________________
ધર્મબિંદુ મકરાણા
પરિશિષ્ટ શ્રી મરુદેવા માતાનો કેવળ જ્ઞાનનો પ્રસંગ (અ. ૨ ગા.૧)
ઋષભદેવે દીક્ષા લીધી ત્યારથી પુત્રના વિરહને યાદ કરીને મરુદેવા માતા દરરોજ રડવા લાગ્યા. આથી આંખમાંથી વહેતા અશ્રુઓના કારણે તેમનાં નેત્રોમાં છારી બાઝી ગઇ, અને નેત્રો બિડાઈ ગયાં. પછી જ્યારે શ્રી આદિનાથ ભગવાનને કેવળજ્ઞાન થયું ત્યારે ભરત મહારાજાએ મરુદેવા માતાને કહ્યું: હે માતાજી ! તમે હમેશાં મને ઠપકો આપતાં હતાં કે મારો સુકુમાર પુત્ર ચોમાસામાં વર્ષાઋતુથી થતા ઉપદ્રવોને સહન કરે છે, શિયાળામાં ઠંડીને સહન કરે છે, અને ઉનાળામાં તાપને સહન કરે છે? આ પ્રમાણે સદા વનવાસી એકલો મારો પુત્ર દુ:ખ અનુભવી રહ્યો છે, અને તું અરણ્યમાં રખડતા મારા પુત્રને કુશળતાના સમાચાર પણ પૂછતો નથી, તો હવે ત્રણલોકના સ્વામી બનેલા તમારા પુત્રની સંપત્તિ જોવા ચાલો. આમ કહીને મરુદેવા માતાને હાથી ઉપર બેસાડયાં. પછી ચતુરંગી સૈન્યથી પરિવરેલા ભરત મહારાજા સમવસરણ તરફ ચાલ્યા. દૂરથી રત્નધ્વજને જોયો ત્યારે ભરત મહારાજાએ મરુદેવા માતાને કહ્યું હે માતાજી ! દેવોએ બનાવેલા પ્રભુના સમવસરણને જુઓ. પિતાજીના ચરણ-કમળોની સેવા માટે આવેલ દેવોના જય જયારવ શબ્દો સંભળાય છે. પ્રભુની મધુરવાણી સંભળાય છે. મરુદેવા માતાએ પ્રભુજીની મધુર અને સંસારથી તારનારી વાણી હર્ષથી સાંભળી. પ્રભુની વાણી સાંભળતાં તેમનાં નેત્રો હર્ષના કારણે વહેતા અશ્રુજળના પ્રવાહથી સ્વચ્છ થઇ ગયાં, અને ઉઘડી ગયાં.
એથી તેમણે અતિશયવાળી તીર્થકરની ઋદ્ધિ જોઈ. પછી સર્વ સાંસારિક પ્રવૃત્તિને ભૂલી જઇને ભગવંતનું ચિંતન કરવા લાગ્યા, અને ક્ષણવારમાં પરમાત્મસ્વરૂપ બની ગયા. આથી ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થઇને કેવલજ્ઞાન પામ્યા. એક અંતર્મુહૂર્તમાં જ આયુષ્યનો ક્ષય થવાથી નિર્વાણ પામ્યા. આ અવસર્પિણીમાં મરુદેવા માતા પ્રથમ સિદ્ધ થયા. દેવોએ તેમના શરીરને ક્ષીર સમુદ્રમાં પધરાવ્યું. મરુદેવા માતા આ મનુષ્યભવ પામ્યા એ પહેલાં ક્યારે ય ત્રસંભાવને પામ્યા ન હતા, અર્થાત સ્થાવર (એકેદ્રિય)માંથી સીધા મનુષ્યભવને પામ્યા. (ત્રિ. શ. પુ. ચ.)
(૨) સ્થૂલભદ્રનો વૈરાગ્યનો પ્રસંગ (અ. ૩. ગા. ૬)
શકટાલ મંત્રીની મરણોત્તર ક્રિયા થઇ ગયા પછી નંદરાજાએ શ્રીયકને કહ્યું: હવે મંત્રિમુદ્રા તું સ્વીકાર. શ્રીયકે પ્રણામ કરીને કહ્યું: સ્થૂલભદ્ર નામના મારા મોટાબંધુ છે. તે બાર વરસથી કોશા વરયાના ઘરે ભોગ ભોગવતા રહેલા છે. આથી રાજાએ
૩૯૧