________________
Vol. 11-1996 શ્રીપાલ-પરિવારનોકુલધર્મ
૭૭ દષ્ટિએ આવી પ્રશસ્તિ રચી શકે છે. ત્યાં તે સ્વધર્મને નહીં, રાજકુલધર્મ એવં પ્રચલિત લોકધર્મને અનુસરે છે. આથી શ્રીપાલ પૌરાણિક પરંપરા અને આલેખનોને અનુરૂપ દેવસ્તુતિ પ્રશસ્તિ અંતર્ગત કરે તે સન્દર્ભના સ્વરૂપને જોતાં સુસંગત મનાય, યોગ્ય જ ગણાય. બીજી વાત એ છે કે દુર્ગ-પ્રતોલી આદિ “દેવાલય' ન હોવા છતાં વાસ્તુવિધિના કર્મકાંડ અનુસાર તેમની સ્થાપના કિંવા પ્રતિષ્ઠા દેવતાઓના આહુવાન-પૂજન-યજનાદિ ક્રિયાઓ દ્વારા સમ્પન્ન થાય છે. જો મનુષ્યને રહેવાના આવાસ પણ ખાતમુહૂર્તથી લઈ ગૃહપ્રવેશ પર્યન્ત વાસ્તુગ્રન્થો અને કર્મકાંડના ગ્રન્થો કથિત ધાર્મિક વિધિપૂર્વક થતાં હોય તો નગરદુર્ગ, કુંડ, વાપી આદિની શું વાત કરવી૨૭ ! પૌરાણિક ક્રિયાકાંડ-વિધિ મધ્યકાળમાં તો જીવનમાં સર્વત્ર વણાઈ ગયેલી. આથી વડનગરનો પ્રાકાર નાગરિકવાસ્તુ'ની વ્યાખ્યા અંતર્ગત આવી જતો હોવા છતાં એની રચનાથી લઈ સ્થાપના સુધીની બ્રાહ્મણીય કિંવા પૌરાણિક ધર્મવિધિઓથી પર નથી. આથી કવિ સોમેશ્વર વેદવાદી બ્રાહ્મણ હોવા છતાં મંત્રી તેજપાળ નિર્માપિત દેલવાડા સ્થિત જિનમંદિરની પ્રશસ્તિ પ્રસ્તુત સંરચના “દેવાલય જિનદેવની સ્તુતિથી પ્રારંભ કરી શકે, પણ એ જ ન્યાયે, કવિ શ્રીપાલ જૈન હોય તો પણ વડનગરના દુર્ગની પૌરાણિક દેવતાપક પ્રશસ્તિ તે નાગરિક વાસ્તુકૃતિ હોવાથી રચે નહીં પણ એમનો પોતાનો ધર્મ વૈદિક હોય તો જ રચવા પ્રેરાય તેવી દલીલ તથ્યસમ્મત કે તર્કસમ્મત જણાતી નથી. જો નાગરિક સ્થાપત્યની રચનામાં ધાર્મિકપૌરાણિક ઉલ્લેખો લાવી જ ન શકાતા હોત તો તો શ્રીપાલ બ્રાહ્મણમાર્ગી હોય તો યે તેમાં એવા ઉલ્લેખો લાવે જ નહીં ! વસ્તુતયા દેવમંદિરની હોય કે દુર્ગ સરખી નાગરિક સંરચનાની પ્રશસ્તિ હોય, પ્રશસ્તિકારનો વ્યક્તિગત ધર્મ તેમાં પ્રભાવી બની શકતો નથી. બ્રાહ્મણ સોમેશ્વર જિનાલયોની પ્રશસ્તિઓ રચી શકે તો જૈન શ્રાવક શ્રીપાલ શા માટે બ્રાહ્મણીય દેવમદિરોની એવં દુર્ગ-તટાકાદિની પ્રશસ્તિ ન રચે ? દિગમ્બર જૈન મુનિ રામકીર્તિએ કુમારપાળની ચિત્રકૂટ (ચિતોડ)ના સમિઢેશ્વરના મંદિરની ઈસ્વી ૧૧૫૧ની દાન-પ્રશસ્તિ શિવસ્તુતિ સાથે રચી છે; અને શ્વેતામ્બર બૃહદ્ગચ્છીય જયમંગલાચાર્યે રાજસ્થાનમાં સુંધા પહાડ પરની ચાહમાન ચાચિગદેવની ઈસ્વીસન ૧૨૯૯ની પ્રશસ્તિ પણ શિવની જટાના ચન્દ્રમાને તથા દેવી પાર્વતીને વંદના દઈને રચી છે૨૯. રાજાઓની વિનંતીને માન આપીને જો જૈન મુનિઓ પણ શિવાલયાદિની પ્રશસ્તિઓ રચી શકતા હોય તો ગૃહસ્થ જૈન કવિ, એમાંયે પાછા દરબારી શાયર, પૌરાણિક ઢંગની સ્તુતિ સમેતની પ્રશસ્તિ રચે તો તેમાં કશું અયુક્ત વા અજુગતું નથી, કે નથી એ કોઈ આશ્ચર્યજનક યા અસંભવિત ઘટના. એને લઈને પ્રશસ્તિકારના ધર્મ વિષેની કલ્પના બાંધવી તર્કપૂર્ણ નથી. આથી આ, અને તદ્ આનુષંગિક મુદ્દાઓ પર તો શ્રીપાલને પુરાણમાર્ગી ઠરાવી શકાય તેમ નથી. આખરે શ્રીપાલ કે વિજયપાલના પાદિમાં રસપૂર્વક સન્માનપૂર્વક પૌરાણિક દેવતાઓના જે પ્રાસંગિક ઉલ્લેખો છે તે પણ કાવ્યમય ઉક્તિઓમાં પૌરાણિક વર્ણના માત્ર છે. પોતે તેવું સ્વધર્મ-દષ્ટિથી આસ્થાપૂર્વક માને છે તેવું ત્યાં અભિપ્રેત નથી*
એક ધ્યાનમાં રાખવા જેવી વાત એ પણ છે કે જૈન પંડિતો, કવિઓ બ્રાહ્મણીય દાર્શનિક તેમ જ કથા-સાહિત્યના ઉચ્ચ કોટીના અધ્યેતા હતા. બ્રાહ્મણધર્મી બહુમતી સમાજમાં રહેવાથી, અને અન્યથા ભારતની બૃહદ્ આર્ય સંસ્કૃતિની જ સંતતિ હોવાથી, શ્રમણમાર્ગી હોવા છતાંયે જૈનો બ્રાહ્મણીય દૃષ્ટિથી સારી રીતે પરિચિત હતા. આથી જ પ્રસંગ પડ્યે બ્રાહ્મણીય કથા-વિષયો પર પણ નૈપુણ્યપૂર્વક લખી શકતા, સરસ રચનાઓ કરી શકતા, કે એનો ઉલ્લેખ પોતાની રચનાઓમાં (કયારેક બંગમાં પણ) કરતા*. (શ્રી પંડ્યાએ મંત્રીશ્વર વસ્તુપાલ વિરચિત “નરનારાયણાનન્દકાવ્ય” અંતર્ગત (મંગલાચરણમાં નહીં) કૃષ્ણ-પરમાત્માની જે ગંભીર શબ્દોમાં પ્રાસંગિક સ્તુતિ છે તેને સંદર્ભની દૃષ્ટિએ શ્રી પંડ્યાએ પ્રસ્તુત તો ઠરાવી છે, પણ ત્યાં તે કારણસર વસ્તુપાળ જૈન નહીં, ભાગવતધર્મી હશે તેવો તર્ક ઉપસ્થિત કર્યો નથી. વસ્તુપાલ સંબંધી તેઓ કુલધર્મે જૈન હોવાનાં ઢગલાબંધ પ્રમાણો મોજૂદ ન હોત તો શ્રી પંડ્યાએ શ્રીપાલ સંબંધમાં જે તકણા અને અભિગમ અપનાવ્યાં છે તેના અનુસરણમાં વસ્તુપાલને પણ વેદવાદી જ ઘટાવવા પડે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org