Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ૪૨૦ |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
જન્માવે છે. જેમ રાગ અને દ્વેષ સંસારના મૂળભૂત કારણો છે, તેમ અભિમાન પણ મૂળભૂત કારણ છે. અહંના અજ્ઞાનથી અભિમાન જન્મે છે. આથી તેનો લય કરવા માટે સાધનાનો માર્ગ આવશ્યક છે. જેમ જેમ એ કાંટો નીકળતો જાય તેમ તેમ સરળતા, ઉદારતા અને સત્યનિષ્ઠા જાગે, આથી જ સાધનાનો મુખ્ય હેતુ અભિમાનનો લય કરવાનો છે એ વાત ફરી ફરી એક યા બીજી રીતે સૂત્રકાર મહાત્મા કહેતા આવ્યા છે અને તે "આત્મા આ સર્વ બાહ્ય ભાવોથી પૃથછે, આ દેખાતા વિકૃત ભાવો એના ધર્મો નથી, જડના સંસર્ગથી અહંત્વની જે ભાવના જાગે છે તે વાસ્તવિક નથી" એવા એવા વિચારોથી ક્રમશઃ ક્ષીણ થવાનો સંભવ છે, પણ આ વિચારો કોઈના ઉછીના લીધેલા કે વારસાથી મળેલા ન હોવા જોઈએ. પોતાના જ અંતઃકરણથી ઉદ્ભવે છે તે વિચારો જ જીવનના સંસ્કારો પર ગાઢ અસર કરે છે અને જીવનના સંસ્કારો પર અસર થવાથી તેનું જીવન અને જીવન વ્યવહાર સુધરતાં જાય છે. (ઉદ્દેશક ૬, સૂત્ર ૩) આ આખું આઠમું અધ્યયન ખાસ કરીને પ્રતિજ્ઞાનું મહત્વ અને સંયમની વાસ્તવિકતા સમજાવે છે. આગળના ઉદ્દેશકોમાં અને સૂત્રોમાં વસ્ત્રપાત્રના સંયમમાં સૌથી પ્રથમ બ્રહ્મચર્યવ્રતનો સમાવેશ છે. એટલે બ્રહ્મચર્યજ સાધનામંદિરનો મુખ્ય પાયો છે એમ કહીએ તો ચાલે. એટલે બ્રહ્મચર્યની રક્ષા માટે વાસનાક્ષેત્રની વિશદ્ધિ કરે તેવા બહારના ઉપચારો અને વિચારોના વ્યવહારુ માર્ગો પણ અગાઉ ચર્ચાઈ ગયા છે. અહીં અબ્રહ્મચર્યની વાસનાને ઉત્તેજિત કરવામાં સ્વાદ જે કારમી અસર ઉપજાવે છે તે બતાવતો ઉલ્લેખ છે.
સ્વાદની દષ્ટિએ ડાબા ગલોફામાંથી જમણા ગલોફામાં પણ અન્ન ન લઈ જવાય ત્યાં સુધીનો સૂત્રમાં વ્યક્ત થતો કાબૂ, સ્વાદજય એ સાધનાનું અગત્યનું અંગ છે, તેની ખાતરી આપે છે. બધી ઈન્દ્રિયોના સંયમની વાત તો સૂત્રકારે અગાઉ કરી છે પણ આટલે હદ સુધી કડક નિયમન કેવળ જીભ માટે કહ્યું છે અને તેટલું જ તેની પાછળ રહસ્ય છે. સૂત્રકાર મહાત્મા એ રહસ્યને ટૂંક શબ્દોમાં પણ વધુ સ્પષ્ટ કરી દે છે. તેઓ કહે છે કે સ્વાદયથી બધી પંચાત પતી જવાની.
સ્વાદના અસંયમ પર જ મુખ્યત્વે જગતના સર્વપ્રપંચોનું મંડાણ છે, પણ આ વાત ખૂબ ઊંડેથી વિચારતાં જ યત્કિંચિત્ પણ સમજાય તેવી છે. જીવનના પ્રત્યેક પ્રસંગને અવલોકવાથી જણાશે કે સ્વાદ એકલી જીભનો જ વિષય નથી પણ પ્રત્યેક ઈન્દ્રિયનો વિષય છે. આ વાત સ્વાદની વ્યાખ્યાથી કંઈક વધુ સ્પષ્ટ થશે. માટે ટૂંકમાં કહું છું-સ્વાદ એટલે રસની વિકૃતિમાંથી રસ મેળવવાની ઝંખના અને એની પૂર્તિ માટેનો પ્રયાસ, એ જ સ્વાદ પરનો અસંયમ–અકાબુની ક્રિયા. પદાર્થમાત્રમાં રસ તો હોય જ છે અને ભૂખ લાગે ત્યારે પદાર્થમાત્રમાં રસ છે, તેવી સૌને ઓછી વધતી પ્રતીતિ પણ થઈ હશે. ભૂખ લાગે ત્યારે ખાવું એ ધર્મ, કારણ કે ત્યાં જરૂરિયાત છે અને જ્યાં સુધી વસ્તુ જરૂરિયાતની દષ્ટિએ વપરાય છે ત્યાં સુધી વસ્તુને કે વૃત્તિને વિકૃત કરવાનું મન કોઈને ય થતું નથી. પણ જ્યારે ખાવું એ ધર્મને બદલે પદાર્થો ભોગવવા એ ધર્મ એટલું જ અંગ રહે છે અને જરૂરિયાતનું લક્ષ ચૂકાય છે, ત્યારે ખાવામાં કે સ્વાભાવિક પદાર્થો વાપરવામાં રસ આવતો નથી.
રસ મેળવવાની ઈચ્છા તો વૃત્તિમાં છે અને તે સહેતુક છે. પણ જરૂરિયાત જ રસ સર્જે છે, જરૂરિયાતમાંથી રસ ઉત્પન્ન થાય છે, એ વાત જ્યાં ભુલાય છે એટલે પદાર્થોમાંથી રસ નહિ અનુભવાતાં રસ મેળવવાની ઝંખનામાં માનવ પદાર્થોને વિકૃત કરે છે, ચૂંથે છે અને જેમ જેમ તે પદાર્થોને વિકૃત કરે છે, તેમ તેમ વિકૃત રસથી તેને વાસ્તવિક રસ મળતો નથી પણ ઊલટી રસની ઝંખના વધતી જાય છે. માનવજીવનના અસંતોષનું મૂળ અહીં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org