________________
૫૮ : આભના ટેકા
હૈયામાં પણ, આવેલા દેખાતા દુઃખનો અનુભવ નથી પણ યુગબાહુને સમાધિનું દાન આપવાનો આનંદ હતો. આજુબાજુ માણસોની તપાસ કરી, તેઓને અગ્નિસંસ્કારની સૂચના આપી અને મનમાં થયું કે મારે જલદીથી આ નગરીની સીમ છોડીને નીકળવું જોઈએ. શી ખબર ! મણિરથ હવે પોતાની લાચારીનો લાભ શું ન લે ?
પ્રભુના નામ સ્મરણના અજવાળે અજવાળે મદનરેખાએ કાળરાત્રી પાર કરી. ઉદરમાં રહેલા ગર્ભનો કાળ પૂર્ણતાને આરે હતો એટલે ચાલ ધીમી હતી. મન સ્વસ્થ અને શાંત હતું. વગડામાંથી વહી આવતા વાયુમાં જૂઈની સુગંધ આવતી હતી. બહિરંગ વિશ્વદર્શનનો આધાર મનોવિશ્વ છે. તેના પ્રભાવે જ ગાઢ અંધકાર છતાં ભયાનક અરણ્યમાં પણ મદનરેખાના મનમાં ભય ન હતો. તમરાંના ત્રમ ત્રમ અવાજમાં લયબદ્ધ સંગીત સંભળાતું હતું. ચો-પાસ શિયાળવાની લાળી સંભળાતી હતી. મનમાં લેશ પણ ચિંતાની લકીર ફરકતી ન હતી. એકનો એક પુત્ર તો રાજ મહેલમાં છે, તે શું કરતો હશે, તેનું શું થશે -આવું કશું જ મનમાં નથી.
હળવે હળવે આકાશના તારા આછા થતા ગયા. ઊગમણી દિશામાં ઊજાશ પથરાયો. ઉદરમાંથી સંકેત આવતા હતા. એક વિશાળ વૃક્ષ નીચે બેસી ગયા. શાંતિપૂર્વક પ્રસુતિ થઈ. મનને જરા કળ વળી. હવે દેહશુદ્ધિ માટે જ્યાં નદી કે તળાવ હોય ત્યાં જવું પડે તેમ હતું. નવજાત શિશુને રત્ન કંબલ ઓઢાડી, કેળના એક મોટા પાનમાં જતનથી વીંટાળી એની નાનકડી મુઠ્ઠીમાં એંધાણરૂપે યુગબાહુના નામની એક વીંટી મુકી. વનદેવતાને પ્રાર્થનાપૂર્વક બાળકની સુરક્ષાનું કામ સોંપી પોતે પાણીની શોધમાં ગયા.
સંજોગો તો જુઓ ! આ ત૨ફ મણિ૨થે મોકલેલા મારા, યુગબાહુનું કાસળ કાઢી મણિરથ પાસે આવ્યા ત્યારે, મણિરથનું સર્પ-દંશથી મૃત્યુ થઈ ગયું હતું ! કહેવત છે ને કે
——
જેવું ઇચ્છો અવરનું તેવું પોતાનું થાય,
ન માનો તો કરી જુઓ, જેથી તુર્ત જણાય !
યુગબાહુની હત્યા, મણિરથનું મૃત્યુ, મદનરેખાનો નગર-ત્યાગ, પુત્રજન્મ --આ બધી ઘટના આંખના પલકારામાં બની ગઈ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org