પરિણામે જરૂરી સારવાર પેલો ગુમાસ્તો મેળવી ના શક્યો અને એનું અવસાન થયું.
આ સજ્જન માટે આપણે શું કહીશું ? દયાળુ ? ઉદાર ? નિર્દય ? અધમ ? જવાબ આપવાની કશી આવશ્યકતા નથી. સહેજે સમજાઈ જાય એવી વાત છે.
આવાં તો અનેક દૃષ્ટાંતો ભિન્નભિન્ન ક્ષેત્રોમાં જોવા મળશે. એ બધા પરથી સહેજે સમજાશે કે ‘એક જ વસ્તુ છે અને નથી' એમ જ્યારે જૈન દાર્શનિકો કહે છે તે અનેકાંત દષ્ટિથી કહે છે અને તે યથાર્થ છે, એમ કહેવામાં તેઓ તદ્દન સાચા છે.
૬૧
* સાત્ત્વિક સહચિંતન
આ વાતનો સ્વીકાર આપણે કરવો જ જોઈએ.
અનેકાંત દૃષ્ટિની આવી વાતો ખૂબ જ સમજવા જેવી છે. જો બરાબર સમજાઈ જાય તો પછી જગત અને જીવનની તમામ સમસ્યાઓનો ઉકેલ બહુ જ સરળતાથી આવી જાય.
અનેકાંત દિષ્ટ રાખીને આ વાતનો વધારે વિચાર કરીશું તો એક જ વસ્તુમાં સત્ત્વ અને અસત્ત્વ, નિત્યત્વ અને અનિત્યત્ય તેમ જ એકત્વ અને અનેકત્વ વગેરે એક જ સમયે રહે છે, એ સમજવામાં કશી મુશ્કેલી નહિ નડે. એ બધું જોવા અને સમજવા માટે અનેકાંતવાદનો આશ્રય લેવો પડશે. એનો આધાર જો ન લઈએ તો તે આપણને કદી પણ નહિ સમજાય.
એક અને અનેક એકસાથે એક સમયે રહે છે તે સમજવામાં તો આજના આ વિજ્ઞાનવાદી અણુ-પરમાણુ-સંશોધનયુગમાં કશી મુશ્કેલી નહિ પડે.
વસ્તુનું નિત્યત્વ અને અનિત્યત્વ સમજવું પણ સહેલું છે. બધું જ પરિવર્તનશીલ છે; આ વાત તો સૌ કોઈ સ્વીકારે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ તથા અવસ્થા (પર્યાય) ભેદે એક જ વસ્તુ અનેક પરિવર્તનો પામે છે. એ પરિવર્તનશીલ છે એટલે એને અનિત્ય કહી શકાય-અનિત્ય છે, છતાં એનું મૂળ દ્રવ્ય, જુદાંજુદાં સ્વરૂપમાં પણ એમાં કાયમ રહે છે, એટલે એને નિત્ય પણ કહી શકાય-નિત્ય છે. એકલું નિત્ય કહેવું એ જેમ ખોટું ઠરે તેમ એકલું અનિત્ય કહેવું એ પણ ખોટું છે.
આ પરિવર્તન પણ સહસા-એકાએક નથી થતું. એ એનો સમય લે જ છે. કપડું એકદમ મેલું થતું નથી, ચોખામાંથી ભાત એકદમ નથી બની જતો, ઘઉંમાંથી સીધી રોટલી નથી બનતી અને બાળક એકદમ વૃદ્ધ નથી બનતું. આ બધાનો એક કાળક્રમ છે. આવાં બધાં પરિવર્તનો છતાં એની મૂળ વસ્તુનો સર્વથા નાશ પણ નથી થતો.
માટીમાંથી ઘડો જ્યારે બનાવ્યો ત્યારે તે ઘડાના સ્વરૂપમાં પણ મૂળ પદાર્થ માટીનું અસ્તિત્વ તો રહ્યું જ. એ ઘડાના જ્યારે ટુકડા થાય છે, ત્યારે એના એ બીજા સ્વરૂપમાં પણ મૂળ દ્રવ્ય માટીનું અસ્તિત્વ હોય છે.
એ જ ન્યાયે તત્ત્વજ્ઞાનની ભૂમિકા પર કોઈ પણ વસ્તુતત્ત્વને સર્વથા સત્ય કે સર્વથા અસત્ય, સર્વથા નિત્ય કે સર્વથા અનિત્ય એમ માનવું એ પણ ભૂલ છે. બધાં જ વસ્તુતત્ત્વો જેવાં છે તેવાં જ રહેવાનાં હોય, એમાં પરસ્પરવિરોધી ગુણધર્મો જો ન હોય અને એ પરિવર્તનશીલ ન હોય તો પછી એનું અસ્તિત્વ કેવળ નિરુપયોગી બની જાય છે. પથ્થર એક કાળે જેવો અને જેવડો છે, તેવો અને તેવડો જ જો સર્વકાળે તે
ન
૬૨