________________
वेदान्तिनस्त्वविद्यायां, निवृत्तायां विविक्तता । सेत्याहुः साऽपि नो तेषामसाध्यत्वादवस्थितेः ॥३१-१७।। | ‘અવિદ્યાની નિવૃત્તિ થયે છતે આત્માની સ્વસ્વરૂપમાં જે અવસ્થિતિ છે, તેને મુક્તિ તરીકે વેદાંતીઓ વર્ણવે છે. પરંતુ એ પણ યુકત નથી. કારણ કે અનાદિકાળથી આત્માની સ્વરૂપમાં અવસ્થિતિ હોવાથી મુક્તિમાં સાધ્યત્વ નથી.'-આ પ્રમાણે સત્તરમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે વેદાંતીઓના મતે આત્માની બદ્ધાવસ્થા(સંસારદશા) અવિદ્યાના કારણે છે. એ અવિદ્યાની નિવૃત્તિ થયે તે આત્મા અવિદ્યાથી વિવિક્ત થાય છે. આવી તેની કેવળ અવસ્થિતિને વેદાંતીઓ મુક્તિ કહે છે. પરંતુ તે યુક્ત નથી. કારણ કે વેદાંતીઓના મતે આત્મા અનાદિકાળથી શુદ્ધ જ છે. તેથી અવિદ્યાની નિવૃત્તિ પૂર્વે પણ આત્માનું કેવળ જ અવસ્થાન હોવાથી આત્માની મુક્તિ સિદ્ધ જ છે, જેથી મુક્તિમાં સાધ્યત્વ રહેતું નથી. બ્રહ્મસ્વરૂપ આત્માનો મોક્ષ અનાદિથી સિદ્ધ જ હોવાથી તેમાં સાધ્યત્વ(સિદ્ધિની ઈચ્છાનું વિષયત્વપુરુષાર્થત્વ) ન હોય એ સ્પષ્ટ છે.
યદ્યપિ ઉપર જણાવ્યા મુજબ બ્રહ્મનું કેવળ અવસ્થાન સિદ્ધ હોવા છતાં કંઠમાં રહેલા સુવર્ણના અલંકારને જેમ ભ્રમથી શોધવામાં આવે છે તેમ એ કંઠગત ચામીકરન્યાયથી આત્માને હું બંધાયેલો છું, અજ્ઞાની છું અને દુઃખી છું... ઈત્યાદિ ભ્રમ થાય છે. એની નિવૃત્તિ સ્વરૂપ અવસ્થાથી