Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| ૪૦૦ |
શ્રી આચારાંગ સૂત્ર-પ્રથમ શ્રુતસ્કંધ
નિત્ય નવીન જનના સંસર્ગથી પોતાના અનુભવને નક્કર બનાવવાની એમની જિજ્ઞાસા તાજી જ રહે છે. એ પારસ કરતાંયે વધુ ઉદાર હોય છે, એમનો સંસર્ગ પાપીને પણ સંતના રૂપમાં પલટાવે છે. એ પુણ્યના પુંજ સમા છે, એમનું વાતાવરણ જ સમસ્ત જગતને પાવન કરે છે. એમને મરણની લેશ પણ પરવા હોતી નથી. આ પુરુષો પોતે મુક્તિ તરફનો માર્ગ કાપે છે, બીજાને પણ પ્રેરણા આપે છે, છતાંયે જગત પર અમે ઉપકાર કરીએ છીએ, એવું એમને ભાન હોતું નથી.
અહીં આત્મવિશ્વાસ અને કુદરતી કાનૂનને આધીન થઈ વહેતા જીવનો સુમેળ ચિતાર છે. આવું જીવન મહર્ષિ સાધકને તો સહજ હોય; બીજા સાધકો આ રીતે દ્રહ (જળાશય) અને મહર્ષિના દાંતનો ધડો લઈ પોતાનું જીવન કેળવે, એમ કહેવાનો સૂત્રાશય છે.
(ઉદ્દેશક ૫, સૂત્ર ૨) સૂત્ર એમ કહે છે કે ઉપર વર્ણવેલો માર્ગ અનુભવીએ બતાવેલો નિશ્ચિત માર્ગ છે, તેમાં સંશય ન કરતાં શ્રદ્ધા કેળવો. કારણ કે શ્રદ્ધા વિના જ્ઞાન નથી અને જ્ઞાનવિના સમાધિ નથી. સૌ માનસિક સમાધિ ઈચ્છે છે. એટલે શ્રદ્ધા સૌ કોઈએ કેળવવી જ રહી. શ્રદ્ધા એટલે અનુભવી પુરુષોનો અનુભવ, શાસ્ત્રીય વચન અને પોતાની સત્યશોધક બુદ્ધિ એ ત્રણેનો સમન્વય કર્યા પછી સત્કાર્યની પાછળ પુરુષાર્થ કરવાનો અટલનિશ્ચય કરવો તે. શ્રદ્ધામાં વિવેકબુદ્ધિ તથા હૃદય બંન્નેનો અવકાશ છે. જ્યાં એ ત્રણેયનો સુમેળ ન હોય ત્યાં અંધશ્રદ્ધા કે અશ્રદ્ધા હોવાની. એક નાનામાં નાના કાર્ય પાછળ પણ જ્યાં શ્રદ્ધા નથી, ત્યાં તે કાર્ય પ્રાણવિહોણું નિશ્ચત ખોખું બની રહે છે.
શ્રદ્ધા પ્રત્યેક કાર્યનો પ્રાણ છે. નીરસમાં નીરસ જણાતા કાર્યમાં પણ શ્રદ્ધા રસ રેડે છે, સૌંદર્યની સૌરભ ફેલાવે છે. આ રસ કોને ન ગમે ? પરંતુ માનવના હૃદયમાં એક એવું તત્ત્વ હોય છે કે જે તેને આમ કરતાં, શ્રદ્ધાળું બનતા રોકી રાખે છે. રખે શ્રદ્ધા કરીશ તો કંઈ ગુમાવીશ, એવી ચિંતા પમાડે છે. પણ કોઈ પણ ક્રિયા ફળ રહિત હોતી નથી." એવા કુદરતના અવિચળ સિદ્ધાંતમાં શંકા હોવી એ અજ્ઞાન છે, એને વિચિકિત્સા અથવા બીજા શબ્દોમાં વિકલ્પ કહેવાય છે.
જેટલો એક ખનિજથી માંડીને વનસ્પતિને કે કીડી, ઊધઈ, ભમરા કે પશુ જાનવરોને નૈસર્ગિક શક્તિ પરનો વિશ્વાસ દેખાય છે, જોકે તેઓનો પરાધીન વિશ્વાસ છે તેટલો માનવામાં નથી દેખાતો. એનું મુખ્ય કારણ આ જાતની ફળ વિષેની શંકા છે.
માનવને અંતઃકરણનો વિકાસ અને બુદ્ધિ એ બે તત્ત્વો ઈતર પ્રાણી દુનિયાથી વિશેષ મળ્યાં છે. એથી એણે સ્વાધીન થઈ નૈસર્ગિક નિયમને વધુ અનુકૂળ થવું જોઈએ, તે સાધનોથી વધુ સંસ્કૃત થવું જોઈએ, છતાં માનવજાતનો મોટો ભાગ તે સાધનોથી વધુ વિકૃત થતો જાય છે, તેનું કારણ પણ મુખ્યત્વે આ જાતની વૃત્તિ જ છે. સંગ્રહબુદ્ધિ, હાયલાલસા, ચિત્તના બળાપા, એવું એવું બધું આથી જન્મે છે. આ જાતનો વિકલ્પ એ કંઈ સામાન્ય દુર્ગણ નથી પણ પ્રત્યેક ક્ષેત્રમાં વિહ્વળતા, ચંચળતા, ભય અને ક્ષોભ ઉત્પન્ન કરનાર ભયંકર દુર્ગુણ છે. આવું બધું પ્રાયઃ આવા વિકલ્પોથી જ થાય છે તેથી અનુભવી પુરુષો કહે છે કે, વિચિકિત્સાને સાથે લઈને સુખ કે શાંતિ શોધવા મથે છે તે કદી સુખ કે શાંતિ મેળવી શકતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org