Book Title: Gyandhara 03
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
મોક્ષ એ કોઈ જ મિરેકલ નથી. અહીંથી ઊડીને મોક્ષમાં પહોંચતું નથી. કોઈ આપણને તીર્થંકર બનાવી દેતું નથી. જો સદ્ગુણોનો વિકાસ થાય તો જીવ શિવ બની શકે. મોટાભાગના Problems solve થઈ જાય પછી યુવાવર્ગને કહેવું નહિ પડે કે પશ્ચિમી સંસ્કૃતિ, આહાર, વ્યવહાર અપનાવા જેવા નથી. યુવાવર્ગ આત્મચિંતનના માર્ગે વળશે અને તેનું આત્મચિંતન જ તેને સાચા માર્ગે લઈ જશે.
પરંતુ વર્તમાન સમયમાં ધર્મ પ્રતિ ઉદાસીનતાનું પ્રમાણ વધતું જ જાય છે. અંગ્રેજી શિક્ષણના ઘોડાપૂરમાં તણાતાં આપણે બધાં બાળકોને શાળાકીય જ્ઞાન આપવા જેટલા ઉત્સુક છીએ, તેટલા આધ્યાત્મિક ક્ષેત્રે નથી. માટે જ વિધવા માતાને વૃદ્ધાવસ્થામાં દીકરાનું ઘર છોડી બીજે આશ્રય શોધવાનો વારો આવે છે.
જૈનશાળા : શાળા અને કૉલેજના અભ્યાસ સાથે વિવિધ પ્રકારના ક્લાસીસનો ધોધ વહે છે. તેવા ક્લાસીસ સાથે કદમ મિલાવી શકે. જૈનશાળાનું આકર્ષણ વધે તેવી આધુનિક જૈનશાળા બનાવવી જોઈએ. જૈનશાળાને આપણે આકર્ષક રૂપ આપીએ, જેમાં બાળકો ગમ્મત સાથે જ્ઞાન મેળવે.
ઐતિહાસિક બોધપ્રદ ચિત્રોથી જૈનશાળાની દીવાલોને શોભાયમાન કરીએ. જૈનશાળામાં બાળકો પંક્તિબદ્ધ બેસી શકે તેવી benches અને desks હોય, શિક્ષકો પણ પ્રશિક્ષણ પામેલા હોય. શિક્ષકોમાં વાત્સલ્ય અને મૈત્રીનો ભાવ હોય. દૃષ્ટાંતો, વાર્તાઓ, રંગબેરંગી ચિત્રો, Projects વગેરેની મદદથી જૈનશાળામાં શિક્ષણ આપવામાં આવે તો ગહન અને ક્લિષ્ટ વિષયો પણ સરળ બની શકે.
આધુનિક જીવનમાં ધર્મના બદલાતા પ્રવાહમાં જડતાને સ્થાન નથી. પથ્થરયુગ પછી તામ્રયુગ અને તામ્રયુગ પછી કાગળયુગને આપણે આવકાર્યો છે. આજે પુસ્તકોનું વિરાટજ્ઞાન તાવડી જેવડી CDમાં સંકલિત થઈ ગયું છે. પરિવર્તન એ સૃષ્ટિનો નિયમ છે. ભગવાને તે સમયની લોકભાષા માગધીમાં પોતાનો ઉપદેશ આપ્યો. આપણું જનરેશન ભગવાનના ઉપદેશઆગમો જેવા વિષયો માગધી, પ્રાકૃત કે સંસ્કૃત જેવી ભાષામાં સમજી શકશે ? માટે જ વર્તમાન પેઢીને તેમની ભાષામાં ભણાવવું જરૂરી છે. ભણતરનું માધ્યમ વર્તમાન પત્રો, કલરફુલ મેગેઝિન્સ, TV, Computer વગેરે રાખવું જરૂરી છે.
જ્ઞાનધારા - ૩
૧૩૬
જૈન સાહિત્ય જ્ઞાનસત્ર-૩