________________
સાચી સમજણથી જ્ઞાનયુક્ત અને ભાવના સભર તપ જ કર્મનિર્જરાનું કારણ બની શકે છે. અજ્ઞાનીના લાખો વર્ષના તપ કરતાં જ્ઞાનીના એક શ્વાસોચ્છાસ જેટલી તપક્રિયા વધુ કર્મનિર્જરા કરે છે.
પંડિત સુખલાલજીએ તપની વિશેષતાનું નિરીક્ષણ ઉંડાણથી કર્યું છે. તેમના મતે બુદ્ધની જેમ મહાવીર પણ કેવળ દેહદમનને જીવનનું ધ્યેય ગણતાં ન હતાં. કારણ કે આવા અનેક તપ કરનારાઓને તાપસ કે મિથ્યાતપ કરનારા કહ્યાં છે. ભગવાન મહાવીરે પરંપરાથી ચાલ્યા આવતાં સ્થૂલ તપનો સંબંધ આધ્યાત્મિક શુદ્ધિ સાથે અનિવાર્યપણે જોડી દીધો અને કહી દીધું કે બધી જાતના કાયાક્લેશ, ઉપવાસ વગેરેથી શરીર અને ઈન્દ્રિયોનું દમન એ ભલે તપ હોય, પણ એ બાહ્ય તપ છે. આવ્યંતર તપ નહિ. આત્યંતર અને અધ્યાત્મિક તપ તો બીજું જ છે અને આત્મશુદ્ધિ સાથે એને અનિવાર્ય સંબંધ છે. ભગવાન મહાવીરે નિગ્રંથ પરંપરામાં પહેલેથી પ્રચલિત શુષ્ક દેહદમનમાં સુધારો કર્યો, ત્યાં બીજી તરફ શ્રમણ પરંપરાઓમાં પ્રચલિત જુદી જુદી જાતના દેહદમનોને પણ અપૂર્ણતપ કે મિથ્યાતપ તરીકે ઓળખાવ્યાં. તેથી એમ કહી શકાય કે તપોમાર્ગમાં દેવાધિદેવ મહાવીરનું વિશિષ્ટ અર્પણ છે અને તે એ કે કેવળ શરીર અને ઇન્દ્રિયોના દમનમાં સમાઈ જતા તપ શબ્દના અર્થને એમણે આધ્યાત્મિક શુદ્ધિના બધાય ઉપાયો સુધી વિસ્તૃત કર્યો એટલા માટે જૈન આગમોમાં ઠેરઠેર આવ્યંતર અને બાહ્ય, એમ બન્ને પ્રકારના તપોનો નિર્દેશ સાથોસાથ મળે છે. બુદ્ધ તપની પૂર્વે પરંપરાનો ત્યાગ કરીને ધ્યાન સમાધિની પરંપરા ઉપર જ વધારે ભાર આપ્યો હતો. તેમણે બાહ્યતપનો પક્ષ લીધો નથી. જ્યારે ભગવાન મહાવીરે બાહ્યતામાં આંતરદષ્ટિ ઉમેરી અને અંતર્મુખ બનાવ્યું.
તપાધિરાજ વર્ષીતપ
(૨૬)