Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પરિશિષ્ટ-૧
| ૩૮૭ |
તેમની આ સિદ્ધિઓ સ્પષ્ટ દેખાતાં તેમની તરફ લોકાકર્ષણ ખૂબ વધે છે, છતાં તેમને મન સિદ્ધિઓ કેવળ તુચ્છ વસ્તુ હોય છે, તેઓ કદી તેનો ઉપયોગ કરતા નથી અને કરવા ઈચ્છતા પણ નથી. તેઓ તો કેવળ કર્મજન્ય પરિણામને જાણીને દેહકષ્ટને સમભાવે વેદી લે છે. એમના આત્મા પર દેહદુઃખની અસર થવા પામતી નથી. (ઉદ્દેશક, ૩ સૂત્રર) અહીં કર્મના અચળ કાયદાનું પ્રતિપાદન છે. કર્મનો સિદ્ધાંત, ગીતાજી પણ કહે છે કે તે કોઈ ઈશ્વર કે શક્તિ પર અવલંબિત નથી પણ સ્વાભાવિક છે. માનસિક, વાચિક કે કાયિક કોઈ પણ એવી ક્રિયા નથી થતી કે જેનું પરિણામ ન હોય એટલે ક્રિયા હિ ફલવતિ' એ સિદ્ધાંત સર્વવ્યાપક અને સનાતન સિદ્ધ થાય છે પણ જગતના માનવો કર્મના અચળ કાયદાનો શુદ્ધ સમજણે સ્વીકાર કરતા નથી. શુદ્ધ સમજણપૂર્વકનો સ્વીકાર થયો ત્યારે જ ગણાય કે જ્યારે એ ભાનપૂર્વક જીવન વણાતું હોય. ઘણીવાર એવું બને છે કે કર્મનું પરિણામ સાક્ષાત્ ન દેખાય. એક માણસ દુષ્ટ કર્મ કરતો હોય છતાં સુખી દેખાય, જ્યારે એક સત્કર્મ કરતો હોય છતાં દુ:ખી દેખાય. પણ આવું તો માત્ર ઉપરના બાહ્ય દેખાવારૂપ કે કર્મના કાળની અપક્વતાને લીધે દેખાય છે. વાસ્તવિક રીતે કર્મ તેના કર્તાને છોડતું નથી, સંસ્કારરૂપે તે સ્થાયી રૂપ ધારણ કરે છે, અને જીવાત્માને તેનું ફળ આપે જ છે, ભલે તે આ જન્મમાં આપે કે પછીના જન્મમાં આપે. પણ જીવમાંથી જ્યારે વિભાવિકતા જાય છે ત્યારે તેને સ્વાભાવિક સ્થિતિ અને કુદરતનો અચળ કાયદો સમજાય છે. અમુક સ્થિતિએ પહોંચ્યા વગર આ વાત કદાચ ન પણ સમજાય, પરંતુ આપણે ઝેર એ ઝેર છે એમ અનુભવીને જ નથી સમજતા. એવા તો ઘણાયે વિષયો છે કે જેનો
જ્યાં સુધી આપણને સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી પણ સ્વીકાર કરવો જ પડે. ભલે સ્વાનુભવ થતાં સુધી એ આપણી શોધનો વિષય રહે; તોયે સમય આવ્યે એ સત્ય આપણને જડવાનું છે, એવી આપણે ખાતરી રાખવી જ પડે કે જેથી એમ કરતાં કરતાં પણ એ શોધ પૂરી થાય.
(ઉદ્દેશક ૩, સૂત્ર ૫) સાધના માર્ગમાં જોડાયા પછી વિષયલિસા શમી ગઈ હોય એવા ઘણા સાધકો મળી આવે છે પરંતુ તેવા સાધકોને ય કીતિ, માન, પૂજા કે પ્રતિષ્ઠાનું ભૂત વળગી જાય છે અને તેને સત્યમાર્ગે જતાં પકડી રાખે છે. સૂત્રકાર કહે છે કે એ પણ રાગદ્વેષનું મહાન કારણ છે. એના ફાંસામાં ફસાયેલો સાધક પણ એક યા બીજા પ્રકારનો સંસાર વધારે છે. સારાંશ એ છે કે સાધક જીવનનું ધ્યેય કે શ્રેયાર્થીનું લક્ષ્ય કોઈ પણ જાતના બાહ્ય આકર્ષણ તરફ નહિ પણ કેવળ આત્માભિમુખ એટલે સત્ય તરફ જ હોવું ઘટે. આમાં ઉપરના સૂત્રનો સબંધ સમજીએ તો સત્યનું સ્થાન પહેલું છે, અને તે જ ધ્યેય છે, એમ દેખાયા વગર રહેતું નથી.
(ઉદ્દેશક ૪, સુત્ર ૪) જે પોતાને જીતે છે, તે જગતને જીતે છે; અને જેટલે અંશે જે જગતને જીતી શકે છે એમ દેખાયું હોય ત્યાં સમજવું કે તેણે તેટલે અંશે પોતાને જીત્યો હોવો જોઈએ. આમ કહીને સૂત્રકાર બે વસ્તુ કહે છેઃ એક તો આત્મવિશ્વાસની અને બીજી વૃત્તિવિજયની. આત્માની અનંત શક્તિ છે તેથી આત્માને સાધે છે, તે અનંત શક્તિઓને સાધી લે છે; એટલે કોઈ પણ સાધનાનો હેતુ આત્મપ્રાપ્તિનો જ હોવો ઘટે. આથી એમ પણ ફલિત થાય છે કે જે દ્વારા આત્મપ્રાપ્તિ ન થાય તે માર્ગ સાધનાનો માર્ગ કહી શકાય નહિ. વૃત્તિના વિજય વિના આત્મપ્રાપ્તિ લભ્ય નથી, એટલે જ સંયમ અને ત્યાગ માર્ગ બતાવ્યો. આ રીતે વૃત્તિનો વિજય એ જ ત્યાગનો આદર્શ અને વૃત્તિનો વિજય થયો એટલે લોકનો વિજય અને આત્માનું દર્શન પણ થયું જ સમજવું. જ્યાં આત્મદર્શીપણું છે, ત્યાં ભય અને ઈચ્છા બન્નેને વિરામ છે; પણ જ્યાં વૃત્તિની અધીનતા છે, ત્યાં સંસારની પરાધીનતા અને દુઃખ બધુંયે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org