________________
૧૩૪,
હંસા !.. તું ઝીલ મેત્રીસરોવરમાં
“ના, ના બેટા ! એમાં શું ભૂલ ? એ તો કંઈક કામ આવ્યું હશે. તેથી થઈ જાય.” “પણ તમારે ભૂખ્યા રહેવું પડયું ને !” “એની કોઈ ચિંતા ન કરશો, સાંજ ક્યાં નથી પડવાની ?” સસરા દિલમાં કેવા વસી જાય ? દેવની જેમ પૂજાવું છે ? ચા મોળી આવી, દાળમાં મીઠું ડબલ પડી ગયું છે, કાંઈ જ ના બોલો.
માણસને આદરપાત્ર બનવું છે, સહવર્તીઓમાં પ્રિય બનવું છે ને એ માટેના કોઈ ઉપાયોને અજમાવવા નથી, થોડો પણ ભોગ આપવો. નથી..... આ તે કેવી વિચિત્રતા ? ટી.વી. બગાડી નાખનારા પુત્રને ધમકાવી ધમકાવી રોવડાવવાથી કાંઈ ટી.વી. સુધરી જવાનો નથી, એવું જાણવા છતાં પિતા પિત્તાને ફાટતાં અટકાવી શકતો ન હોય, નોકરથી તૂટી ગયેલું ઘડિયાળ, ન સંભળાવવાનાં કટુ વેણ સંભળાવવાથી કાંઈ કાર્યાન્વિત થવાનું નથી એવું જાણવા છતાં શેઠ જીભને કાબૂમાં રાખી શકતો ન હોય, તો એ પિતા કે શેઠ અત્યંત આદરપાત્ર બનવાની અપેક્ષા શી રીતે રાખી શકે ? માણસ આ નથી જાણતો કે સામાન્ય પરિસ્થિતિમાં અન્યની સાથે કરેલાં મીઠાશભર્યા વર્તનોથી જે લાગણી ઊભી થાય છે એના કરતાંય આવા પ્રસંગોએ ખામોશ રહી જવાથી જે લાગણી ઊભી થાય છે તે વધુ ઘેરી હોય છે ને વધુ ચિરંજીવી હોય છે.
મુંબઈના પરામાં રહેતા મધ્યમ વર્ગના એક સંયુકત કુટુંબની આ વાત છે. વિધવા મા, ચાર સંતાનો ને તેમનો પરિવાર. કુલ સત્તર સભ્યોનું કુટુંબ, નાના નાના ત્રણ રૂમ કીચનના બ્લોકમાં રહે. મેમ્બરો ઘણા, જગ્યા ટૂંકી, ભીંસ ઘણી પડે. પણ નિરૂપાય હતા, બીજી જગ્યા લેવાની સગવડ નહોતી. ચાર ભાઈઓમાંથી ત્રીજો ભાઈ એજીનીયર હતો ને એક મોટી કંપનીમાં સર્વિસ કરતો હતો, એમાં એની નોકરીની ગ્રેડ વધતાં કંપની તરફથી એક રૂમ, કીચનના સેલ્ફ કન્ટેઇન્ડ બ્લોકની સગવડ ઉપલબ્ધ થઈ. એટલે એણે પત્નીને વાત કરી કે હવે આપણે ત્યાં રહેવા જઈએ. ત્યારે પત્નીએ ઘસીને ના પાડી દીધી. “પણ આ ઘરમાં કેટલી ભીડ છે, મુશ્કેલીઓ છે. આપણે ત્યાં જઈએ એટલે આપણને પણ મોકળાશ ને ભાઈઓને પણ મોકળાશ.” ગ્રેજ્યુએટ પત્નીના નિષેધથી આશ્ચર્ય પામેલા પતિએ કહ્યું. પણ પત્નીએ પોતાનો અભિપ્રાય જણાવ્યો કે, “તમારી વાત સાચી છે. ભીડ અને મુશ્કેલીઓ અહીં ઘણી જ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org