Book Title: Pushpmala Author(s): Shrimad Rajchandra, Paras Jain Publisher: Shrimad Rajchandra Ashram View full book textPage 5
________________ શ્રીમદ્ રાજચંદ્ર થઈ કેવળજ્ઞાનને વરે, એ જ મારી અભિલાષા છે; અન્ય કોઈ પ્રયોજન નથી. ભાખું એટલે જણાવીશ. મોક્ષ પુરુષાર્થ, ધર્મ પુરુષાર્થ, ધન એટલે અર્થ પુરુષાર્થ અને કામ પુરુષાર્થ સંબંધી અત્રે સુબોધ જણાવીશ. પણ ઘર્મ, અર્થ, કામ અને મોક્ષ પુરુષાર્થમાં, ધર્મ પુરુષાર્થ અને મોક્ષ પુરુષાર્થ એ આત્મતત્ત્વની વિચારણા ઉત્પન્ન કરાવી મોક્ષરૂપ સત્વને પ્રગટ કરાવશે; જે અનંત સુખદા એટલે સુખને આપનાર છે. માટે હે વીતરાગ! આ કાર્ય પૂર્ણ કરવામાં મને પ્રેરણાત્મક બળ આપો કે જેથી જગત જીવોનું કલ્યાણ થાય; એવી મારી આપ પ્રભુ પ્રત્યે શુભ કામના છે. (છપ્પય) નાભિનંદન નાથ, વિશ્વવંદન વિજ્ઞાની; ભવ બંઘનના ફંદ, કરણ ખંડન સુખદાની; ગ્રંથ પંથ આદ્યંત, ખંત પ્રેરક ભગવંતા; અખંડિત અરિહંત, તંતહારક જયવંતા; શ્રી મરણહરણ તારણતરણ, વિશ્વોદ્ધારણ અઘ હરે; તે ઋષભદેવ પરમેશપદ, રાયચંદ વંદન કરે. ૨ અર્થ :— હવે શ્રી પરમકૃપાળુદેવ શ્રી ઋષભદેવ પરમાત્માને વંદન કરતા કહે છે કે હે નાભિરાજાના પુત્ર, ત્રણલોકના નાથ, સકળ વિશ્વને વંદનીય, વિશિષ્ટ કેવળજ્ઞાનના ઘારક હોવાથી વિશેષ જ્ઞાની, સાંસારિક મોહમાયાના ફંદને ખંડન કરી સાચા આત્મિક સુખના દાતાર, ગ્રંથ લખવાના માર્ગમાં આત્યંત એટલે આદિથી અંત સુધી ઉત્સાહને ટકાવવામાં પ્રેરણા આપનાર ભગવાન, આપ તંતહારક એટલે સંપૂર્ણ કર્મ સંતતિને હણવાથી અખંડિત અર્થાત્ શાશ્વત સુખમાં બિરાજમાન એવા અરિહંત છો. તેથી સદા જયવંત છો અર્થાત્ વિષયકષાયના ભાવો ઉપર સર્વ કાળને માટે આપ વિજય મેળવનારા છો. આપ મરણનું હરણ કરનાર, સંસારી જીવોને તારનાર તેમજ નિષ્કામભાવે બોધ આપી વિશ્વના ભવ્ય જીવોનો ઉદ્ધાર કરનાર અને અઘ એટલે પાપના હરનાર છો. એવા આપ શ્રી ઋષભદેવ પરમેશ્વરના પુનિત પદારવિંદમાં રાજચંદ્ર વંદન કરે છે. 3 પ્રભુપ્રાર્થના (વિવેચન સહિત) પરમકૃપાળુદેવ આ કાવ્યમાં સૌ પ્રથમ ૧ થી ૧૨ ગાથા સુધી પ્રભુના ગુણોનું ભક્તિભાવપૂર્વક વર્ણન કરે છે. એ વિષે પરમકૃપાળુદેવે મોક્ષમાળા પાઠ ૧૦૧માં પણ જણાવ્યું છે કે “ગુણીના ગુણમાં અનુરક્ત થાઓ” વળી પત્રાંક ૮૫માં પણ જણાવે છે કે—“પ્રશસ્ત પુરુષની ભક્તિ કરો, તેનું સ્મરણ કરો; ગુણચિંતન કરો.” પછી ગાથા ૧૩ અને ૧૪માં પોતાની મતિ કંકર જેવી બતાવીને તે તે દોષો દૂર કરવાની પ્રભુ પ્રત્યે શક્તિ મેળવવા માટે પ્રાર્થના દર્શાવે છે. ત્યારબાદ ૧૫ થી ૧૯ ગાથા સુધી આર્ય દેશ ભારતની પ્રજાને નીતિ, નમ્રતા તથા પ્રભુ પ્રત્યે પ્રીતિભક્તિ, દયા, શાંતિ આદિ અનેક ગુણોનું ભાન થાય તથા સર્વ પ્રજા તન, મન, ધન અને અન્નવડે સુખી થઈ પૃથ્વી પર સ્વર્ગનું વાતાવરણ સર્જાય એવી પ્રભુ પ્રત્યે પરમકૃપાળુદેવ વિનંતી કરી આ કાવ્ય પૂર્ણ કરે છે. પરમકૃપાળુદેવ મોક્ષમાળાના બીજા ‘સર્વમાન્ય ધર્મ' નામના પાઠમાં પણ કહે છે કે “સર્વ જીવનું ઇચ્છો સુખ મહાવીરની શિક્ષા મુખ્ય,’” તે પ્રમાણે પ્રભુ પ્રત્યે સર્વ જીવોના હિતની આ કાવ્યમાં ભાવના કરી છે. તેમજ આ કાવ્યવડે પ્રભુના કેવી રીતે ગુણગાન કરવા તથા સર્વ જીવોનું હિત કેમ ઇચ્છવું વગેરે આત્માર્થી જીવોને શિખામણ આપી છે. (દોહરા) જળહળ જ્યોતિ સ્વરૂપ તું, કેવળ કૃપાનિથાન; પ્રેમ પુનિત તુજ પ્રેરજે, ભયભંજન ભગવાન. ૩ અર્થ :— હે પ્રભુ! તું કેવળજ્ઞાનરૂપ જ્યોતિવડે સૂર્યથી પણ અનંતગુણા ઝળહળતાં સૂર્ય સમાન છું. તું કેવળ કૃપાનો જ ભંડાર છું. માટે તારા પ્રત્યે મને પુનિત અર્થાત્ પવિત્ર નિષ્કામ ભક્તિ પ્રગટે એવા પ્રેમની મને પ્રેરણા આપજે. તું તો સંસારી જીવોના સાતેય પ્રકારના ભયને ભંજન એટલે નાશ કરનાર ભગવાન છો. તે સાત ભય આ પ્રમાણે છે :— (૧) આલોકભય એટલે આ લોકમાં પરિગ્રહ, કુટુંબ તથા આજીવિકા મેળવવા આદિનો ભય. (૨) પરલોકભય એટલે પરલોકમાં મારું શું થશે? હું અહીંથી મરી કઈ ગતિમાં જઈશ? વગેરેનો ભય. (૩) મરણભય એટલે મૃત્યુનોPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 105