Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૪૧૦
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
માટે હોય અને અમુક માટે નહિ એવા ધર્મમાં પક્ષપાત નહોય કે ન હોવો ઘટે. તેમ જ મુનિ સાધક પણ પોતાનો અનુભવ અભેદ ભાવે અને નિઃસંકોચ રીતે કોઈ પણ જાતિ, દેશ કે ધર્મને માનનારાને કહે. એને પણ પક્ષપાત ન હોવો જોઈએ. કોઈને અહીં પ્રશ્ન થાય કે એવા મસ્ત અને નિષ્પક્ષપાતી મુનિ સાધકને ઉપદેશ આપવાની શી જરૂર? આથી જ સૂત્રકાર કહે છે કે, જેઓનું માનસ ઉપદેશ ગ્રહણ કરવાને યોગ્ય લાગે તેમને જ એ આપે અથવા જે આવે કે માગે તેને જ આપે. પણ કોઈ જાતની સ્પૃહા રાખી આપવાની ઉતાવળ ન કરે.
જોકે ઘણા સાધકોમાં તો સૌ કોઈને ઉપદેશ આપવાની પ્રથા થઈ પડે છે, તેઓ પોતાની પાસે જે કંઈ હોય તે જલદી બીજાને આપવા મંડી પડે છે, પણ એ વૃત્તિ ઉચ્ચ કોટિના સાધક માટે યોગ્ય નથી. આ વૃત્તિ જન્મવાનાં કારણોમાં પોપટિયું જ્ઞાન અને આત્મશ્રદ્ધાની અલ્પતા મુખ્યત્વે હોય છે છતાં તેને ઉદારતાનું રૂપ અપાય છે ત્યાંય ભૂલ થાય છે. જળાશય ઉદાર છે, છતાં કોઈની પાસે તે પોતાની ઉદારતાનો પરિચય આપવા જતું નથી. કાંઠે આવી જે પાત્ર મૂકે તે લઈ શકે છે, એટલે ઉપદેશ એ મુનિ સાધકનો સંપ્રદાય ચલાવવાનું સાધન નથી, પણ જિજ્ઞાસુની જિજ્ઞાસા પ્રાપ્તિનું સહજ નિમિત્ત માત્ર છે.
ત્રીજી વાત અહીં સૂત્રકાર એ પણ કહી દે છે કે, ધર્મોપદેશ સૌને માટે એક જ જાતનો ન હોવો જોઈએ, પણ ભૂમિકાભેદે ભિન્ન ભિન્ન હોવો ઘટે. આકાર એક છતાં પ્રકારો અનેક રહે છે. જેમ વૈદ્યને ત્યાં દવાઓ અનેક હોવા છતાં તેઓ બધી દવાને એકીસાથે એકી વખતે કોઈ પણ દર્દીને આપી દેતા નથી, તેમ આધ્યાત્મિક વૈદ્યો પણ જે પ્રકારનું જે માનવીને દર્દ હોય તે દર્દનું મૂળ શોધી એને યોગ્ય જ ધર્મરૂપી ઔષધ આપે અને તો જ એને એ પથ્ય થાય. ધર્મ આખા વિશ્વને આપી શકાય એવું ઉદાર અને વ્યાપક તત્ત્વ છે, એટલે તેની વ્યાપકતા અને મૃદુતા પણ તેવી જ ઉદાર હોવી સ્વાભાવિક છે. કોઈ પણ સાધક પોતાની યોગ્યતા પ્રમાણે એ ધર્મનો લાભ લઈ શકે તે રીતે જ્ઞાની પુરુષો એને ધર્મ સમજાવે, એના વર્તમાન જીવન પર એની તાત્કાલિક અસર કરાવે. ઘણીવાર કેટલાક સાધકો ધર્મને નામે ઉધાર ખાતાની પેઢીઓ ચલાવતા હોય છે, એ યોગ્ય નથી. ધર્મનું ફળ જીવન પર તાત્કાલિક અસર પણ જરૂર કરી શકે અને જીવનને સંસ્કારી બનાવી શકે છે. એટલે ધર્મનગદ છે, ઉધાર નથી. પરંતુ જ્ઞાની પુરુષ જ આવો સાચો ધર્મ દેખાડી શકે અને સાધક જેટલું જીરવી શકે તેટલું અને તેવું જ તે આપી શકે, એ વાત ભૂલવી જોઈતી નથી.
(ઉદ્દેશક ૫, સુત્ર ૪) ઈચ્છાનો નિરોધ એટલે ક્રિયાના ફળની ઝંખનાનો નિરોધ. કોઈ પણ ક્રિયા કરી તેના ફળ માત્રની ઈચ્છા છોડી દેવી કે છૂટી જવી તે ઈચ્છાનો નિરોધ સાધનાના માર્ગમાં અતિ અગત્યનો છે. સૌની વૃત્તિમાં ઓછા યા વધુ પ્રમાણમાં ઐહિક લાલસા જડાયેલી હોય છે. જે સાધના પાછળ લાલસાનું તત્ત્વ છે તે સાધના કદી સફળ થતી નથી.
જોકે લાલાસાનો નિરોધ જીવનમાં ઉતારવો કઠિન તો છે જ, તોયે એ સાધ્ય છે. જેમને કર્મના નિયમોનું ભાન થયું હોય તે ક્રિયાના પરિણામથી નિરપેક્ષ રહી શકે છે. અહીં મુનિ સાધકને સૂત્રકાર એવી દશામાં પ્રવર્તવાની પ્રેરણા કરે છે.
ક્રિયાના પરિણામની અપેક્ષા છોડનારની ક્રિયાનું પરિણામ આવતું નથી, આવે તોયે વેદવું પડતું નથી; અથવા તેઓ ધ્યેયશુન્ય ક્રિયા કરે છે, એવું કોઈ ન માને !" ક્રિયાનો કર્તા જ ક્રિયાના ફળનો ભોક્તા છે" એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org