________________
-જૈન કથાનકોમાં સદ્ધોધના સ્પંદનો સિદ્ધાંતો સમજાવ્યા છે. શ્રી નંદીસૂત્રના કથનાનુસાર શ્રી જ્ઞાતાસૂત્ર સંખ્યાત હજાર પદ પ્રમાણ છે. તેમાં સાડા ત્રણ કરોડ કથાઓ હતી, પરંતુ કાળક્રમે જૈન સાહિત્યનો હ્રાસ થતાં વર્તમાને માત્ર જ્ઞાતાસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધમાં ઓગણીસ અધ્યયનો અને બીજા શ્રુતસ્કંધમાં દશ વર્ગ છે. આ ઓગણીસ કથાઓ અને દશ વર્ગમાં પ્રભુ પાર્શ્વનાથની પરંપરાના ૨૫૬ સાધ્વીજીઓના જીવનદર્શન દ્વારા શાસ્ત્રકારે આત્મસાધના માટેના મહત્વપૂર્ણ ભાવોનું દર્શન કરાવ્યું છે.
ચાર અનુયોગમાં ધર્મકથાનુયોગનું એક વિશિષ્ટ સ્થાન છે. ધર્મકથા એ ઉપદેશનું પ્રબળ સાધન છે. ભારતના દરેક ધર્મગ્રંથોમાં ઉપદેશ માટે કથાઓનો મુખ્ય આધાર લીધેલો છે. આત્મસાધના માટેના ગહનતમ સિદ્ધાંતો સાધકોને
ક્યારેક ભારેખમ બનાવી દે છે, પરંતુ તે જ સિદ્ધાંતો જયારે કોઈપણ કથાઓના માધ્યમથી સમજાવાય, ત્યારે તે સરળ, સહજ અને સુપાચ્ય બની જાય છે. કથાઓ વિષયને રસપ્રદ બનાવે છે. વૈદિક પરંપરામાં રામાયણ કે મહાભારત જેવા ધર્મગ્રંથો તેની કથાઓના આધારે પ્રસિદ્ધિને પામ્યા છે.
જ્ઞાતાસૂત્રમાં ભલે કોઈ સળંગ કથા નથી, તેમ છતાં મેઘકુમાર, મલ્લિ ભગવતી, દ્રૌપદી ચરિત્ર વગેરે કથાનકો વાચકોને જકડી રાખે તેવા છે.
આપણે જ્ઞાતાસૂત્રના બીજા અધ્યયનમાં કથિત ધન્ય સાર્થવાહ અને વિજયચોરની કથાના માધ્યમથી સંબોધના સ્પંદનોની અનુભૂતિ કરશું. ધન્ય સાર્થવાહ અને વિજયચોર:
રાજગૃહ નામનું નગર હતું. ત્યાં ધન્ય સાર્થવાહ અને ભદ્રા નામની સાર્થવાહી રહેતા હતા. તેમના ગૃહસ્થ જીવનના ઘણા વર્ષો પછી અનેક દેવદેવીઓની માનતા-પૂજા કર્યા પછી એક બાળકનો જન્મ થયો. તે દેવનો દીધેલો હોવાથી તેનું નામ દેવદત્ત રાખ્યું હતું. અત્યંત લાડ-પ્યારમાં દેવદત્તનો ઉછેર
-જૈન કથાનકોમાં સદ્ભોધના સ્પંદનો થઈ રહ્યો હતો. માતા રોજ નવા વસ્ત્રો, આભૂષણો પહેરાવીને બાળકને સુસજ્જિત કરી સંતાનપ્રાપ્તિનો સંતોષ અનુભવતા હતા.
એકવાર દાસપુત્ર પંથકની સાથે દેવદત્તને ગામની શેરીમાં રમવા મોકલ્યો. શેરીમાં આડોશ-પાડોશના ઘણા બાળકો રમતા હતા. બાળકો રમવામાં મસ્ત હતા અને દાસપુત્ર બીજા બાળકોની બાલક્રીડા જોવામાં દેવદત્તને ભૂલી ગયો. દેવદત્તે બહુ મૂલ્યવાન આભૂષણો પહેર્યા હતા.
તે સમયે નગરનો કુખ્યાત વિજય નામનો ચોર ત્યાં ફરી રહ્યો હતો. તેનું ધ્યાન દેવદત્તના આભૂષણો ઉપર ગયું. તક જોઈને તેણે દેવદત્તને ઉપાડી લીધો અને છૂપી રીતે નગરની બહાર ભાગી ગયો. દૂર-સુદૂર એકાંત નિર્જન જગ્યામાં જઈને લોભને વશ થઈ માસૂમ બાળકની ક્રૂર હત્યા કરી નાંખી અને બાળકના આભૂષણો લઈ લીધા. ત્યાર પછી બાળકના મૃતદેહને અવાવરું કૂવામાં નાંખીને સ્વયં ગીચ ઝાડીમાં છુપાઈ ગયો...
અહીં થોડીવાર પછી દાસપુત્ર પંથકનું ધ્યાન ગયું, તે ચારે બાજુ દેવદત્તને શોધવા લાગ્યો, પણ દેવદત્ત ક્યાંય દેખાયો નહીં. તે આકુળ-વ્યાકુળ થઈ ગયો. શેઠને શું જવાબ આપીશ ? તે ભયભીત થઈને ધ્રુજવા લાગ્યો. ઘરે આવીને રડતા રડતા શેઠને સર્વ હકીકત કહી. માતા-પિતા માટે પુત્રવિયોગના સમાચાર અસહ્ય હતા. શું થયું હશે ? બાળક ક્યાં ગયો હશે ? કોણ ઉપાડી ગયું હશે ? વગેરે વિચારોના ઘમસાણમાં સાર્થવાહ બેભાન થઈને પડી ગયા. આસપાસની વ્યક્તિઓએ શીતોપચાર કર્યા. થોડીવારમાં ધન્ય સાર્થવાહ ભાનમાં આવ્યા. તેણે ચારે બાજુ પુત્રની શોધ માટે નગરરક્ષક કોટવાલની સહાયતાથી ચોરને પકડી લીધો. દેવદત્તે પહેરેલા તમામ અલંકારો સાથે વિજયચોર પકડાઈ ગયો.
૧૮