________________
પૂ. શ્રી જૂઠાભાઈ
પરમ પિયુષને તૃપ્ત થઈને પીવાની, તનમાં તાલાવેલી હતી, તેનો તલસાટ હતો. પરંતુ કાળની અને કર્મની કઠીનતાથી એ રસ ન મળતો, એટલે તેનું બ્દય ધડકતું, તલસાટ વધી જતો, એક અર્ધક્ષણ પણ અળગા રહી ન શકતા. પ્રભુ મુખને નિહાળ્યા વિના બાળક જેમ તે ઊણા દૂણા બની જતા અને વારંવાર શ્વાસ ચાલે તેની સાથે સ્વામિની સ્મૃતિ મનમાં રમતી કે હે વ્હાલા પ્રભુ ! મને તમે તલસાવો મા, હું ક્યાં સુધી રાહ જોયા કરું ? દર્શન ઘો. - હરીના લાલ કોઈ મને કહેશો? કે એ હરી ક્યારે મારા દ્વારે આવશે? કોઈ એ મારગનો પંથી મારા મન ગમતી વાતના સમાચાર આપશે ? હે મેઘરાજ ! તમે તો આવતા નથી અને તમારા કોઈ સંદેશા મળતા નથી, ખોટો દિલાસો અને આશા આપીને તમે લલચાવો છો કેમ? આ બેઉ નયણા શ્રાવણની નદીની જેમ જલધાર વરસાવે છે, દર્શનની રઢ લઈ બેઠા છે, કહ્યું માનતા નથી - ‘ક્ષણ એક મુજને ન વીસરે તુમ ગુણ પરમ અનંત’ – નયન આગળ જ રહેજો, મને દાસને ભૂલી ન જશો. આ માયારૂપ ભવસાગરમાં ડૂબી જઉં છું, માટે વેગે કરી મારી વ્હારે ધાજો. તમે તો નાગનું ઝેર ઉતારી અમૃત કર્યું છે, તો મને મિલન પછી પરિહરી ના દેશો. હું તો રાજ, તારો છું ! ને તું મારો છે ! ભીનો પરમ મહારસે, મારો નાથ નગીનો, તું ધન, તું મન, તન તુંહી, સસનેહી સ્વામી, મારું મન અધીરૂ બની રહ્યું છે. ઓ જીવ જીવન ! તમને કેવી રીતે આવી મળું? દરીશન ઘો તો આનંદ એવો થાય કે પળ પળ તમારૂં અનુપમ રૂપ નિહાળી સુખાનંદ પામું. આપ તો મારા જનમ જનમના સાથી છો. રાત દિવસ તમને કેમ વિસરી શકું ? બે હાથ જોડીને વિનંતી કરું છું કે હે દયાળુ ! જયારથી તમે છોડીને ચાલ્યા ગયા ત્યારથી ક્યાંય ચેન પડતું નથી. તમારા વચન સાંભળતા મીઠાં લાગે છે, તેનો વિરહ પડ્યો, મારા દુ:ખના મટાડનારા અને સુખના દેનારા ક્યારે મળશો?
મારા રાજનગરે આવો; આપની નિર્વિકાર મુખડાની સુંદર-સુરતને શું વખાણું ? તમે તો પૂર્વજનમની પ્રીત છોડી કે શું? હું સંસાર વનમાં ભટકી ભટકી ભૂલો પડ્યો છું. ખાન-પાન, ભાન-સાન તમારા વિના ખોયું છે, મારૂં મન તો રાજ-હી-રાજ-રાજ રટે છે અને ભક્ત સાદ કરી પોકારે છે,