Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Hasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પરિશિષ્ટ-૧
૩૮૯
કરતાં જુદી જ દેખાય છે. જ્યાં વર્તન અને વાણીની એકવાક્યતા છે, ત્યાં જ વિદ્વત્તા છે એમ સમજાવ્યું છે. અને આવા તત્ત્વદર્શીઓને જ તત્ત્વ બતાવવાની યોગ્યતાવાળા તરીકે સ્વીકાર્યા છે. તેનું કારણ એ છે કે તેવા મહાપુરુષો જ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, વસ્તુ સ્વભાવ તથા સ્વપરના ભેદજ્ઞાનના અનુભવી હોવાથી સત્યમાર્ગનું યથાર્થ નિરૂપણ અને ભાન કરાવી શકે છે.
(ઉદ્દેશક ૩, સૂત્ર ૫-૬) લીલાં લાકડાંને સૂકાં બનાવવાં, એટલે પ્રથમ તો ક્રિયામાં થતી ભૂલોને પશ્ચાત્તાપ અને સંયમનો તાપ આપવો; પછી નિમિત્તમાત્રના ત્યાગ દ્વારા આસક્તિના બીજને જીર્ણ બનાવવું; અને આસક્તિનું બીજ જીર્ણ થયા પછી તેને અગ્નિનો સ્પર્શ કરાવવો, એટલે કે નિરાશક્તિ જગાડવાના પ્રયોગો કરવા. આ ક્રમનું પાલન કરવામાં શ્રમ અલ્પ છે અને સફળતા સાધ્ય છે. ક્રમના ઉલ્લંઘનમાં સફળતા નથી અને સંતોષે ય નથી; તો સિદ્ધિની તો વાત જ શી ? આથી અપ્રમત્તતા, નિરાસક્તિ અને આત્મનિષ્ઠા જાળવી આગળ ધપવું ઘટે.
(ઉદ્દેશક ૩, સૂત્ર ૭) અહીં મનુષ્યભવનું આયુષ્ય અલ્પ છે, એમ કહી સતત જાગૃતિ રાખવાનું સૂચવે છે. એક પણ ક્રિયા તેના પરિણામની જાણ સિવાય આદરવી કે આચરવી ન ઘટે. જે ક્રિયાનું પરિણામ વિચારતાં તેમાં સ્વાર્થ, અભિમાન કે તેવા મહાદોષો જણાય, તે ક્રિયા ગમે તેટલી સુંદર હોય તો પણ મારે ન કરવી, એવો સાધકમાં જે વિવેક જાગે એ વિવેકનું નામ જ જાગૃતિ. પણ સતત જાગૃતિ રાખવાં જતાં સાધકની સામે પોતાની જે ભૂલો દેખાય તે ભૂલો જોઈ તે નિર્બળ, પામર અકરાંતિયો કે ઉતાવળો નબની જાય! એટલા માટે સાધકને ફરી ચોંકાવતાં સૂત્રકાર કહે છે કે, જોજે, રખે જાગૃતિની ઘેલછામાં સાહસ કરી બેસતો! દુષ્ટ વૃત્તિને જીર્ણ કરવાની સાધનામાં ધૈર્ય રાખજે. ભૂલોને કરનાર કરતાંય ઘણીવાર ભૂલો જાણ્યા પછી તેમના ભયથી ભાન ભૂલનાર વધુ ચકરાવે ચડે છે. એ પોતાની સાધનાયે ચૂકે છે અને આત્મ શ્રદ્ધાયે ગુમાવે છે. માટે ભૂલોને જાણ્યા પછી ભૂલો જલદી નીકળી જાય કે તરત કાઢી નાખે એવાં માનસિક ભૂત કે ભ્રાંતિમાં ઉતાવળો ન થતાં વિવેકબુદ્ધિથી બધું કસજે, ધીરો થજે. એમ કહી ભૂલોનું મૂળ ક્રોધ છે, આવેશ છે, માટે સૌથી પ્રથમ ક્રોધને તારા આત્માથી અળગો કર, એમ કહ્યું છે. (ઉદ્દેશક ૩, સૂત્ર ૯) સિદ્ધાંત એટલે અંતઃ કરણની ચોક્કસતા થયા પછી બંધાયેલી માન્યતા. સિદ્ધાંત આવે તો તેની પાછળ શક્તિ આવે અને અનુભવ થાય જ, વૃત્તિ વિજયના પ્રયોગ કર્યા વિના આ અનુભવ સહજલભ્ય નથી, તોયે તેમ કર્યે જ છૂટકો છે, એવો અહીં ધ્વનિ છે. જ્યાં સુધી પોતાના શુદ્ધવિચારોની સ્વયંસ્ફરણા અને તેને વિવેકબુદ્ધિપૂર્વક વળગી રહેવાની વફાદારી ન જાગે, ત્યાં સુધી તે સાધકના જીવનમાં સિદ્ધાંત, શક્તિ કે અનુભવ જાગૃત થાય નહિ અને સ્થિરતા વિનાના લોકોની જેમ એવો સાધક અહીં તહીં જ્યાં નમાવો ત્યાં નમે. આ રીતે વિચારોની ચોક્કસતા એ વિકાસનું પ્રાથમિક ચિહ્ન છે.
(ઉદ્દેશક ૪, સૂત્ર ૪) વીરતાનો કોઈ અર્થ સમજ્યા વિના શરીરને પુષ્ટ કરવામાં વીરતા માની બેસે માટે સૂત્રકાર કહે છે– શરીરની પુષ્ટિમાંથી વીરતા નથી જન્મતી પણ વીરતા તો ચૈતન્યનો ગુણ છે. બ્રહ્મચર્ય, સંકલ્પબળ અને વૃત્તિવિજય પર વીરતાનો આધાર છે. સાચા વીરને માટે વૃત્તિવિજય એ જ સાચો વિજય છે. આથી તે અહંકાર તથા કામવાસનાને જીતવા માટે શરીર અને મન બન્નેને કસે છે. શરીર અને ઈન્દ્રિયોનું અતિ પુષ્ટપણું ઘણીવાર વૃત્તિને ઉશ્કેરી મૂકે છે. એટલે આ રીતે કેવળ પૂર્વકર્મો જ નહિ બલકે નવાં કર્મો કરી વિલાસમાં સુખ માની વિલાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org